Sunday, 30 June 2024

નવનીત સમર્પણ જૂન ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ





 નવનીત સમર્પણ જૂન ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ


બીજો અધ્યાય (છાયા ઉપાધ્યાય)

આત્મજ્ઞાન થવું.

મંત્રીજીના દીકરાને ભણાવતા શિક્ષક સિંકદર-પોરસની વાર્તા અને સિકંદરના શિક્ષક એરિસ્ટોટલના વાતો કહ્યા પછી ઉપસંહારમાં કહે છે કે બધા રાજા કંઈ સિકંદર જેવા નથી હોતા અને બધા શિક્ષકો કંઈ એરિસ્ટોટલ નથી હોતા. આ વાત સાંભળીને મંત્રીજી પોતાના સેક્રેટરી મયૂરને પૂછે છે કે આ એરિસ્ટોટલ કોણ હતો? એરિસ્ટોટલ વિશે મયૂર પાસેથી જાણ્યા પછી મંત્રીજીને થાય છે શિક્ષકની નિમણુંકમાં ભૂલ થઈ નથી. તેઓ શિક્ષકના પગારમાં થોડોક વધારો કરી આપવાની સૂચના મયૂરને આપે છે.

મયૂર મંત્રીજીને કહે છે કે પોરસે સિકંદરને કહ્યું કે એક રાજા બીજા રાજા જોડે જેવો વ્યવહાર કરે તેવો મારી સાથે કરો એવું શીખવાડાય છે અને આપણે એટલું જ યાદ રાખીએ છીએ. હકીકત એ છે કે સિકંદરે પોરસને મોતની સજા ના આપતાં પોતાના રાજ્યનો એક સૂબો બનાવ્યો હતો. ટૂંકમાં, સિકંદરે પોરસને એના કદ પ્રમાણે વેતરી નાખ્યો હતો. 

મયૂર પોતે ભણીગણીને ઊંચા શિખરો સર કરવા ઈચ્છતો હતો પણ એક મંત્રીનો પીએ બનીને એ અટકી ગયો હતો. એ પોતે પોરસ જોડે સમાનુભૂતિ અનુભવે છે. મયૂરને આત્મજ્ઞાન થાય છે. વાચનક્ષમ વાર્તા.

નંબર ૧૦૨ (ધર્મેન્દ્ર ત્રિવેદી)

ગાયનું નામ પડે એટલે દિનેશજી પિત્તો ગુમાવી બેસે છે. રસ્તા વચ્ચે ગાય આવી જવાથી મનિયાની બાઈકનો ભીષણ અકસ્માત થાય છે. મનિયાનું ભરજુવાનીમાં મૃત્યુ થઈ જાય છે. મનિયો એટલે દિનેશજીનો સાળો. એની જોડે એમને સરસ ફાવતું. હોસ્પિટલમાં મનિયાની ઓળખ એના નામથી નહીં પણ “ન. ૧૦૨”  તરીકે થાય છે એની સામે પણ દિનેશજીને વાંધો પડે છે. 

માણસના મગજની પિન ક્યાં અટકી જાય એનું કોઈ ચોક્કસ ગણિત નથી. માનવીના મનના આટાપાટા. પઠનીય અને સરસ વાર્તા.    

ખાડો (મુહમ્મદ આરિફ)

હાજીસાહેબને બીજી શાદી કરવી છે. તેઓ એક પરિણીતાથી મોહિત થઈ ગયા છે. કુંવારી, ડિવોર્સી, ત્યક્તા કે વિધવા હોય તો માંગુ નાખી શકાય પણ પરિણીતા જોડે કેવી રીતે ગોઠવાય? 

એની પાસે પ્રેમનો એકરાર પણ કેવી રીતે કરવો? એના પતિની સાથે સાથે એ સ્ત્રીને પણ ભેટ આપવી એવું વિચારીને એક વાર હાજીસાહેબ બંને માટે કપડાંની જોડ ખરીદીને બાઈક પર જતા હોય. રસ્તા વચ્ચે ખાડો દેખાતાં કોઈ એમને ચેતવણી આપીને અકસ્માત થતાં બચાવી લે છે. હાજીસાહેબને થાય છે કે આ તો અલ્લાએ જ બચાવ્યો! એક શાદીશુદા સ્ત્રી પાસે ભેટ લઈને જતાં ખુદાએ જ અટકાવ્યો!

ખોટું કામ કરતા હાજીસાહેબ સમયસર અટકી ગયા એના બદલામાં એમને ખુદા તરફથી બક્ષિસ મળે છે. કેવી રીતે? એ જાણવા તો વાર્તા વાંચવી પડે.       

–કિશોર પટેલ, સોમવાર, ૧ જુલાઈ ૨૦૨૪

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

### 


Monday, 24 June 2024

એતદ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ


 એતદ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



હું… કોણ…?  (નીલેશ રાણા)


જાહેર સ્થળે કેટલાંક લોકો આસપાસનું નિરિક્ષણ કર્યાં કરતાં હોય છે. ટ્રેન પ્લેટફોર્મ પર આવતાં પહેલાં એક યુવતી પર નજર પડતાં કથક એનાથી આકર્ષાયો છે,  સામેના બાંકડા પર એની સીટ હોવાથી કથકને એ યુવતી પર નજર રાખવામાં સરળતા રહે છે. કથક જુએ છે કે એની બાજુમાં બેઠેલો યુવાન યેનકેનપ્રકારે યુવતી જોડે સંવાદ સાધવામાં સફળ થાય છે. કથકને થાય છે કે યુવાનનો ઈરાદો સારો નથી. એને યુવતીની ચિંતા થવા માંડે છે. તક મળતાં જ એકલી પડેલી યુવતીને એ યુવાનથી ચેતતા રહેવાની ભલામણ પણ કરે છે. 


