Sunday 28 January 2024

બાલભારતીમાં વાર્તાપઠન ૨૭ જાન્યુઆરી ૨૦૨૪




 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૭ જાન્યુઆરી ૨૦૨૪

(૩૩૦ શબ્દો)

શનિવાર તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૪ ની સાંજે જ્યારે સમગ્ર મુંબઈ શહેર આહ્લાદક ઠંડીની પકડમાં જકડાયેલું હતું ત્યારે થોડાંક રસિકજનો મુંબઈના પશ્ચિમના પરાં કાંદીવલીમાં બાલભારતી ખાતે ટૂંકી વાર્તાની ઉષ્મા માણી રહ્યાં હતાં. આ વખતે આયોજકોનું આહ્વાન હતું કે વાર્તાકારોએ વાર્તાની રજૂઆતની સાથે સાથે જે તે વાર્તાની સર્જનપ્રક્રિયા વિશે પણ વાત કરવી.  

સૌપ્રથમ રાજુલ ભાનુશાલીએ સ્વપરિચય આપ્યો અને વાર્તા “ભૂખ”ની રજૂઆત કરી. પંચરંગી શહેરમાં રહેતું એક નિમ્નવર્ગિય દંપતી પોતાના દીકરાના પેટની આગ બુઝાવવા કેવો સંઘર્ષ કરે છે એની હ્રદયવિદારક વાત એ વાર્તામાં હતી.

સર્જનપ્રક્રિયા વિશે વાત કરતાં રાજુલ ભાનુશાલીએ કહ્યું કે એમને વાર્તાઓ રોજબરોજનાં જીવનમાંથી અને આસપાસનાં વાતાવરણમાંથી મળે છે. વાર્તા “ભૂખ” વિશે ફોડ પાડતાં એમણે કહ્યું કે કેટલીક વાર લેખક સ્વયં નહીં પણ અવતરણ કરવા માટે વાર્તા પોતે લેખકની પસંદગી કરતી હોય છે.

બાલભારતીની ઓળખ બની ગયેલી વિશિષ્ટ કોફીનું સહુએ રસપાન કર્યા પછી કાર્યક્રમના બીજા તબક્કામાં અનિલ રાવલે સ્વપરિચય આપતાં કહ્યું કે કોમર્સના વિષયો સાથે તેઓ સ્નાતક થયા પરંતુ આંકડાબાજી કે હિસાબકિતાબ સાથે એમને બહુ લેણાદેણી નહોતી. નાટકોમાં એમને વધુ રસ પડતો હતો. અભ્યાસ પૂરો થયા બાદ આજીવિકા માટે તેઓ અખબારી દુનિયામાં આવ્યા અને આજીવન પત્રકાર બની રહ્યા.

અનિલ રાવલે વાર્તા રજૂ કરીઃ “ડોસી અને લુખ્ખો.” કાર્યક્રમની પહેલી વાર્તાની જેમ આ વાર્તા પણ હાંસિયામાં રહેતા સમાજની હતી. આજના સ્પર્ધાત્મક જગતમાં એક ભિખારણે પણ પ્રોટેક્શન મની ચૂકવવા પડે છે એવો સૂર એ વાર્તાનો હતો. પછી ચાલેલી ચર્ચા દરમિયાન વાર્તાકારે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ડોસી અને લુખ્ખાનો સંબંધ ડોસીના કેવળ પ્રોટેક્શન પૂરતો સીમિત ના રહેતાં એકબીજાનાં આપ્તજન જેવો બની ગયો હતો.   

આ વાર્તાની સર્જનપ્રક્રિયા વિશે વાત કરતાં વાર્તાકારે કહ્યું કે એમણે તો આ વાર્તાની કલ્પના એક લઘુફિલ્મ તરીકે  કરી હતી. એના દ્રશ્યો એમણે પોતાનાં અંતર્મનમાં પહેલાં જોયા અને પછી એનો સ્ક્રીનપ્લે પણ લખ્યો.  પણ ફિલ્મ બનાવવાનો યોગ કદાચ આવ્યો નહોતો એટલે મૂળ વિચારને સાચવી રાખવા એમણે વાર્તા લખી કાઢી. વાર્તાની પ્રેરણા માટે તેઓ રાજુલ ભાનુશાલી સાથે સહમત થયા હતા કે હા, કેટલીક વાર્તાઓ લેખક નથી લખતો પણ વાર્તા પોતે લેખકને પસંદ કરીને અવતરતી હોય છે.

એકંદરે મઝાની સંધ્યા!

