Monday 30 March 2020

નવનીત સમર્પણ એપ્રિલ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:


નવનીત સમર્પણ એપ્રિલ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે: (૨૫૮ શબ્દો)

રૂદાલી (પન્ના ત્રિવેદી) :

કથક એક કોલેજમાં પ્રાધ્યાપિકા છે. એક શ્યામ અને સ્થૂળ વિદ્યાર્થીની “માન ના માન, મૈ તેરા મહેમાન” ની ઢબે એની નજીક આવી જાય છે. પહેલાં ચિઠ્ઠીઓ અને પછી હિંમત વધતાં વાતચીત. સ્ટાફમાં એનું નામ પડ્યું છે રૂદાલી. જ્યારે જુઓ ત્યારે રડતી હોય. કથક જેમ જેમ એનાથી અંતર જાળવવા મથે તેમ તેમ એ નજીક આવતી જાય. કોણ છે એ છોકરી? શું છે એની સમસ્યા? શું આ સજાતીય આકર્ષણની વાત છે? રજૂઆતમાં રહસ્ય સાદ્યંત જળવાયું છે. કથક અલિપ્ત રહે છે એટલે વાર્તા લાગણીઓથી લથબથ થતી બચી ગઇ છે. કથકની સખી સંપૂર્ણ વાર્તામાં વાતાવરણ હળવું રાખે છે. છેક પરાકાષ્ઠાએ પહોંચીને રહસ્ય ઉકેલાય છે. નાયિકા, કથક અને કથકની સખી, ત્રણેનાં પાત્રાલેખનમાં વૈવિધ્ય અને ઊંડાણ.  સશક્ત વાર્તા.   

રામ રતન ધન પાયો (ગિરિમા ઘારેખાન) :

કળાની આરાધના શા માટે? શું પ્રાપ્ત કરવું છે? પૈસા, પ્રસિદ્ધિ કે કળાનું ઉચ્ચતમ શિખર? આવા કંઇક પ્રશ્નો ઊભાં કરે છે આ વાર્તા. ટેલિવિઝન પર ચાલતાં સંગીતના રિયાલીટી શો અંગે એક મહત્વનું સ્ટેટમેન્ટ લેખક આ વાર્તા દ્વારા કરે છે. અહીં ગુરુ-શિષ્યના સંબંધને પણ તપાસવામાં આવ્યો છે. સરસ વાર્તા.

સુખના દિવસો (ધીરુબેન પટેલ) :

સ્વભાવ ગમે તેવો હોય, એક માણસ બીજા માણસને ઝંખે છે. વાર્તાના નાયક કલ્યાણરાયનું કોઇ સ્વજન રહ્યું નથી, અથવા સ્વજનોથી તરછોડાયેલા છે. જેને બીજાઓ આશ્રમ કહે છે એવા “કુલીન વિશ્રાંતિગૃહ”માં કલ્યાણરાય દાતા હોવાના હક્કથી એક ઓરડા પર કબજો જમાવીને રહે છે. સંજોગવશાત બીજા એક માણસ જોડે એમણે ઓરડો વહેંચવો પડે છે. શરૂઆતમાં અણગમતો અમુલખ પછીથી કલ્યાણરાયને ગમતો થઇ જાય છે. એ કોણ છે? ક્યાંથી આવ્યો છે? બંને વચ્ચે કેવો સ્નેહસંબંધ બંધાય છે? સીધી સાદી સરળ વાર્તા.        

-કિશોર પટેલ; મંગળવાર, 31 માર્ચ 2020; 6:37 પૂર્વ મધ્યાહ્ન

###
       

Thursday 26 March 2020

પરબનાં નવેમ્બર ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ સુધીના પાંચ અંકોની વાર્તાઓ વિષે: (૧૩૨૯ શબ્દો)


પરબનાં  નવેમ્બર ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ સુધીના પાંચ અંકોની વાર્તાઓ વિષે:

(૧૩૨૯ શબ્દો)

આ પાંચ અંકોની કુલ સાતમાંથી પાંચ સારી વાર્તાઓ છે; પાંચે વાર્તામાં વિષયવૈવિધ્ય છે. ભ્રૂણહત્યા, અપરિણીત સ્ત્રીની પીડા, નિષ્ફળ  પ્રેમલગ્ન, પુરુષનું જાતીય શોષણ, એક આદમીની રહસ્યમય જીવનશૈલી જેવાં વિષયો પર કામ થયું છે. ત્રણ વાર્તાઓ સ્ત્રીપ્રધાન છે, બે વાર્તાઓ પુરુષપ્રધાન છે, બે વાર્તાઓ નબળી છે.   