શું થાય છે પછી? અંતિમ વાક્યમાં વાર્તા સંપૂર્ણપણે ફરી જાય છે. કોણે કોનાથી સાવચેત રહેવાનું હતું? જબરી ક્લાઈમેક્સ.  


માનસિક રમતના આટપાટા. સરસ વાર્તા.  


હજી તો કેટલુંય બાકી છે  (કંદર્પ દેસાઈ)


નારીચેતનાની વાર્તા.


ડીવાયએસપીના હોદ્દા પર રહેલી અદિતિને રાતદિવસ ગુનેગારો સાથે કામ પાડવાનું રહે છે. એમ છતાં  એનું મન કઠોર નથી થયું, ખાસ કરીને સ્ત્રીગુનેગારો પ્રતિ એનું વલણ સહાનુભૂતિભર્યું રહે છે. હત્યા જેવા ગુનામાં કોઈ સ્ત્રી સંડોવાય ત્યારે અદિતિને ખાતરી હોય છે કે જે તે સ્ત્રીની જોડે હદ્દ બહારનો અન્યાય થયો હશે. 


વાર્તામાં ત્રણ-ચાર એવા કિસ્સાઓનો ઉલ્લેખ થયો છે જેમાં પુરુષોએ સ્ત્રી જોડે ગેરવર્તાવ કર્યો હોય, એને ઉતરતી ગણીને એને અન્યાય કર્યો હોય. પરિણામે જે તે સ્ત્રીએ પુરુષ વિરુધ્ધ ગુનો આચર્યો હોય છે.. શા માટે અદિતિ એવી દરેક સ્ત્રી પ્રત્યે સહાનુભૂતિ અનુભવે છે?  એવા દરેક કિસ્સામાંથી અદિતિ શું પ્રેરણા મેળવે છે?  અદિતિના પોતાના સંસારનું ચિત્ર કેવું છે? 


રસપ્રદ વાર્તા.   


જીવવું (અશ્વિની બાપટ)


મનુષ્ય તેમ જ મનુષ્યેતર પ્રાણીઓને એમના શરીરની રચનાથી ઓળખી શકાય છે.  કોઈ માણસ અને એના શરીરના અવયવ એમ બંનેનું અલગ અલગ અસ્તિત્વ હોય ખરું? 


વાર્તાકારે અહીં પ્રયોગ કર્યો છે. નાયિકાના અંગોને એણે છૂટાં પાડીને જોયાં છે, એમની પાસે સ્વતંત્ર હલનચલન કરાવ્યું છે. 


વાત છે પિતા-પુત્રી સંબંધની. દીકરી પાંચ વર્ષની હશે એ સમયે કથક કોઈક કારણવશાત દીકરીથી દૂર થઈ ગયો હતો.  કદાચ કોઈ કારણથી કથકના છૂટાછેડા થયાં હોય.  એની પત્નીનું શું થયું એનો ઉલ્લેખ વાર્તામાં નથી કારણ કે એ વિષય નથી. વાત છે આ સંબંધવિચ્છેદના પરિણામની દીકરી પર થયેલી અસરની. કથકને ઘણે મોડેથી ખબર પડે છે દીકરી દુઃખી છે. એ જુએ છે કે દીકરી જીવે છે પણ જીવ વિના. એટલે કે એ જીવન વેંઢારી રહી છે. 


વાર્તાનો અંત અર્થપૂર્ણ છે. કથક પણ દીકરીની જેમ પોતાનું એક અંગ છૂટું પાડી દે છે. એ પોતાનું હ્રદય દીકરી પાસે મૂકી દે છે. કથક દીકરીની નાતમાં વટલાઈ જાય છે, ઉ.જો.ની વાર્તા “લોહીની સગાઈ”ના અંતમાં મંગુ એની દીકરીની નાતમાં વટલાઈ ગઈ હતી, ડિટ્ટો એમ જ.. 


સાદી સરળ વાતની વિલક્ષણ રજૂઆત. પ્રયોગાત્મક પણ સાધંત સુંદર નમૂનેદાર ટૂંકી વાર્તા. ક્યા બાત!  


વાંસળીનું સ્વપ્ન (મૂળ લેખકઃ હરમન હેસ અનુ.હસમુખ કે. રાવલ)


નોબેલ પ્રાઈઝ વિજેતા હરમન હેસની મૂળ જર્મન ભાષાની આ વાર્તામાં પુખ્ત થઈ ગયેલા એક યુવાનને એના પિતા વિદાય આપતાં કહે છે કે જીવનમાં સુંદર ગીતો ગાતો રહેજે. યુવાનને પ્રારંભમાં સારાં અનુભવો થાય છે. એ સરસ મઝાનાં ગીતો  ગાતો રહે છે. એક કન્યા જોડે પરિચય થાય છે. કન્યા જોડે મધુર ક્ષણો ગુજારી એનાથી છૂટો પડીને સફરમાં આગળ વધે છે. હવે એને એક વૃધ્ધ માણસ મળે છે. એ વૃધ્ધ એને જીવનની બીજી બાજુનો અનુભવ કરાવે છે. એને સમજાય છે કે જીવન આવું જ છે, સુખદુઃખ આવતાં જતાં રહે છે. 