--કિશોર પટેલ, 29-01-24 09:23

* * *

 

ભવનની એકાંકીસ્પર્ધા

 





ભવનની એકાંકીસ્પર્ધા

 

પરફોર્મિંગ આર્ટસમાં નાટકની વાત જ્યાં સુધી થાય ત્યાં મુખ્ય ધારામાં પૂર્ણ કદનાં નાટકો (બે થી અઢી કલાક ચાલે એવાં બે અથવા ત્રણ અંકના નાટકો) ની ભજવણી થતી હોય છે. એક અંકનાં એટલે કે ત્રીસ મિનિટથી માંડીને પિસ્તાલીસ મિનિટની સમયમર્યાદામાં ભજવાતાં એકાંકીઓ સમાંતર અથવા પ્રાયોગિક પ્રવાહની નાટ્યપ્રવૃત્તિ ગણાય છે.

મુખ્ય ધારાનાં નાટકો સામાન્યતઃ નિયમિત પ્રેક્ષકોનું મનોરંજન કરતાં હોય છે. સમાંતર પ્રવાહનાં નાટકો (એકાંકીઓ અને એકાંકીઓની સ્પર્ધાઓ) પ્રેક્ષકો માટે મનોરંજન ઉપરાંત રંગભૂમિ માટે નવી પ્રતિભા પણ પૂરી પાડતાં હોય છે. કોઈ પણ સમયે જેટલી આવશ્યકતા મુખ્ય ધારાનાં નાટકોની હોય છે એટલી જ આવશ્યકતા સમાંતર ધારાનાં નાટકોની પણ હોય છે.   

ઈ.સ. ૨૦૧૪ માં શરુ થયેલી ભારતીય વિધા ભવનની અદી મર્ઝબાનની સ્મૃતિને સમર્પિત જાહેર એકાંકી સ્પર્ધાની સાતમી આવૃત્તિના પ્રiથમિક ચરણમાં સોમવાર ૮ જાન્યુઆરીથી ગુરુવાર ૧૧ જાન્યુઆરી એમ ચાર દિવસોમાં કુલ ૨૧ એકાંકીઓની રજૂઆત થઈ.  શનિવાર તા ૧૩ જાન્યુઆરી ૨૦૨૪ ની સાંજે ભવન ખાતે સ્પર્ધાનાં અંતિમ ચરણમાં છ એકાંકીઓ રજૂ થયાં. આ સર્વે છ એકાંકીઓનાં વિષય-વસ્તુ અને રજૂઆત એકમેકથી ભિન્ન અને રસપ્રદ હતાં. એક નજર આ એકાંકીઓ પરઃ

૧. કામરુ (લેખકઃ ડો. સતીશ વ્યાસ, દિગ્દર્શનઃ  ડો. વિક્રમ પંચાલ-ડો. શૌનક વ્યાસ. પ્રસ્તુતકર્તાઃ સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ)  

પુરુષમાત્રની હાજરી નિષિધ્ધ હોય તેવા રાજ્યમાં અકસ્માતપણે પુરુષ પ્રવેશી જતાં શું ઉથલપાથલ થઈ જાય છે તેની કળાત્મક રજૂઆત. સમૂહનૃત્યના દ્રશ્યો સંગીતના સથવારે સરસ રચાયાં. મુખ્ય પાત્રોમાં કળાકારોનો અભિનય પ્રભાવી.

૨. ડાયલના પંખી (લેખકઃ ચીનુ મોદી, રક્ષા પ્રોડક્શન, અમદાવાદની પ્રસ્તુતિ)

જૂનાં એબસર્ડ એકાંકીની નવી ભાતીગળ રજૂઆત. સમય સર્વોપરી છે એ વિચાર અહીં અધોરેખિત થાય છે. કવિના લખેલા મૂળ એકાંકીમાં કેવળ બે પાત્રો છે જ્યારે અહીં અડધો ડઝનથી વધુ પાત્રોના સથવારે ભજવણી થઈ છે. ઘડિયાળનો સેટ આ એકાંકીનું આકર્ષક પાસું છે. ૩. ૬. ૯ અને ૧૨ ના આંકડા માટે અભિનેતાઓ જુદી જુદી સ્થિતિમાં સ્થિર બેઠાં છે અને સેકન્ડ કાંટો પૂરઝડપે દોડતો દેખાડવા એક નટી વેગપૂર્વક ચાલતી રહે છે.

૩. પિક્ચર... હજી બાકી છે. (મીઠીબાઈ કોલેજ, મુંબઈની પ્રસ્તુતિ)

મનપસંદ કારકિર્દી બનાવવા માણસે સંઘર્ષ કરવો પડે છે. પૂરી એકાગ્રતાથી પ્રયાસ કરીએ ત્યારે કુદરત પણ માણસને મદદ કરે છે એવો સંદેશો આપતું એકાંકી. કોર્પોરેટ ઓફિસ અને મધ્યમવર્ગીય ઘર એમ બે લોકાલમાં આકાર લેતું એકાંકી. મુખ્ય ભૂમિકામાં ખુશી આચાર્યનો અભિનય નોંધનીય.