૧. સંધ્યાપૂજા (હિમાંશી શેલત) :

મનના ગૂંચવાયેલા તાણાવાણાની સરસ વાર્તા.
સાઠની વય વટાવી ચૂકેલો જયાનંદ રોજ સાંજે દોઢ કલાક માટે ક્યાંક જાય છે. પણ ક્યાં જાય છે એની ઘરમાં કોઇને ખબર નથી. એમના માટે તો આ મોટું રહસ્ય છે કે કોઇ પણ ઋતુમાં આ માણસ નિયમિતપણે ક્યાં જતો હશે?  

આપણા સમાજમાં વરસોના લગ્નજીવન પછી પણ પતિ-પત્ની એકબીજા સાથે નિખાલસ થઇ શકતાં નથી. મનના એક  ખૂણે શંકા, અવિશ્વાસ રહી જાય છે.  એક પક્ષ કહે છે: આ માણસ રોજ સાંજના પાંચના ટકોરે જાય છે ક્યાં? બીજો પક્ષ કહે છે: સાચું કહી દઉં તો આ લોકો મને બરાબર સમજશે? કે ગાંડો ગણી કાઢશે?
વાત એમ છે કે જયાનંદ રોજ સાંજે પોતાની માતાની વયની એક વૃધ્ધાની જોડે થોડોક સમય વીતાવે છે. શા માટે જયાનંદ ઘરમાં સાચી વાત કહી શકતો નથી? પેલી વૃધ્ધા આ ઘરના કોઇથી અપરિચિત નથી. ને એટલે જ જયાનંદનું સત્ય ના કહેવાનું રહસ્ય વધુ ઘૂંટાય છે.

અંતમાં લેખકે એક ચાવી આપી છે, એ ચાવીથી જ રહસ્ય પરનું તાળું ખૂલે છે અને/અથવા રહસ્ય વધુ ઘેરું બંને છે. સમસ્યા શું છે? વાર્તા પૂરી થયા પછી ભાવકના મનમાં અનેક તર્કવિતર્ક લડાવવા માટે; એક નવી જ વાર્તા ભાવકના મનમાં રચવા માટે લેખકે જબરી ચાવી મૂકી છે અંતમાં. સુંદર વાર્તા. (નવેમ્બર ૨૦૧૯)        

૨. વાત જાણે એમ સે ને (હર્ષદ ત્રિવેદી):

હ્રદયસ્પર્શી વાર્તા.

એક પુરુષના જાતીય શોષણની વાત. એક તદ્દન અછૂતા વિષયની સંવેદનશીલ વાર્તા. આપણા ગુજરાતી સાહિત્યમાં વિરલ કહી શકાય એવા વિષયની વાર્તા. વાર્તાનું સ્વરૂપ પારંપારિક છે પણ રજૂઆત અત્યંત પ્રવાહી છે.

નવયુવાન કથકની તલાટી તરીકે એક ગામડે નિમણુંક થાય છે. અહીં કચેરીમાં મોડાભાઇ નામનો એક જૂનો ચપરાસી છે. કથકની પહેલાં આ ગામડે આવી ગયેલાં સહુ તલાટીઓમાંથી કોઇ એકે આ મોડાનું શારીરિક શોષણ કર્યું હશે અને પછી બદલી વેળાએ નવા તલાટીને ચાર્જ આપતી વેળા મોડાની “વિશિષ્ટ સેવા” લેવાની ભલામણ પણ કરી હશે. એ સિલસિલો પછીના દરેક તલાટીઓએ ચાલુ રાખીને મોડાનો ગેરલાભ લીધો હતો. કથકને પણ મોડાનો ચાર્જ એવી જ ભલામણ જોડે મળે છે.

કથક અને મોડાનો સંબંધ કેવો આકાર લે છે? કેવા સંજોગોમાં આ બંને નિકટ આવે છે? એ સંબંધ કેવું રૂપ ધારણ કરે છે? મામલતદાર તરીકે બઢતી મેળવી કથક ગામ છોડીને જાય છે ત્યારે વિદાયવેળાએ આ બંને પાત્રોની સ્થિતિ કેવી હોય છે?