એક રીતે આ આપણાં સહુની કથા છે.  સરસ વાર્તા. 


–કિશોર પટેલ, મંગળવાર, ૨૫ જૂન ૨૦૨૪.


###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

### 

 


બાલભારતીમાં વાર્તાપઠન ૨૨ જૂન ૨૦૨૪










 બાલભારતીમાં વાર્તાપઠન ૨૨ જૂન ૨૦૨૪



“જીવનમાં ઘણું બધું છે.”


ગુજરાતી રંગભૂમિ જોડે જેમના પણ છેડા અડ્યા છે તેમને જાણ છે કે આ ઉક્તિના કોપીરાઈટસ કોની પાસે છે. રસ્તામાં આ ભાઈ તમને મળી જાય તો “હેલ્લો” અથવા “કેમ છો?”  ના બદલે તેઓ બોલશેઃ “જીવનમાં ઘણું બધું છે.” 


બાલભારતી વાર્તાવંતના ઉપક્રમે શનિવાર તા. ૨૨ જૂન ૨૦૨૪ ની સંધ્યાએ મહેમાન હતા ગુજરાતી રંગભૂમિના જાણીતા નાટયલેખક અને અભિનેતા જિતુ મહેતા. એમની એક લઘુનવલના મહત્વના અંશોનું પઠન એમણે કર્યું.  આ પઠનમાં એમનો સાથ નિભાવ્યો એમના જીવનસાથી જિજ્ઞા દેસાઈએ. આ ઉપરાંત જિતુભાઈએ શ્રોતાઓ સાથે વહેંચ્યા એમની લેખનયાત્રાના મજેદાર કિસ્સાઓ. 


રોજ સાંજે ઓફિસથી નીકળી ઘેર જવાને બદલે મયખાનાની રાહ પકડનારા કથાનાયકને એક સાંજે એક આકર્ષક અને રહસ્યમયી રમણી મળી જાય છે. એ સાંજ એના જીવનનો રાહ બદલી નાખનારી બની જાય છે. પણ કેવી રીતે? એક્ઝેટલી શું થાય છે એ સાંજે? એ જાણવા તો વાંચવી પડે જિતુ મહેતા લિખિત લઘુનવલઃ “સમજૂતી.”  આ લઘુનવલ પાંચ હપ્તામાં ગુજરાતી મિડ-ડેમાં પ્રગટ થઈ હતી. ત્યાર બાદ પુસ્તકરુપે પણ એ પ્રસિધ્ધ થઈ છે. 


ગયા દાયકામાં મુંબઈમાં વિલેપારલે કેળવણી મંડળની મીઠીબાઈ કોલેજ ખાતે શરુ થયેલી વિજય દત્ત નાટ્ય એકેડેમીના પહેલી જ બેચના વિધાર્થીઓમાં એક જિતુ મહેતા પણ હતા. ગુજરાતી રંગભૂમિના અગ્રણી કલાકારો એકેડેમીના શિક્ષકગણમાં સામેલ હતા. પીઢ અભિનેતા પ્રા. વિષ્ણુકુમાર વ્યાસ અને વરિષ્ઠ રંગકર્મી દિનકર જાની જેવા ખ્યાતનામ કલાકારો પાસેથી એમણે તાલીમ લીધી. મનોજ જોશી અભિનીત “ચાણક્ય” નાટકથી એમની નાટ્યયાત્રા શરુ થઈ. એ પછી અનેક નાટકોમાં નાનીમોટી ભૂમિકાઓ એમણે ભજવી છે. જરુર પડ્યે તેઓ સંવાદોનું પુનઃલેખન પણ કરે છે. એમણે સ્વતંત્રપણે કેટલાંક નાટકો પણ લખ્યાં છે. કામ કામને શીખવાડે એ રીતે કેટલીક ગુજરાતી ફિલ્મોના સંવાદ પણ એમણે લખ્યાં. ટીવીની અનેક ધારાવાહિક શ્રેણીઓમાં પણ એમણે લેખનકાર્ય કર્યું છે.


જિતુ મહેતાની નમ્રતા જુઓ. જાહેર મંચ પરથી એમણે કબૂલ કર્યુ કે શાળેય જીવન દરમિયાન વિધાર્થી તરીકે તેઓ ઠોઠ હતા. આપણે જોઈ શકીએ છીએ કે આજે એમણે અચ્છા અભિનેતા અને સફળ લેખક તરીકે પોતાની જાતને સાબિત કરી છે. કદાચ એમની આ નિખાલસતા અને પારદર્શિતાએ જ એમને એક જવાબદાર અને કર્મનિષ્ઠ કલાકાર બનાવ્યા છે.


અને હા, બ્રેકમાં બાલભારતીની લિજ્જતદાર કોફીની તો શું વાત કરવી? પેલું અંગ્રેજીમાં કહે છે તેમ આઈસિંગ ઓન ધ કેક!


–કિશોર પટેલ, સોમવાર તા. ૨૪ જૂન ૨૦૨૪.  