૪. વિતરાગ શાહ આપઘાત કરે છે. લેખક-દિગ્દર્શનઃ વિતરાગ શાહ, કર્ટન કોલ પ્રોડક્શન, સુરતની પ્રસ્તુતિ.

જીવનમાં જીવવા જેવું ઘણું છે. હતાશા ખંખેરી હકારાત્મક દ્રષ્ટિએ જોઈએ તો આપઘાત કરવાને બદલે સંઘર્ષ કરીને જીવવાનો ઉત્સાહ જગાવે એવું એકાંકી. મુખ્ય પાત્રોમાં ડો. ધૈવત ઉપાધ્યાય અને સહકળાકાર બંનેનો અભિનય નોંધનીય.

૫. દ્રષ્ટિ (યોગેશ સોમણ લિખિત મૂળ મરાઠી કૃતિનું ગુજરાતી રુપાંતર, દિગ્દર્શનઃ ડિંકેશ કનાઢિયા, આર્ટિસ્ટિક ગ્રુપ ઓફ થિયેટર, સુરતની  પ્રસ્તુતિ)

દ્રષ્ટિહીન યુવતી અને એના પ્રશિક્ષક વચ્ચેના સંબંધની અનોખી વાત. એક ટ્રેનર એની દ્રષ્ટિહીન શિષ્યાને “જોતાં” શીખવે છે. કમાલની વાત એ છે કે ટ્રેનર પોતે પણ દ્રષ્ટિહીન છે! ઝડપથી ફેંકાતા દડાને ઝીલતાં શીખવવાનું દ્રશ્ય બેનમૂન. યુગ્મનૃત્યનું દ્રશ્ય ખૂબ જ સુંદર. મુખ્ય પાત્રોમાં બંને કલાકારોનો નૈસર્ગિક અભિનય. ટ્રેનરના ઘરનો સેટ અને પ્રકાશયોજના કલાત્મક.  

૬. લિટોડાં (લેખક-દિગ્દર્શકઃ દ્રષ્ટિ દોડિયા, કલાજીવી, વડોદરાની પ્રસ્તુતિ.)

લગ્નોત્સુક યુવક અને યુવતીની મુલાકાત. યુવતી સોશિયલ મિડીયામાં ઈન્ફ્લુએન્સર છે અને સતત ઓનલાઈન રહે છે. યુવક સરળ સ્વભાવનો પણ વ્યવહારુ અભિગમ ધરાવે છે. એ યુવતીને આભાસી દુનિયામાં જીવવાને બદલે વાસ્તવિક દુનિયામાં જીવવાની સરળ તરકીબો શીખવે છે. પણ આ મુલાકાત એક મોટો ગોટાળો હોય છે. યુવકે જે કન્યાને જોવાની હોય એ તો એના માતાપિતા જોડે યુવકનાં ઘેર પહોંચી ગઈ છે અને યુવતીએ જેને મળવાનું હોય એ યુવક મોડેથી આવે છે! મુખ્ય પાત્રોમાં દ્રષ્ટિ દોડિયા અને કિરણ પંડ્યા બંનેનો અભિનય ઉમદા.

* * *

સ્પર્ધાના પ્રાથમિક ચરણમાં એકવીસ એકાંકીઓ રજૂ થયાં. આ એકવીસ એકાંકીઓમાંથી વિષય-રજૂઆતની દ્રષ્ટિએ ચડિયાતાં જણાયેલાં છ એકાંકીઓને અંતિમ ચરણમાં મોકલવાની કામગીરી બજાવી જાણીતા કવિ-ગીતકાર-નાટ્યલેખક દિલીપ રાવલ, ગુજરાતી નાટકો અને ફિલ્મોનાં જાણીતા  અભિનેતા ધર્મેન્દ્ર ગોહિલ અને વાર્તાકાર-નાટ્યસમીક્ષક કિશોર પટેલે. અંતિમ ચરણમાં નિર્ણાયકોની ભૂમિકા કામગીરી સંભાળી ગુજરાતી નાટકો અને હિન્દી ફિલ્મોના જાણીતા લેખક પ્રકાશ કાપડિયા, જાણીતા નાટ્યદિગ્દર્શક રાજુ જોશી અને જાણીતા નાટ્યદિગ્દર્શક અંશુમાલી રુપારેલે. અંતિમ સ્પર્ધાનું પરિણામ આ પ્રમાણેઃ