નોંધનીય અભિવ્યક્તિ: ૧. નિશાળે રેકોર્ડમાં ‘મોડો’ તરીકે નોંધાયેલું નામ બદલાવવામાં “મારા બાપા મોડા પડ્યા!” ૨. “...હઉ તલાટીશ્યાહેબોએ મને રોટલાની જેમ બેય કોરથી ફાવે એમ શેક્યો...૩. “...રોજ રાત પડી નથી કે ભૂખ્યા વરુના સપનાં આયવાં નથી...”       (ડિસેમ્બર ૨૦૧૯)

૩. હોળી (પન્ના ત્રિવેદી) :

મોટી ઉંમરે અપરિણીત રહી ગયેલી યુવતીની પીડાની વાત. નાયિકાના મનોભાવોનું યથાર્થ આલેખન. આપણા સમાજની સંકુચિત માનસિકતાનું આબેહુબ ચિત્રણ.

લેખકની કારીગીરી પાત્રાલેખનમાં ઝળકે છે. નાયિકા ઉપરાંતનું દરેક પાત્ર સમાજમાં જોવા મળતાં અલગ અલગ કિસમની વ્યક્તિઓનું પ્રતિનિધિ છે.  ૧. નાયિકા અવંતી: એ કહે છે: “ગમે ત્યાં હા પાડી ના દેવાય, વેવલેન્થ પણ મળવી જોઇએ.” આ અને આવાં કેટલાંક કારણોથી ઘણી કન્યાઓ બસ ચૂકી જાય છે.  ૨. નાયિકાની માતા: “આમ જ કાઢવી છે આખી જિંદગી? કંઇ નહીં તો નાની બેનનો તો વિચાર કર!” આવું કહીને દીકરીઓનું ભાવનાત્મક શોષણ કરતાં માવતરોનું પ્રતિનિધિ પાત્ર. ૩. સહકર્મી સંજય મોરી: સાડત્રીસની વયે પણ લગ્ન થયું ન હતું ત્યારે લોકોના મહેણાં સાંભળી રડતો હતો અને પરણી ગયાં પછી નાયિકાને “તમારા જીવનમાં પણ હોળીના રંગો આવે અને સુખનું સરનામું લાવે.” એવા શુભેચ્છાસંદેશા મોકલીને યાદ અપાવે છે કે તમે હજી સિંગલ છો! હલકી મનોવૃત્તિના માણસોનું પ્રતિનિધિ પાત્ર. ૪. નયના: એને કોઢ થયો છે એટલે લગ્ન થતાં નથી. આપણા સમાજમાં આવી ખોડખાંપણવાળી કેટલી કન્યાઓ અપરિણીત રહી જતી હશે! આ નયના અન્યોની ગોસિપ કરીને ચપટી સુખ મેળવી લે છે. ૫. ત્રિભુવન માસ્તર: પોતાના પુત્રની બીમારી છુપાવીને કોઇની દીકરી સાથે પરણાવી દઇને છેતરપીંડી કરતાં અને ઘરમાં/મિલકતમાં ભાગ ના પડે એમ કરીને પોતાના જ દીકરાને વિધવા મોટી વહુ જોડે પરણાવી દેનારાં સ્વાર્થી માણસોનું પ્રતિનિધિ પાત્ર. ૬. અનિલ: “આપણામાં કંઇ ખોટ છે કે છાપેલાં કાટલાં લઇએ?” એવું કહેનાર યુવકે છેવટે વિધવા ભાભી જોડે લગ્ન કરીને મન મનાવવું પડે છે.         

નોંધનીય અભિવ્યક્તિ: ૧. “કોઇએ લીટી દોરેલો કે કશુંક લખીને છેકી નાંખેલો કાગળ હું શું કામ લઉં?” ૨. ગાયના માથા પર આખલાનાં શિંગડા હતાં કે શું?  (જાન્યુઆરી ૨૦૨૦)

૪. બાયોમેડિકલ વેસ્ટ (ઇલા આરબ મહેતા) : 

માતાના પેટમાં લાતમલાત કરતું બાળક સાતમે મહિને એકાદ કલાકમાં જ બાયોમેડિકલ વેસ્ટ બની જાય ત્યારે?
આપણા દેશમાં જન્મપ્રમાણના આંકડાઓ જોઇએ તો છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઘટતી ચાલી છે. ગર્ભપરીક્ષણ ગેરકાયદે હોવા છતાં કેટલાંક લાલચુ તબીબો આવાં પરીક્ષણો ખાનગીમાં કરે છે અને પૈસા મળતાં હોય તો ભ્રૂણહત્યા કરતાં પણ અચકાતાં નથી. આ સમસ્યા પર લેખકે વાર્તામાં પ્રકાશ પાડ્યો છે.