* * *

  




    


Friday, 21 June 2024

નવચેતન માર્ચ, એપ્રિલ અને મે ૨૦૨૪ અંકોની વાર્તાઓ વિશે નોંધ







 નવચેતન માર્ચ, એપ્રિલ અને મે ૨૦૨૪  અંકોની વાર્તાઓ વિશે નોંધ



સંતાકૂકડી (જેસંગ જાદવ)


નાનું બાળક નજરથી થોડુંક પણ દૂર થાય ત્યારે કઈ માતા ચેનથી બેસી રહે? ઘડીક પહેલાં નજીકમાં જ રમતો વિઆન અદ્રશ્ય થઈ જાય છે. પારુલ બધે જ તપાસ કરે છે પણ નથી વિઆન મળતો કે નથી મળતી એની કોઈ ભાળ. છોકરો ગયો ક્યાં? પારુલને ના કરવાના વિચારો પણ આવી જાય છે. બાળકની બાબતમાં માતાથી વધુ ચિંતા કોને થાય? 


એક માતાની મનોદશાનું સરસ આલેખન. સરસ રજૂઆત. (માર્ચ ૨૦૨૪)


છ જણાનું ફેમિલી (સતીશ વૈષ્ણવ)


મૈત્રીભાવનાની વાત.


ઘરનાં એકાદ સભ્યની માંદગી પ્રસંગે આખા ઘરનું રુટિન અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે. નવીનની પત્નીને હોસ્પિટલાઈઝ્ડ કરી હોય એવા પ્રસંગે ફાજલ પડેલું સ્કુટર નવીનને આપવા માટે ફાલતુ કારણસર મોટો ભાઈ ના પાડી દે છે. એવા સમયે નવીનની મદદે આવે છે એનો મિત્ર કુલીન.  કુલીન બધું જ સંભાળી લે છે. નવીનના પુત્રને પોતાને ઘેર લઈ જાય જેથી તેને પોતાના દીકરાની એટલે કે સમવયસ્ક મિત્રની સોબત રહે છે.  નવીનની સગવડ માટે એ પોતાની કાર ડ્રાઈવર સહિત ફાળવી દે છે. એ કહે છે, તમે ત્રણ (પતિ-પત્ની-બાળક) અને અમે ત્રણ એમ છ જણાનું એક જ ફેમિલી છે. 


પોતાનાં મોં ફેરવી લે છે ત્યારે મિત્ર કામ આવે છે. વિગતવાર સમજૂતીઓ આપતી રજૂઆત.  (માર્ચ ૨૦૨૪)  


ધણીપણું (સુરેખા બાપટ લિખિત મૂળ મરાઠી વાર્તા,અનુ. આશા વીરેન્દ્ર)


વર્ષો સુધી જીવનસાથી પત્નીની લાગણીઓની ઉપેક્ષા કર્યા પછી એની પાસેથી સ્નેહાળ પ્રતિસાદની અપેક્ષા રાખતા પતિને સરિયામ નિષ્ફળતા મળે છે. નાનકડી પણ મઝાની વાર્તા. (માર્ચ ૨૦૨૪)


ચાર વળની વીંટી (અમી ઠક્કર)


સતત ચેતવણીઓ આપ્યા પછી પણ પતિ શેરબજારમાં રમતો રહે છે. એક દિવસ એ મોટું નુકસાન કરી બેસે છે. ઘર વેચાઈ જાય છે. પત્નીના દાગીના વેચવાની સ્થિતિ આવી જાય છે. નાયિકા પોતાને બહુ જ ગમતી ચાર વળની વીંટી રાખી લે છે પણ છેવટે એ પણ એને આપી દેવી પડે છે.


નાયિકાની કપરી મનોદશાનું સરસ આલેખન. સરસ વાર્તા. (માર્ચ ૨૦૨૪)


પૂર્ણ ચક્ર (અશોક નાયક)


બે કોમના સભ્યો વચ્ચેની મૈત્રી કોમી રમખાણો પછી પણ અકબંધ રહે છે એટલુું જ નહીં બીજી પેઢી સુધી બરકરાર રહે છે. પાત્રોના વર્ણાનુપ્રાસ નામો જેમ કે મજીદ-મનહર, સલમા-સુરેખા, આમિર-અમર વગેરે, ધ્યાનાકર્ષક છે.  ધર્મના અનુયાયીઓ માટે બોધપ્રધાન રચના. (માર્ચ ૨૦૨૪)


મહીં તો બધાં ભેગાં ને ભળેલા (સ્વાતિ મેઢ)


વ્યંગકથા.


ઉનાળાના દિવસોમાં ભવાનકાકાના ફાર્મહાઉસમાં ગાયો, ભેંસો, બકરીઓ અને મરઘાંએ હડતાળ પાડી. કેમ તો કે આવા સખત તાપમાં માલિકો એરકંડીશન્ડ બંગલામાં સૂએ અને પોતે ગમાણમાં બંધ બારણે સૂવાનું? પાળેલાં પ્રાણીઓએ દૂધ આપવાનું બંધ કર્યું, મરઘાંએ ઈંડા મૂકવાનું બંધ કર્યું. એક જ નારોઃ હમારી માંગે પૂરી કરો! 


મઝાની હાસ્યવાર્તા. 