૧. સંન્નિવેશના શ્રેષ્ઠ ઉપયોગ માટે છેલ-પરેશ એવોર્ડઃ વનરાજ સોલંકી (ડાયલના પંખી)

૨. સંગીતના શ્રેષ્ઠ ઉપયોગ માટે દિલીપ ધોળકિયા એવોર્ડઃ પ્રથમેશ ભટ્ટ (કામરુ)

૩. પ્રકાશયોજનાના શ્રેષ્ઠ ઉપયોગ માટે રમેશ જમીનદાર એવોર્ડઃ ડિન્કેશ કનાઢિયા (દ્રષ્ટિ)

૪. શ્રેષ્ઠ અભિનય પ્રથમ સ્થાન (સ્ત્રીકલાકાર) માટે દીના પાઠક એવોર્ડઃ ક્રિષ્ણા પંચાલ (દ્રષ્ટિ)

૫. શ્રેષ્ઠ અભિનય દ્વિતીય સ્થાન (સ્ત્રીકલાકાર) માટેઃ દ્રષ્ટિ દોડિયા (લિટોડાં)

૬. શ્રેષ્ઠ અભિનય તૃતીય સ્થાન (સ્ત્રીકલાકાર) માટેઃ ખુશી આચાર્ય (પિક્ચર અભી બાકી હૈ)

૭. શ્રેષ્ઠ અભિનય પ્રથમ સ્થાન (પુરુષ કલાકાર) માટે પ્રવીણ જોશી એવોર્ડઃ કિરણ પંડ્યા (લિટોડાં)

૮. શ્રેષ્ઠ અભિનય દ્વિતીય સ્થાન (પુરુષ કલાકાર) માટેઃ ડિન્કેશ કનાઢિયા (દ્રષ્ટિ)

૯. શ્રેષ્ઠ અભિનય તૃતીય સ્થાન (પુરુષ કલાકાર) માટેઃ ડોં ઘૈવત ઉપાધ્યાય (વિતરાગ શાહ આપઘાત કરે

છે)

૧૦. શ્રેષ્ઠ એકાંકી પ્રથમ સ્થાન માટે ક.મા.મુનશી એવોર્ડઃ  દ્રષ્ટિ

૧૧. શ્રેષ્ઠ એકાંકી દ્વિતીય સ્થાન માટેઃ ડાયલના પંખી

૧૨. શ્રેષ્ઠ એકાંકી તૃતીય સ્થાન માટેઃ કામરુ

૧૩. શ્રેષ્ઠ લેખન માટે પ્રબોધ જોશી એવોર્ડઃ દ્રષ્ટિ દોડિયા (લિટોડાં માટે)

૧૪. શ્રેષ્ઠ દિગ્દર્શન માટે કાન્તિ મડિયા એવોર્ડઃ ડિન્કેશ કનાઢિયા (દ્રષ્ટિ માટે)

ખાસ નોંધઃ શ્રેષ્ઠ લેખન માટેનું પારિતોષિક અને લગભગ ત્રીસ જેટલાં પ્રોત્સાહન ઈનામો (મેરિટ સર્ટિફિકેટ)  પ્રાથમિક ચરણના નિર્ણાયકો દ્વારા જાહેર થયાં હતાં.

એક વધુ નોંધનીય વાતઃ

આ વર્ષે ત્રણ સ્ત્રીકલાકારો નાટ્યક્ષેત્રે લેખન-દિગ્દર્શનમાં ઝળકી છેઃ

૧. અરિગાતો થિયેટર્સના નેજા હેઠળ પૂજા ત્રિવેદી રાવલે સ્પર્ધામાં કુલ્લે ચાર એકાંકીઓ પોતાનાં લેખન-દિગ્દર્શનમાં રજૂ કર્યાં. ૨. દ્રષ્ટિ દોડિયાએ “લિટોડાં” નું લેખન-દિગ્દર્શન કર્યું. ૩. મધુરા ખાંડેકરે “આડુંઅવળું” એકાંકીનું લેખન-દિગ્દર્શન કર્યું. આ ત્રણે કલાકારોનું સ્વાગત!