સોહમ શાસ્ત્રી અર્થશાસ્ત્ર અને સંસ્કૃત એમ બબ્બે શાખાનો જાણકાર છે એ જાણીને એની પત્ની અપર્ણા એક વાર કહે છે: “વાહ, ડો જેકિલ અને મિ.હાઇડ!”  

આ સોહમના ખરેખર બે ચહેરા હતા એની અપર્ણાને ખબર ન હતી. ગર્ભમાં ઉછરતાં બાળકને યોગ્ય સંસ્કાર મળે એ માટે સોહમ નિયમિત રીતે સિતારવાદન કરે છે, ગર્ભસંસ્કારની વિધિઓ કરે છે. એ જ સોહમ ગર્ભમાં છોકરી છે એવું જાણ્યા બાદ ભ્રૂણહત્યા કરાવે છે. દીકરીને લક્ષ્મીનો અવતાર ગણતી અપર્ણાની સાસુ પણ આ કાળા કામમાં સાથ આપે છે. એક છોકરી પર બીજી છોકરીને આવકારવા આ બંને તૈયાર નથી.  

અંતમાં ક્લિનિક પરથી ઘેર જતી વખતે કારમાં બેસવા પત્નીને ટેકો આપતાં સોહમના હાથ ખરડાયેલાં જોઇને અપર્ણા કહે છે: “હાથ કાળા છે.” એટલું જ નહીં, સોહમનો હાથ તરછોડીને “...અપર્ણા એકલી જ ગાડી તરફ ચાલવા લાગી.” એવું કહીને લેખકે અંત બોલકો બનાવી દીધો છે. આજની સ્ત્રી જાણે પુરુષને કહેતી હોય કે:  
“મને તારી મદદની જરૂર નથી, મારી કાળજી લેવા હું એકલી સક્ષમ છું.”   

કચરાપેટીમાં ફેંકી દેવાયેલાં માનવઅંગોને બિલાડો ખેંચી કાઢે છે એ દ્રશ્યમાં બીભત્સ રસનું આલેખન થયું છે. પ્રારંભમાં સ્ત્રીઓની કિટી પાર્ટીના દ્રશ્ય વડે સ્થાપિત થઇ જાય છે કે શ્રીમંત અથવા ઉચ્ચ મધ્યમવર્ગની આ વાત છે. ગરીબ અને મધ્યમ વર્ગના માણસો ભ્રૂણહત્યા કરતાં-કરાવતાં નથી.

પાણીમાંથી પોરાં કાઢું? સોહમની માતાનો ઉલ્લેખ એક વાર ‘નિર્મળાબેન’ અને પછીથી ‘નીલમબેન’ તરીકે થાય છે. માન્યું કે લેખકની સરતચૂક થઇ ગઇ, પણ તંત્રીના પણ ધ્યાન બહાર રહી ગયું?

સાંપ્રત, બળકટ અને સરસ વાર્તા. (માર્ચ ૨૦૨૦)

૫. એસ્કેલેટર (દક્ષા પટેલ) :   

એક નિષ્ફળ લગ્નજીવનની વાત. 

વાર્તામાં નાયિકા અમિતાનું એક દઢ મનોબળવાળી સ્ત્રી તરીકે અસરકારક નિરૂપણ થયું છે.

અમિતા પોતાના પુત્ર જોડે વિમાનમાં સવાર થઇને કોઈ બીમાર વ્યક્તિને જોવા જાય છે ત્યાંથી વાર્તા શરુ થાય છે, મા-દીકરો પ્રવાસના અંતે વિદેશસ્થિત હોસ્પિટલમાં પહોંચે, એ વ્યક્તિ એટલે અમિતાનો પતિ વાસુ જે વર્ષો પહેલાં જ પત્ની-પુત્રને છોડી દૂર ચાલી ગયો હતો. પરિવારનું મિલન થાય અને વાસુ દમ તોડી દે છે. આટલી જ ઘટના છે.   