“ડૂબતો શું ન કરે?” વાર્તામાં આવો એક શબ્દપ્રયોગ થયો છે. આ શબ્દપ્રયોગ હિન્દી ભાષાના શબ્દપ્રયોગ “મરતા ક્યા ના કરતા” નો શાબ્દિક અનુવાદ છે. આવી સ્થિતિ  માટે આપણી ભાષામાં સમાનાર્થી કહેવત છેઃ ડૂબતો માણસ તરણું ઝાલે.” (એપ્રિલ ૨૦૨૪)


એલી હાઉસ (ગિરા પિનાકિન ભટ્ટ)


એકાદ વર્ષથી પણ વધારે સમયથી ચાલી રહેલાં રશિયા-યુક્રેન યુધ્ધની વિનાશક અસર બાળકો પર પણ પડી છે. એમની દુર્દશા કોઈ પણ સંવેદનશીલ માણસને હચમચાવી દે એવી છે. અસરકારક આલેખન.


સાંપ્રત અને આંતરરાષ્ટ્રીય દુર્ઘટનાની અસર આપણી વાર્તાઓમાં ઝીલાય તે અગત્યનું છે. સારી વાર્તા. (મે ૨૦૨૪)


રસ્તો (ડો. કિશોર પંડ્યા)


નવરાત્રિના દિવસોમાં વરસાદના કારણે ગરબાશોખીનોની હાલત ખરાબ થઈ જાય છે કારણ કે રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા. અમર અને સુમિત્રાની બાઈક પાછળ મવાલીઓની બે-ચાર બાઈકસવારો પડે છે પણ તેઓ એમના મલિન ઈરાદાઓમાં સફળ થતાં નથી. કારણ?  રસ્તામા ઠેર ઠેર પડી ગયેલાં લાંબા-પહોળા અને ઊંડા ભૂવાઓ.


વાર્તા અધૂરી જણાય છે. મવાલીઓને કાદવ-કીચડમાં પડવા દેવા જોઈતા હતા. રાહદારીઓ એમની સ્થિતિ પર હસે એવું વાતાવરણ સર્જવું જોઈતું હતું અથવા પોલીસના હાથે એમની ધુલાઈ થાય છે એવું કંઈક બતાવવું જોઈતું હતું. (મે ૨૦૨૪) 

 

ચિત્રમાં ખિસકોલી (ધર્મેશ ગાંધી)


લાંબા અંતરના પ્રવાસમાં ટ્રેનમાં અદિતિ વડાપાંઉ ખાતી એક બાળકીને ચિત્રપોથીમાંની ક્વિઝનો ઉકેલ શોધતી જુએ છે, ક્વિઝ છે જંગલમાં છુપાયેલી ખિસકોલીને શોધી કાઢવાની. 


ચિત્રમાંની ખિસકોલી સાથે અદિતિ સમાનુભૂતિ અનુભવે છે. જંગલી જાનવરોથી બચવા જેમ ખિસકોલી છૂપાઈ ગઈ છે એમ એક સમયની જાણીતી ગ્લેમરક્વિન અદિતિ પણ સમાજમાં સભ્યતાના અંચળા હેઠળ રહેલાં લોલુપ પુરુષોથી બચવા ફેશનની દુનિયાથી દૂર જઈ રહી છે.


એક તરફ  અદિતિની છબીવાળો છાપાંનો કાગળ અદિતિ બહાર ફેંકી દે છે અને બીજી તરફ નાનકડી બાળકી ખિસકોલીના ચિત્રમાં રંગ પૂરવા માંડે છે. અદિતિ પણ એક નવી ઓળખની શોધમાં આગળ વધી રહી છે. હકારાત્મક અંત. સારી વાર્તા. (મે ૨૦૨૪) 

–કિશોર પટેલ, ૨૨ જૂન ૨૦૨૪.


###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

### 

Posted on Facebook on 22 June 2024, 0905 hrs.

  










 






Thursday, 20 June 2024

નવચેતન જાન્યુ. ૨૦૨૪ અને ફેબ્રુ. ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ





 નવચેતન જાન્યુ. ૨૦૨૪ અને ફેબ્રુ. ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ



નિહારિકા (વંદના શાંતુ-ઈન્દુ)


રેવા નામની એક યુવતીનું પાત્ર નિહારિકાએ પોતાની એક વાર્તામાં સાકાર કર્યું છે. એ રેવા એનાં સ્વપ્નામાં આવે અને ગામડે બોલાવે. પતિ અને ઘર છોડીને નિહારિકા અજાણી દિશામાં ચાલી નીકળે અને વેરાન રેલ્વે સ્ટેશનના ભેંકાર વિસ્તારમાં કોઈ ગેબી શક્તિના સહારે એકલી રહે. આસપાસનાં ગ્રામ્યજનોનો સાથ-સહકાર મેળવીને એ ગામના વિકાસ માટે કામ કરે. દરમિયાન અદ્રશ્ય રહીને રેવા નિહારિકાને પ્રેરણા આપતી રહે. પ્રત્યક્ષમાં બંધ પડેલાં જે તે રેેલ્વે સ્ટેશનનો સાંધાવાળો અને તેની પત્ની નિહારિકાની સગવડ સાચવે. જમીની હકીકતો સાથે સંકળાઈને નિહારિકા કામ કરે એટલે ગ્રામજનોનો પ્રેમ અને આદર મળે. નિહારિકાની સફળતાની ખબર ચારેકોર ફેલાતાં એના સમાજકાર્ય વિશે દસ્તાવેજી ફિલ્મ પણ બને. 