--કિશોર પટેલ, 28-01-24 16:43

* * *

(સમાચારઃ આજનું રવિવાર તા ૨૮ જાન્યુઆરી ૨૦૨૪નું જન્મભૂમિ પ્રવાસી, પાનં ૬)

* * *

દાસ્તાનગોઈ ૨૮ જાન્યુઆરી ૨૦૨૪



 

દાસ્તાનગોઈ ૨૮ જાન્યુઆરી ૨૦૨૪

(૩૦૨ શબ્દો)

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વરિષ્ઠ નાગરિક પરિવાર, દહિસરના સહયોગથી આયોજિત કેટલીક નોંધપાત્ર ગુજરાતી ટૂંકી વાર્તાઓની ઉર્દુ કથાકથન શૈલીમાં આગવી પ્રસ્તુતિ રજૂ થઈ રવિવાર તા. ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ ની સાંજે બીએમસી હોલ, મનન બિલ્ડિંગની સામે, સાંજી હોટેલની બાજુમાં દહિંસર પૂર્વ ખાતે.

લગભગ સવાસો-દોઢસો જેટલા શ્રોતાઓની હાજરીથી સભાગૃહ ભર્યુંભર્યું લાગતું હતું. સાહિત્યના કાર્યક્રમોમાં આટલી મોટી સંખ્યામાં હાજરી સામાન્ય રીતે હોતી નથી. અહીં આ ચમત્કાર થયો યજમાન સહયોગી સંસ્થા “વરિષ્ઠ નાગરિક પરિવાર”ને કારણે.

કાર્યક્રમમાં રજૂ થયેલી વાર્તાઓ હતીઃ ગુજરાતી સાહિત્યનાં ગાંધીયુગનાં પ્રસિધ્ધ વાર્તાકારો ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા અને પન્નાલાલ પટેલની. આ સાથે બે વાર્તાઓ આજના વાર્તાકારોની પણ હતીઃ દિલીપ રાવલ અને અજય ઓઝાની.

વાર્તાપઠનના અનેક કાર્યક્રમોમાં આ લખનારે હાજરી આપી છે તેમ જ અનેક વાર એમને પોતાની વાર્તાનું પઠન કરવાની તક પણ મળી છે. પણ “દાસ્તાનગોઈ” શૈલીના કાર્યક્રમમાં હાજરી આપવાની તક એમને પહેલી વાર મળી.

વાર્તાપઠનમાં સામાન્ય રીતે વાર્તાકાર પોતે જ પોતાની વાર્તાની રજૂઆત કરતો હોય છે. આ દાસ્તાનગોઈમાં નીવડેલા અને જાણીતા વાર્તાકારોની વાર્તાની રજૂઆત વાર્તાકાર દ્વારા નહીં પણ રંગભૂમિના નીવડેલા કલાકાર દ્વારા થતી હોય છે.

દાસ્તાનગોઈની બીજી વિશેષતા એ કે રજૂઆતકર્તા કલાકાર હાથમાં સ્ક્રીપ્ટ પકડીને વાર્તા વાંચીને રજૂ નથી કરતો પણ સંપૂર્ણ વાર્તા કોઈ સ્ક્રીપ્ટ વિના એટલે કે મોઢે કરીને હાવભાવ સહિત રજૂ કરતો હોય છે. પહેલાંના સમયમાં કથાકારો ગામડે ગામડે ફરતા રહીને વાર્તાની રજૂઆત કરતા એમ.

રવિવાર તા ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ની સાંજે એક અપવાદ સિવાય બધી વાર્તાઓ આ રીતે રજૂ થઈ. આ રીતની રજૂઆતમાં કલાકારનો શ્રોતા જોડે સીધો સંવાદ થાય છે પરિણામે વાર્તા ભાવકને સારી રીતે સ્પર્શી જતી અનુભવાય છે. ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા, પન્નાલાલ પટેલ અને અજય ઓઝાની વાર્તાઓ (આ જ ક્રમમાં નહીં)  સેજલ પોન્દા, અલ્પેશ દિક્ષિત, પ્રિયમ જાની અને મેહુલ બૂચ દ્વારા સુંદર અને અસરકારક રીતે રજૂ થઈ.  કાર્યક્રમના પ્રારંભમાં દિલીપ રાવલે સ્વલિખિત વાર્તા રજૂ કરી.      

કાર્યક્રમનું સુઆયોજિત સંચાલન કર્યું જાણીતા કવિ સંજય પંડ્યાએ.

એક યાદગાર સાંજ.

--કિશોર પટેલ, 28-01-24 20:58

* * *

Sunday 21 January 2024

પરબ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તા વિશે નોંધ



 પરબ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તા વિશે નોંધ

(૨૦૭ શબ્દો)

મી ટુ (ઉમા ચક્રવર્તી)

બદલાકથા એટલે કે રિવેન્જ સ્ટોરી.