વાર્તાની રચનારીતિ ઉલ્લેખનીય છે. આ નાનકડી ઘટનામાં સમાંતરે નાયિકાનો ભૂતકાળ ઉઘડતો જાય છે અને પાત્રની ઝીણીઝીણી લાક્ષણિકતાઓનું ચિત્રણ થતું જાય છે. દા.ત. ૧. બંધાવવાની વાત એને નાનપણથી ગમતી નહીં. ૨. તેના વાળ લાંબા હતાં. ૩. તેને ઝડપ ગમતી. જયારે ઘટનામાં ક્રિયાનું વર્ણન આવે છે ત્યારે સમાંતરે ભૂતકાળનો સંદર્ભ જોડાય છે. વિમાનની ઝડપ અસાધારણ રીતે વધી ત્યારે અમિતાને વાસુની ઘાંટાઘાટ યાદ આવે છે, એના તરફથી પડનારી થપ્પડની એ રાહુ જુએ છે. અહીં સૂચવાય છે કે ટૂંકા લગ્નજીવનમાં એ ઘરેલુ હિંસાની નિયમિતપણે શિકાર બનતી હતી.    

વાસુનું પાત્રાલેખન એક સંપૂર્ણ ખલનાયક તરીકે નહીં પણ સારાં અને ખરાબ લક્ષણોના મિશ્રણ તરીકે વ્યવસ્થિત થયું છે. દા. ત. વાસુ નવા નવા સ્થળો જોવા-જાણવા હંમેશા ઉત્સુક હતો. નવા શહેરમાં એ બદલી માંગીને લેતો.

ઓછાં શબ્દોમાં પુત્ર શ્યામનું પાત્રાલેખન પણ સારું થયું છે. નવા નવા મિત્રો બનાવવા, ફરવાનો શોખીન વગેરે.

વાર્તાનો અંત સૂચક છે. વાસુના પાકિટમાં એક લાંબા વાળવાળી સ્ત્રીનો ફોટો જોઇને શ્યામ પૂછે કે “આ કોનો ફોટો છે?” અમિતા કહે છે, “ખબર નથી.”  આમ કહીને અમિતા પોતાના જીવનમાંથી વાસુને કાયમની વિદાય આપી દે છે.

વાર્તાનું શીર્ષક એસ્કેલેટર સૂચક છે. નિષ્ફળ લગ્નજીવનમાંથી નાયિકા એસ્કેલેટરની ઝડપે બહાર આવી ગયેલી છે. (માર્ચ ૨૦૨૦)

૬. પરદેશી (પ્રવીણ ગઢવી) :

સરકારી કામ અંગે મિઝોરામ ગયેલો નાયક ત્યાંની લોજની સ્ત્રી-મેનેજર જોડે એક સાંજે અંગત ક્ષણો માણે છે. જસ્ટ એમ જ.

અહેવાલાત્મક લાંબુ લખાણ. પ્રવાસવર્ણન જેવું કંઇક. વચ્ચે જ કવિતાઓ. ના આરોહ ના અવરોહ. ના વળ  ના વળાંક. આ કૃતિને વાર્તા કઇ રીતે કહેવી?   (નવેમ્બર ૨૦૧૯)

૭. વેઇટિંગ રૂમ (બહાદુરભાઇ વાંક) :

આ વાર્તા નથી, એક કલાકારની રોજનીશીનું પાનું છે. વળી જે અનુભવ વિષે લખાયું છે એમાં નવું કંઇ નથી. આવું લખાણ પરબ જેવા સામયિકમાં સ્થાન કઇ રીતે પામ્યું હશે? (ફેબ્રુઆરી ૨૦૨૦)   

-કિશોર પટેલ; ગુરુવાર, 26 માર્ચ 2020; 9:00 ઉત્તર મધ્યાહ્ન.

###       

Tuesday 24 March 2020

‘જલારામદીપ’ના વસંત અંકની વાર્તાઓ વિષે:


‘જલારામદીપ’ના વસંત અંકની વાર્તાઓ વિષે:
(૭૯૬ શબ્દો)

‘જલારામદીપ’ ના ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૦ સંયુક્ત અંક (વસંત અંક) માં એક અનુવાદિત વાર્તાને બાદ કરતાં કુલ સોળ વાર્તાઓ છે જેમાંથી વિશિષ્ઠ વિષયવસ્તુના કારણે પાંચેક વાર્તાઓ નોખી તરી આવે છે. સાતેક વાર્તાઓ સરેરાશ છે જેમાં સ્ત્રીઓની સમસ્યાને લગતી એક, પૌરાણિક કથાસ્વરૂપમાં બે, હળવી શૈલીમાં એક, ગ્રામ્યપરિવેશમાં દલિતો પરના અન્યાયની બે વાર્તાઓ અને વરિષ્ઠ નાગરિકોની સમસ્યાની એક વાર્તાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચાર વાર્તાઓ સામાન્ય છે.