વાર્તામાં વાસ્તવિકતા અને અતિવાસ્તવનું મિ઼શ્રણ છે. નાયિકાએ લેખક તરીકે સર્જેલું પાત્ર એને દેખાય પણ અન્ય કોઈને ના દેખાય એટલો હિસ્સો ચમત્કારનો ગણીએ તો બાકીનું બધું વાસ્તવિકતામાં ઘટે છે.


નિહારિકાએ સમય અને શક્તિ ફાળવીને કરેલુ કાર્ય જેટલું  સમાજ માટે જેટલું ઉપયોગી હતું એના કરતાં કંઈકેટલા ગણું એના પોતાના માટે પણ હતું. એની સમજ અને શક્તિ ના ઓળખી શકનાર પતિ માટે એ કેવળ ઈચ્છાપૂર્તિનું સાધન હતી. નિહારિકાએ સમાજકાર્ય કરીને પોતાની જાતને રીડિસ્કવર કરી, સાબિત કરી,સ્થાપિત કરી.   


નારીશક્તિની વાર્તા, ફિલગુડ વાર્તા. (જાન્યુઆરી ૨૦૨૪)


વાવાઝોડું ફંટાઈ ગયું (પ્રસિધ્ધ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ લિખિત મૂળ બંગાળી વાર્તા,અનુ. ડો. કિશોર પંડ્યા)


બંગાળના અખાત પર ત્રાટકનારું વાવાઝોડું કોઈ ગેબી રીતે ફંટાઈને કોઈ નુકસાન કર્યા વિના ચાલી ગયું. વિશ્વના મોટા મોટા વૈજ્ઞાનિકો જેનું રહસ્ય સમજી શકયા નહીં એ ઘટનાનું રહસ્ય આ વાર્તાનો કથક સમજાવે છે. ડોકટરની સલાહ મુજબ હવાફેર માટે નીકળેલા કથકે જહાજમાંથી દરિયાની સપાટી પર કેશવર્ધક તેલ રેડ્યું અને વાવાઝોડું ફંટાઈને ચાલ્યું ગયું. મામલો ખતમ.


કથક વિજ્ઞાનનો એક નિયમ સમજાવે છેઃ “પાણીની ખળભળતી સપાટી તેલને લીધે શાંત થઈ જાય છે.” (જાન્યુઆરી ૨૦૨૪)


નભાઈ (અનંતરાય મારુ)


પિયરમાં ભાઈ વિનાની કન્યાને પુત્રવધુ તરીકે પસંદ કરવામાં અચકાતાં સ્મિતાબેન અને બકુલભાઈને વનિતાના પિતા વામનરાય સંભળાવી દે છે કે “દીકરા-દીકરીમાં ભેદ કરનારાંઓનાં ઘરમાં અમારે જ દીકરી આપવી નથી.”


પોતાની દીકરીને “નભાઈ” કહીને અપમાનિત કરનારાં માણસોને ગાલે તમાચો પડે એવી રીતે સંભળાવી દેનારા પિતા શાબાશીને પાત્ર છે. આવા વલણથી સમાજમાં જાગૃતિ આવવાની આશા રાખી શકાય. 


નાનકડી પણ ચોટદાર વાર્તા.


ગંભીર ભૂલઃ 


એક ઠેકાણે કન્યાના માતાપિતા તરીકે “બકુલભાઈ અને શારદાબહેન” એવાં  નામ લખાયાં છે તે સરતચૂક છે. ત્યાં “વામનરાય અને શારદાબેન” હોવું જોઈએ. બકુલભાઈ તો ઉમેદવાર વિનયના પિતાનું નામ છે. આ ભૂલ લેખકના ધ્યાનમાં ના આવી, સંપાદકના ધ્યાનમાં ના આવી, પરામર્શકના પણ ધ્યાનમાં ના આવી! પ્રુફરીડરનો તો આમાં વાંક છે જ નહીં.  (પૃષ્ઠ ૨૯, પહેલી કોલમ, નીચેથી દસમી લાઈનમાં આ ભૂલ થઈ છે.) (જાન્યુઆરી ૨૦૨૪)


બંસીલાલનો બાંકડો (દીના પંડ્યા)     


બંસીલાલની સ્મૃતિમાં સોસાયટીના કોમન પ્લોટમાં એક બાંકડો મૂકાયો છે.  નવરાશના સમયે એ બાંકડા પર બેસીને શારદાબેન પતિની યાદોને વાગોળતાં રહે છે. એક દિવસ પતિની પૂર્વપ્રેમિકા રમીલા ત્યાં આવી ચડે ત્યારે શારદાબેન બાંકડા પર પહોળાં થઈને બેસે  છે. શારદાબેનનાં મનમાં રહેલો પતિ પ્રત્યેનો માલિકીભાવ રમીલાને એ બાંકડે બેસવા દેતો નથી. માણસના મનની આ ગરીબી એક તરફ રમૂજ અને બીજી તરફ દયાભાવ પેદા કરે છે. રસપ્રદ વાર્તા. (ફેબ્રુઆરી ૨૦૨૪)


આઈનો (નિધિ મહેતા)


ઉચ્ચ હોદ્દા પર રહેલા માણસનો રોફ એ હોદ્દા પર હોય ત્યાં સુધી જ રહે છે. એક વાર એ હોદ્દો છૂટી ગયો કે એની સાથે જ એનો રુવાબ પણ જતો રહે છે. એક કહેવત છેઃ ઉતર્યો અમલદાર કોડીનો.