ઉચ્ચ અભ્યાસ માટે નાયિકા વિદેશ જવાની છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્ત હોય એવી ક્ષણોમાં એની પરિચિત એક નહીં પણ બબ્બે વ્યક્તિનાં અપમૃત્યુ થઈ જાય છે. એક નાયિકાના મહાનિબંધના માર્ગદર્શક ડો. મજમુદારનું અને બીજું નાયિકાનાં પિતાના દૂરના મોટાભાઈ ઈન્દ્રજીતનું. બંનેની કરપીણ હત્યા થઈ છે. બંને કિસ્સામાં હત્યારાએ પોતાની પાછળ કોઈ સગડ છોડ્યા નથી.    

નાયિકા એ બંને જોડેની સ્મૃતિનું વર્ણન કરે છે. બંનેએ નાયિકાનું જાતીય શોષણ કર્યું છે, પિતાના મોટાભાઈએ નાયિકાનાં બાળપણમાં અને પ્રો. મજમુદારે નાયિકાની યુવાનીમાં.

સંપૂર્ણ વાર્તા પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર પધ્ધતિએ રજૂ થાય છે. બંને અપમૃત્યુ માટે જાણે કોઈ ત્રાહિત વ્યક્તિ જવાબદાર હોય એમ રજૂઆત થાય છે. જો કે એ હત્યાઓ કોણે કરી હશે એ ઓળખી કાઢવું તદ્દન સરળ છે.

વાર્તાનું શીર્ષક સૂચક અને અર્થપૂર્ણ છે.

નવોદિત લેખકોના હાથે થાય એવી એક કરતાં વધુ ભૂલો વાર્તામાં છે. ઘણાં વાક્યમાં કર્તા અદ્રશ્ય છે. અનેક ઠેકાણે એકસાથે બબ્બે આશ્ચર્યચિહ્નો મૂકાયાં છે. કેટલેક ઠેકાણે વળી પ્રશ્નાર્થચિહ્ન અને આશ્ચર્યચિહ્ન ભેગાં મૂકાયાં છે. 

--કિશોર પટેલ, 22-01-24 09:46

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

Monday 8 January 2024

નવચેતન નવેમ્બર ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

 


નવચેતન નવેમ્બર ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૪૫૨ શબ્દો)

અમર તરુ (ગિરા પિનાકિન ભટ્ટ)

પિયરનો વડલો.

સ્વજનોને સરપ્રાઈઝ આપવાના ચક્કરમાં કોઈને જાણ કર્યા વિના નાયિકા પિયરની વાટ પકડે છે. મોડી રાતે લાંબા રસ્તે કોઈ વાહન ના મળતાં સામાન સાથે એ મૂંઝાય છે. અણીના વખતે ગામનો ઘોડાગાડીવાળો ખાલી ગાડી સાથે મળી જતાં એ હેમખેમ પિયર પહોંચે છે. નિર્ધન ઘોડાગાડીવાળો ભાડું લેવાનો ઈનકાર કરીને નાયિકાના વડીલની ભૂમિકા અદા કરે છે. આમ વડ-પીપળાની જેમ આ ગાડીવાન અમર તરુ સાબિત થાય છે.

નાયિકાના મનોભાવોનું સરસ આલેખન. ગાડીવાનની માયામમતા હ્રદયસ્પર્શી. માનવીય સંવેદનાસભર સરસ વાર્તા.    

ટાઢી માટી (ડો. પિનાકિન દવે)

મુસ્લિમ ધર્મમાં મૃતદેહને  દફનાવ્યા બાદ સહુ સ્વજનો કબર એક એક મુઠ્ઠી માટી અર્પણ કરે તેને “ટાઢી માટી” કરી કહેવાય છે.

આખી જિંદગી કોઈની જોડે જેને ફાવ્યું નહીં એવા એકલવાયા બદરુને વિદાય આપવા આખું ગામ ભેગું થાય છે.  દુઃખદર્દથી પીડાતા બદરુનું મૃત્યુ ઝટ આવે એવી પ્રાર્થના સહુ કરી અને છેવટે એમ જ થઈને રહ્યું.

પ્રસ્તુત વાર્તા એક એકલવાયા પાત્રનો પરિચય કરાવે છે.  

કોઈ ગમ નથી (વાસુદેવ સોઢા)

યુવાન પુત્રવધૂને દીકરી બનાવી લેતાં દંપતીની વાત.

વાર્તાની રજૂઆત રસ જગાવે છે. પ્રારંભથી જ “પારુલ આવવાની છે, પારુલ આવવાની છે.” એવું ગાણું સવારથી જ વરિષ્ઠ દંપતીએ ચાલુ કર્યું હોય. વાચકને એમ જ લાગે કે પારુલ આ દંપતીની લાડકી દીકરી હશે. છેક અંતમાં ખુલાસો થાય છે કે પારુલ એમની દીકરી નહીં પણ એનાથી ય અદકેરી પુત્રવધૂ હતી.