વિશિષ્ઠ વિષયવસ્તુ ધરાવતી પાંચ નોંધનીય વાર્તાઓ:       

૧. આંસુ (અર્જુનસિંહ રાઉલજી) :

પાડોશના કુટુંબનો મોભી લાંબી યાત્રાએ નીકળી  ગયેલો છે. એના એકના એક પુત્રનું લગ્ન લેવાય છે અને કથક જુએ છે કે કોઇ વરરાજાના પિતાને યાદ કરતું નથી!

અંતની ચમત્કૃતિ જબરી. અંતનું એ વાક્ય એક સાદી સરળ વાર્તાને અસામાન્ય બનાવી દે છે. લેખકની કારીગીરી એ છે કે આવી શક્યતા હોવા છતાં વાચકને ક્યાંય શંકા આવવા દીધી નથી. વાહ! સરસ વાર્તા.

૨. નવા ઉઘાડની ઓળખાણ (સ્વાતિ મેઢ) :

આ વાર્તા મહત્વની બની છે એના વિષયના કારણે. કિશોરાવસ્થામાં પ્રવેશતી એક કન્યાના દેહમાં આવતાં સૂક્ષ્મ પરિવર્તનની વાત છે. સુમીના વર્તનમાં આવેલા બાહ્ય પરિવર્તનને એના બાળપણનો ભેરુ કિરીટ સમજી શકતો નથી અને મૂંઝાય છે. સુમીના મનોવ્યાપારનું ચિત્રણ સારું થયું છે. અંતમાં ફકરામાં લેખક પોતે પ્રગટ થવાનો મોહ ટાળી શક્યા નહીં એટલે એક સરસ વાર્તા જાણે પાટા પરથી ઊતરી ગઇ. જાણે સોનાની થાળીમાં લોઢાનો મેખ. સુમીના સમવયસ્ક મિત્ર કિરીટમાં એવું પરિવર્તન હવે પછી આવશે કારણ કે એ પુરુષ છે એવું ચિત્ર અંતમાં દોરવાની જરૂર ન હતી.  એક કાંકરે બે પક્ષી મારવા જતાં વાત બગડી ગઇ.

૩. પોટલી (પારુલ ખખ્ખર) :

સ્ત્રી સશક્તિકરણની વાત. આ વાર્તામાં આજની સ્ત્રીના બદલાયેલા તેવર નજરે પડે છે. એક નવોઢા મધુરજનીની રાતે પરણ્યાને આપવા માટેની ભેટ એક પોટલીમાં બાંધીને તૈયાર રાખે છે. રાત્રે બંને છે કંઇક એવું કે નવોઢાની પોટલી બાજુએ રહી જાય છે અને પતિએ પોતાના માટે લાવેલી ‘પોટલી’ નવોઢા પોતે જ એકલી ગટગટાવી જાય છે.     

એક કરુણ ઘટનાની રજૂઆત લેખકે હળવી શૈલીમાં કરી છે. મધુરજનીની રાતે પતિનું શરાબ પીને આવવું આપણા દેશમાં અસહજ નથી; આવે પ્રસંગે પતિને ઊંચકીને રિંગની બહાર ફેંકી દેવો અસહજ તો છે જ પણ સાથે સાથે એવા પતિ માટે યોગ્ય પાઠ પણ છે. 

૪. દૂઝતા ઘાવ (કનુ આચાર્ય ) :

ગરીબી કેવળ આર્થિક જ નહીં, માનસિક અને વૈચારિક પણ હોય છે; એમાંય વળી આપણા દેશમાં આવી ગરીબી મોટા પ્રમાણમાં છે. નાનાં શહેરમાં મહિનાનાં બે છેડા માંડ માંડ ભેગાં કરતાં કુટુંબની એક વડીલ સ્ત્રીને કહેવાય નહીં અને સહેવાય નહીં એવી થયેલી શારીરિક વ્યાધિની વાત. નાયિકાને ડગલે ને પગલે ભોંઠામણ અનુભવવી પડે છે. સ્ત્રીઓની આવી પીડા વિષેની વાર્તાઓ આપણે ત્યાં નહીંવત લખાય છે; આ જ કારણથી આ વાર્તા મહત્વની બને છે.