બોધપ્રધાન વાર્તા. સમજૂતી આપતી અત્યંત સરળ રજૂઆત. (ફેબ્રુઆરી ૨૦૨૪)


ભરોસો (જયેશ સુથાર)


રાતના અંધકારમાં ઘર સુધીના લાંબા રસ્તે ગામના જ પરિચીત જતીનનો સંગાથ હતો એટલે જોખમ સાથે પ્રવાસ કરતા સુમનને નિરાંત હતી. પણ રસ્તે કોઈ ઓળખીતાનું વાહન મળી જતાં જતીન સુમનને છોડીને જતો રહે છે. આમ સુમનનો જતીન પરનો ભરોસો તૂટી જાય છે. 


આજના સમયમાં માણસ સ્વાર્થી બનતો જાય છે એનું એક ઉદાહરણ. સરળ રજૂઆત. (ફેબ્રુઆરી ૨૦૨૪)


સરોવરની ચાંદની (ગંગાધર ગોપાળ ગાડગીલ લિખિત મૂળ મરાઠી વાર્તા, અનુ.આરતી સંતોષ)


પત્ની જોડેના પ્રસન્ન દાંપત્યજીવનની સ્મૃતિઓ. કથકની પત્નીનું અવસાન કદાચ યુવાન વયે જ થયું હોય એવું જણાય છે. કથકનું સંવેદનશીલ માનસ સરસ રીતે પ્રગટ થાય છે. (ફેબ્રુઆરી ૨૦૨૪)


–કિશોર પટેલ, ૨૧ જૂન ૨૦૨૪.

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

### 



       







    




   





Wednesday, 19 June 2024

એતદ માર્ચ ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ





 એતદ માર્ચ ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ


એનિથિન્ગ એવરીથિન્ગ (સુમન શાહ)

ફેન્ટેસી.

પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર પધ્ધતિએ રજૂ થયેલી વાર્તામાં એક નવા વૈચિત્ર્યસભર શહેરની કલ્પના થઈ છે.

ડબ્બુ નામના એક મિત્રના આમંત્રણથી કથક એનિથિન્ગ એવરીથિન્ગ નામના શહેરમાં ગયો છે. અહીંના લોકો સંતાનને જન્મ આપવામાં માનતા નથી. સ્ત્રી-પુરુષ જોડે રહે છે ખરાં, એકાદ પ્રાણી પાળે છે. ત્રણ ચોક્કસ વાક્યો સિવાય વધારાનું તેઓ કંઈ બોલતાં નથી. જરુર પડ્યે ઈશારામાં કે સ્પર્શની ભાષામાં વાત કરે છે કારણ કે તેઓ ભાષા બોલવાનું જ ભૂલી ગયાં છે. 

કહે છે કે આપણી આવતી કાલને કવિ આજે જોઈ શકે છે. 

રસપ્રદ રજૂઆત. 

પચાસ ટકા…પચાસ ટકા (રજનીકુમાર પંડ્યા)


મનોવૈજ્ઞાનિક વાર્તા.


દીકરી પોતાની છે કે પત્નીના પૂર્વપતિની એ વિશે નાયકને શંકા છે. પત્ની ખાતરી આપે છે કે એની જ છે પણ નાયકને એમ છે કે એ તો એવું જ કહેવાની. એક તરફ એને એમ થાય કે પત્ની સાચી પણ હોય. બીજી તરફ એને થાય કે એને સારું લગાડવા માટે એ ખોટું પણ બોલતી હોય. આમ નાયકને  પત્ની ઉપર કાયમ પચાસ ટકા વહેમ રહે અને પચાસ ટકા વિશ્વાસ રહે છે. આ વહેમ એના મનમાં એવો સજ્જડ રીતે ઘર ઘાલી ગયો છે કે માનસિક રોગોના નિષ્ણાત પણ નાયકના મનમાંની આ ગ્રંથિ દૂર કરવામાં નિષ્ફળ રહે છે. યોગાનુયોગે  જે પીડાનો ઈલાજ એ કોઈ પ્રકારે કરી શકતો નથી એ પીડાને કોઈકની જોડે વહેચી લેવાનો રસ્તો મળી જાય છે. 


કેવી રીતે? એ માટે તો મિત્રો આ વાર્તા તમારે વાંચવી પડે.


વરિષ્ઠ વાર્તાકાર પાસેથી મળેલી નમૂનેદાર વાર્તા.


ખડગપુરનો છોકરો (વિજય સોની) 


ખડગપુરના એક શ્રમજીવી માતાપિતા પોતાના કિશોરવયના દીકરાને એક પરિચીત બંગાળી કારખાનેદાર જોડે નોકરી કરવા અમદાવાદ મોકલે છે. અમદાવાદમાં કારખાનેદારની યુવાન પત્ની આ કિશોરનું જાતીય શોષણ કરે છે. કિશોર માટે સ્થિતિ ના કહેવાય ના સહેવાય એવી થઈ પડે છે. 