એકના એક દીકરાનું અકાળ અવસાન થયા પછી દેવેન્દ્રભાઈ અને સાધનાબહેન બંનેએ યુવાન પુત્રવધૂને દીકરી માનીને યોગ્ય ઠેકાણે પુનર્લગ્ન કરાવી સંસારમાં સ્થિર કરી. એ પછી જાણે એ પોતાની દીકરી જ હોય એવો સ્નેહભર્યો સંબંધ એની જોડે રાખ્યો.

પ્રેરણાત્મક વાર્તા. 

નારી તેજવંતી (નિર્ઝરી મહેતા)

પરગજુ સ્વભાવની એક સ્ત્રીનું શબ્દચિત્ર. ઘટનાહીન રચના હોવાથી વાર્તારસ નથી.

ભલી તો સપનામાંય નૈ (નિકેતા વ્યાસ કુંચાલા)

પતિ પાસે યેનકેનપ્રકારે ધાર્યું કરાવતી એક સ્ત્રીનું રેખાચિત્ર. ઘટનાહીન રચના હોવાથી વાર્તારસ નથી.

લઘુકથાઓ

ફિરકી (કાલિન્દી પરીખ)

મીઠો ભૂતકાળ.

પૌત્ર પતંગ ઉડાવતો હતો તેની ફિરકી દાદાએ પકડી ને તરત એમને યાદ આવ્યું કે પોતે નાનપણમાં પતંગ ઉડાવતી વખતે પોતે પોતાના દાદા પાસે ફિરકી પકડાવેલી. ઈતિહાસનું પુનરાવર્તન. 

માંજરી આંખો (દિવ્યા જાદવ)

અપેક્ષાભંગ.

કથકનું ચિત્ત જેણે હરી લીધું હતું એ માંજરી આંખોવાળી છોકરી તો ખિસાકાતરુ નીકળી.

સાતમ આઠમ (નટવર આહલપરા)

અક્કરમીનો પડિયો કાણો.

તહેવારોના દિવસોમાં રીક્ષાવાળાને કમાણીને બદલે નુકસાન થાય છે. 

તુલના (પી.એમ.લુણાગરિયા)

મિશ્ર પ્રતિભાવ.

દીકરીના જન્મ પર કોઈ નાખુશ થાય છે તો કોઈ પેંડા વહેંચે છે.

એક અતિ સુખી ગામ (યશવન્ત મહેતા)

કટાક્ષકથા.

ભલે ગમે એટલી સંપત્તિ હોય પણ યુવાનો અને બાળકો વિનાનું ગામ સુખી કહેવાય ખરું?

થેપલાં (નસીમ મહુવાકર)

બહેન-ભાઈના સ્નેહની વાત. બહેન અને ભાઈ ભલે કાયમ ઝઘડતાં હોય પણ એકના વિના બીજાને ગમે નહીં એનું નામ સ્નેહ.   

--કિશોર પટેલ, 09-01-24 09:31

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###


Thursday 4 January 2024

અખંડ આનંદ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

અખંડ આનંદ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૫૨૧ શબ્દો)

દીદી (અનુરાધા દેરાસરી)

બહેન-ભાઈના સ્નેહની વાત. પૂજા આખા ઘરની લાડકી હતી એટલે તેનો નાનો ભાઈ શુભ અદેખાઈથી બળ્યા કરતો. એ સતત પૂજા સાથે લડ્યા-ઝઘડ્યા કરતો. છેક પૂજાના લગ્ન થાય ત્યારે પોતાની ભૂલો કબૂલ કરીને એ બહેનની માફી માંગે છે.

વિગતપ્રચૂર વાર્તા. પૂજાના જન્મ પહેલાંનો ઈતિહાસ કહેવામાં ઘણાં શબ્દો ખર્ચી નાખ્યા. આ બેઉ સંતાનો વહેલા જનમ્યા કે મોડા એનાથી વાર્તામાં કંઈ ફરક પડતો નથી. વાર્તા ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને ઈર્ષાની છે.     

મેળો (વાસુદેવ સોઢા)

સંતાનોએ એકલાં મૂકી દીધાં હોવા છતાં એકમેકના સહારે મોજથી જીવતાં વરિષ્ઠ દંપતીની વાત.

આ રચના વાર્તા નથી પણ સ્વતંત્રપણે જીવતાં વરિષ્ઠ નાગરિકોનું શબ્દચિત્ર છે.