૫. આમલેટ (કેશુભાઇ દેસાઈ) :

મોટી ઉંમરના એક વિધુર શિક્ષક અને એમની એક યુવાન ત્યકતા વિદ્યાર્થીની વચ્ચેના પ્રેમસંબંધની વાત. વિશ્વ કેટલું પણ આગળ વધી ગયું હોય, આપણો સમાજ આવા સંબંધોને હજી તંદુરસ્ત નજરે જોતો નથી.  પોતપોતાની વિવિધ જવાબદારીઓ વચ્ચેથી મહિને-બે મહિને આ બંને જણા માંડ નજીક આવતાં હોય ત્યારે જે વિઘ્નો નડે છે એની હળવી શૈલીમાં રજૂઆત. વિશિષ્ઠ વિષયવસ્તુને કારણે વાર્તા નોંધનીય બની છે. (એક ખુફિયા બાતમી: આ વાર્તા ‘મમતા વાર્તામાસિક’ના ફેબ્રુઆરી ૨૦૨૦ ના અંકમાં પ્રસિદ્ધ થઇ ચૂકી છે.)

ગ્રામ્ય પરિવેશની દલિતો જોડે અન્યાયની બે વાર્તાઓ:

૧. ચીહ (પ્રભુદાસ પટેલ) : ગામડાંમાં ખેતીકામના કોન્ટ્રાક્ટરો દ્વારા આદિવાસી કન્યાઓ/સ્ત્રીઓનાં થતાં શારીરિક શોષણ સામે એક સ્ત્રીના વિદ્રોહની વાસ્તવવાદી વાર્તા. ઉત્તર ગુજરાતની ગ્રામ્યબોલીનો સરસ પ્રયોગ. લેખકે આ પ્રકારની વાર્તાઓ ઘણી આપી છે; પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર આવીને હવે તેઓ  કંઇક નવું આપે એવી અપેક્ષા છે.      

૨. ફોર એકઝામ્પલ-બેડ એકઝામ્પલ (ધરમાભાઇ શ્રીમાળી) : ગુજરાતના એક ગામમાં બનેલી જાતિભેદની ઘટનાની પાર્શ્વભૂમિમાં બીજી એક સકારાત્મક ઘટના.

બે પૌરાણિક વાર્તાઓ:

૧. આંસુનો અભિષેક (પિનાકિન દવે) : જરાસંઘના ત્રાસથી શ્રીકૃષ્ણ યાદવોને દ્વારકામાં વસાવવાની તૈયારી કરે છે  એની વાત.

૨. ચાંડાલ ભોજન (પ્રવીણ ગઢવી) :  વર્ણભેદની સમસ્યા પ્રસંગે વચલો રસ્તો કાઢતાં ડાહ્યા માણસોની વાત. સંસ્કૃત શબ્દોનો સારો ઉપયોગ.

આ ઉપરાંત થોડીક સરેરાશ અને થોડીક સામાન્ય વાર્તાઓ:

ચાઇમ્સ એન્ડ ધ સ્કાય (કુમાર જૈમિની શાસ્ત્રી) : સંસ્કૃત ભાષાની ફ્લેવર અને થોડીક હળવી શૈલીમાં અનેક વાર કહેવાઇ ચૂકેલી એક વાર્તા. વાર્તામાં બે માન્યતાઓ પ્રતિપાદિત થાય છે: ૧. માણસ નામનું પ્રાણી કુદરતી રીતે એક કરતાં વધુ સાથી પ્રતિ આકર્ષિત થાય છે. ૨. પ્રેમલગ્નોમાં મહદ અંશે લગ્ન પછી પ્રેમની બાદબાકી થઇ જતી હોય છે.   

હું તો છું તારી પાસે (બકુલ દવે) : મોટી ઉંમરે જીવનસાથીના મૃત્યુ પછી એકલાં પડી જતાં વરિષ્ઠ નાગરિકોની સમસ્યાની વાત. મુખ્ય પાત્રનું પાત્રાલેખન સારું.

ઇંટનો જવાબ પથ્થર (વિરંચિ ત્રિવેદી) : સ્ત્રી સશક્તિકરણની એક વાર્તા. આજની સ્ત્રી સ્વાર્થી પતિ જોડે રહેવાને બદલે પોતાના પગ પર ઊભી તૈયાર છે. નાની  પણ સારી વાર્તા.