ઘરેણાં ઘડવાના કારખાનાનો પરિવેશ આબાદ ઊભો થયો છે. ત્યાં એના જોડીદારોનાં અને એમની રહેણીકરણીનું વાસ્તવિક આલેખન. મુખ્ય વાત તો એ કે  કિશોરવયના નાયકનું ભાવવિશ્વ સરસ ઊભું થયું છે. એની મૂંઝવણ, એની સમસ્યા ઈત્યાદિનું સરસ આલેખન. પ્રતિભાશાળી  વાર્તાકાર પાસેથી મળેલી સરસ વાર્તા.


ભીનાં પગલાં (નીલેશ મુરાની)


સ્થૂળ દ્રષ્ટિએ આદર્શ ગૃહિણી કહી શકાય એવી સંગીતા સામેના મકાનમાં રહેતા એક નવરાધૂપ રોમિયોથી પરેશાન હોય એવું ચિત્ર ઊભું થાય છે. હકીકતમાં વાત કંઈક જુદી જ છે. કોણ કોની જોડે દિવસભર આંખમિંચોલીનો ખેલ ખેલે છે.એ જાણવા તો આ વાર્તા વાંચવી રહી.  રસપ્રદ આલેખન, યુવા વાર્તાકારની મઝાની નાનકડી વાર્તા.


રોબર્ટ સ્કોટ સચિવાલય આવ્યો હતો? (જિગર સાગર)


દક્ષિણ ધ્રુવ સર કરવાની હોડમાં રોબર્ટ સ્કોટને હરાવીને રાલ્ડ એન્ડરસન વિજયી નીવડેલો. માત્ર થોડીક સેકન્ડના તફાવતથી પરાજિત થયેલો રોબર્ટ સ્કોટ હતોત્સાહ થઈને એની સંપૂર્ણ ટીમ જોડે બરફના તોફાનમાં સપડાઈને મૃત્યુ પામે છે.


વાર્તા રોબર્ટ સ્કોટની નથી. એની કહાણી એક રુપક બને છે સાહિલ માટે. સાહિલ પદાર્થવિજ્ઞાનનો મેઘાવી વિધાર્થી છે પણ કૌટુંબિક પરિસ્થિતિના કારણે અભ્યાસ અધૂરો મૂકી એણે સરકારી નોકરી પકડી લેવી પડે છે. નોકરીમાં એનું શોષણ થાય છે પણ એ સહન કરવા સિવાય એની પાસે કોઈ પર્યાય નથી.


વાર્તાની રજૂઆત રસપ્રદ છે.  ઠેર ઠેર રંગોની વિગતવાર વાત થઈ છે. ચીજવસ્તુઓની ગણતરી અને આંકડાવાર માહિતી વગેરે વિગતો સાહિલના પાત્રાલેખન જોડે મેળ ખાય છે. ઉપરી અધિકારી દ્વારા દોસ્ત દોસ્ત કહીને સાહિલનું શોષણ કરવું વગેરે ધ્યાનાકર્ષક છે.


બે શબ્દો (ઈસાબેલ આલ્યનડે, અનુવાદ મહેન્દ્ર દક્ષિણી)


કવિયત્રી અને જુલ્મી લૂંટારા સરદારની પ્રેમકથા.


અહીં નાયિકાને એક યુનિક કહી શકાય એવો વ્યવસાય કરતી બતાવાઈ છે. એ શબ્દોનો વેપાર કરે છે. આપણે એવું ધારી શકીએ કે એ સર્જક હતી, લેખક, કવિ, નિબંધકાર હતી, ટૂંકમાં લેખનકળામાં પારંગત હતી. 


પ્રેમની શક્તિ ભલભલા પાષાણહ્રદયીને પણ પુષ્પ સમાન ઋજુ બનાવી શકે છે એની પ્રતિતી આ વા્ર્તામાંથી મળે છે.


બર્ડ વોચિંગ (કામિની સંઘવી)


આ  રચના વાર્તા, નિબંધ, પ્રવાસવર્ણન, ડાયરીલેખન વગેરેમાંથી એકાદ પ્રકારની છે અથવા એકસાથે આ બધું જ છે. શીર્ષક “બર્ડ વોચિંગ”  છે. અહીં ગણીને સોળ પક્ષીઓના નામ-વર્ણન છે. ટૂંકમાં, શીર્ષક સાર્થક થાય છે.


હા, વાર્તા પણ છે. જાણીતા લેખક ચંદ્રકાંત બક્ષીનો હવાલો આપીને પતિ પત્નીને કહે છે કે ઘેર જતાં પહેલાં ગાડી બેંક તરફ લઈ લે, તને વિધવા બનતાં શીખવવું છે. પણ પત્ની ગાડી ધરાર ઘર તરફ જ હંકારી જાય છે. એ કહે છે, તમે પહેલાં વિધુર બનતાં શીખો.     


…પછેં દલજી દલમેં રિયેં (દિક્પાલસિંહ જાડેજા)


દૂધાળા પશુપ્રાણીઓ જોડે વિહરતા રહેતા એક માલધારી પાસે વાર્તાઓનો ખજાનો છે. એક વાર કથકને એ પોતાની જ કથા કહે છે કે શા માટે એની ન્યાતે એને બાર વર્ષ માટે ન્યાત બહાર કરી દીધો હતો. જે તે પ્રદેશની બોલીનો સરળ અને સહજ પ્રયોગ નોંધનીય.


—કિશોર પટેલ, ૨૦ જૂન ૨૦૨૪.


###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###