અંતરયાત્રા (નેહલ દેસાઈ)

સમાજની અસંખ્ય ગૃહિણીઓની વ્યથાકથા. સંતાનોને ઉછેરવામાં જિંદગી ખર્ચી નાખનારી સ્ત્રીઓ પોતાની જિંદગી જીવવાનું ભૂલી જાય છે. એવી એક દાદીમા મંજૂષા એક દિવસ સવારની ચા સાથે ઘરના અન્ય સભ્યો સમક્ષ એલાન કરે છે કે ઘરનાં નાનાં બાળકોને સાચવવાની જવાબદારી એની એકલીની નથી, ઘરનાં અન્ય સહુએ પોતપોતાની જવાબદારી નિભાવવી પડશે.

નારીચેતનાની વાત. વિસ્તારપૂર્વક વર્ણનાત્મક શૈલીમાં વાર્તાની રજૂઆત થઈ છે. 

પ્રાયશ્ચિત (ચંડીદાન ગઢવી)

ભાગીદારીમાં ધંધો કરતાં બે મિત્રોમાંથી એકની દાનત બગડે ને ભાગીદારને છેતરીને રસ્તા પર લાવી દે.  બનવાકાળ વર્ષો પછી છેતરનારનો દીકરો આત્મહત્યા કરવા નીકળે ત્યારે અજાણતામાં પેલો છેતરાયેલો મિત્ર જ બચાવે અને એને જિંદગીનો સાચો માર્ગ ચીંધે. સત્યની જાણ થતાં દગાબાજ મિત્રની પણ આંખો ખૂલી જાય. ફિલગુડ વાર્તા.

આપેલું (સતીશ વૈષ્ણવ)

બોધકથા.

નવા વિકસતા શહેરની સરહદે એક પ્રભાવશાળી જણાતો વૃધ્ધ પુરષ નાયકને  ભલામણ કરે છે કે તાજા વાવેલા લીમડાનાં છોડની નીચે  રોજ બેસવાનું રાખશો તો પ્રગતિ થશે. એનો ઈરાદો કદાચ એવો હતો કે એ બહાને લીમડાના વૃક્ષનું સંવર્ધન થાય. પણ નાયકને એ માણસની વાતમાં વિશ્વાસ બેસતો નથી. એ  એક યા બીજા બહાને લીમડાના વૃક્ષ નીચે બેસવાનું ટાળ્યા કરે છે. છેવટે એક દિવસ લીમડાનો એ છોડ જડમૂળથી ઉખડી જાય છે.

બોધઃ મનમાં શંકા રાખવાથી કોઈ કામ ઠેકાણાસર થતું નથી.  

ખીંટી (મોના જોષી)

સ્વજનની સ્મૃતિ સાચવવાની કોઈ કિંમત હોય ખરી?

ઘર ખરીદ્યા પછી નાયકને ખ્યાલ આવે છે કે જે તે સ્થિતિમાં ખરીદેલા ઘરમાં એક દીવાલ પર ખીંટી છે પણ છબી નથી. નાયક મૂળ માલિક સાથે ઝઘડે છે કે એની સાથે છેતરપીંડી થઈ છે. મૂળ માલિક કહે છે કે ભાઈ એ ખીંટી વચ્ચે તો પહેલેથી જ ખાલી જગ્યા છે કારણ કે મારી માતાની એક પણ છબી મારી પાસે નથી. પણ એની છબી ત્યાં છે એવી કલ્પના હું કરતો.

નાયકને સમજાય છે કે કેટલીક વસ્તુઓની કિંમત રુપિયા-પૈસામાં ક્યારેય કરી શકાતી નથી.

સારી વાર્તા.     

લઘુકથા

પલ્લું (ધર્મેન્દ્રસિંહ રાઠોડ)

પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર પધ્ધતિએ લખાયેલી આ લઘુકથામાં કથકે અન્ય પાત્ર દ્વારા પોતાની પ્રસંશા કરાવી છે.

કથકની પત્ની પોતાની સાસુ પાસે પોતાના મોટાભાઈના વખાણ કરે છે. એ કહે છે કે મોટાભાઈ કરોડપતિ છે અને નિયમિતપણે જાત્રાએ જાય છે તેમ જ દર વર્ષે મોટી રકમનું દાન કરે છે. ગામડાના ઘરનાં સમારકામ નિમિત્તે કડિયા અને મજૂરોને છૂટે હાથે મજૂરી ચૂકવતા પુત્રનું ઉદાહરણ ટાંકીને સાસુ વહુને કહે છે કે મારે મન તો તમારી ભાભી કરતાં તમારું પલડું ભારે છે.

આ લઘુકથા સર્વજ્ઞ એટલે કે ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્રી શૈલીમાં રજૂ થઈ હોત તો વધુ યોગ્ય લાગત.

--કિશોર પટેલ, 05-01-24 09:06 

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###