મશારો  (ગોરધન ભેસાણિયા) : ‘કરમની ગતિ બહુ ન્યારી છે.’ ઉક્તિને ચરિતાર્થ કરતી વાર્તા. એક કમનસીબ યુવાને ફળની આશા કર્યા વિના બીજાની જમીનમાં મજૂરી કરી ને અંતે લાડી અને વાડી બંનેનો હકદાર બન્યો. ગામડાના માણસોની સારી-ખરાબ વૃત્તિઓનું ચિત્રણ. સામાન્ય વાર્તા.

ઉપવાસ ફળ્યો (હરીશ પંડ્યા) : ઉપવાસ કરવા માટે કટિબદ્ધ થયેલા નાયકની થયેલી કફોડી હાલતની સામાન્ય હાસ્યકથા.   

વિસ્મૃતિનું વરદાન (જગદીશ ઉપાધ્યાય) : ભૂલી જવાની ટેવના લીધે ઘટતી કરુણ-રમુજી બીના. સામાન્ય હાસ્યકથા.

મેડમનું ડોગી (રમણ મેકવાન) : વિગતોનો ખડકલો, બિનજરૂરી વિવરણ, વારંવાર વિષયાંતર. નબળી વાર્તા.

###

કિશોર પટેલ ;મંગળવાર, 24 માર્ચ 2020; 8:39 ઉત્તર મધ્યાહ્ન. 

Sunday 22 March 2020

જલારામદીપ જાન્યુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે


જલારામદીપ જાન્યુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે
(૭૦૬ શબ્દો) :

આપણા સમાજમાં સંયુક્ત કુટુંબમાં એકાંતના અભાવે નવપરિણીત યુગલ સંવાદની પોતીકી સાંકેતિક ભાષા વિકસાવી લેતું હોય છે.  આવી એક ભાષા વિષે પ્રકાશ પાડે છે અંકની પહેલી વાર્તા “ઢેબર”.

૧. ઢેબર (બ્રીજેશ પંચાલ):

વાર્તાનો નાયક એક પત્રકાર છે. એક લેખ માટે એ બંગડીની ભાષાનો અભ્યાસ કરે છે. વાર્તામાં એક યુવાન દંપતિનો વર્તમાનકાળ અને એક ડોસીમાનો ભૂતકાળ સમાંતરે ચાલે છે. સંવાદ માટે બંગડીની ભાષા એટલે વાર્તામાં એક નાવીન્ય. વાર્તાના અંતમાં આવતી ચમત્કૃતિ આંચકો આપે છે. પતંગ ઉડાવવાની રમતમાં રહેલા ભયસ્થાન અંગે લેખક એક સ્ટેટમેન્ટ કરે છે: રસ્તા પર કોઇ વૃક્ષ કે વીજળીના તાર પરથી કપાયેલી પતંગનાં લટકતા નધણિયાતા દોરાના કારણે ગંભીર દુર્ઘટના થઇ શકે છે. સારી, વાચનક્ષમ વાર્તા.  

### આ અંકમાં ત્રણ વાર્તાઓ નાયિકાપ્રધાન છે અને ત્રણેની પાર્શ્વભૂમિમાં નિષ્ફળ લગ્નજીવન છે. 

૨. છેલ્લું ટીપું (દક્ષા પટેલ) :

આપણી સમાજવ્યવસ્થા અને લગ્નસંસ્થા કોઇ કોડભરી કન્યાનું જીવન કેવું યાતનામય બનાવી દઇ શકે છે તેનું એક ઉદાહરણ. બાળપણમાં નાયિકાના પિતા અને લગ્ન પછી સાસરે પતિ એમ બંનેની એકસમાન નિષ્ઠુરતાનું નિરૂપણ વાર્તામાં થયું છે. શીર્ષક ‘છેલ્લું ટીપું’ સૂચક છે. મરણપથારીએ પડેલા પતિને ચડાવતાં પ્રવાહી ઔષધના છેલ્લાં ટીપાંની વાત નથી; હ્રદયહીન પતિ માટે એની પીડિતા પત્નીના આંસુનું એ છેલ્લું ટીપું છે. વાર્તાનો વિષય જૂનો છે પણ આલેખન પ્રવાહી અને રજૂઆત પઠનીય છે.

અર્થપૂર્ણ અભિવ્યક્તિ: “એક રાતમાં ટ્રેન રોકેટ બનીને તેને પરગ્રહમાં મૂકી આવી.”

૩. કોફી (લતા હીરાણી) :

પહેલી વાર પતિ દ્વારા અને પછી બીજી વાર પુત્ર દ્વારા એમ બબ્બે વાર હ્રદયભંગનો સામનો કરતી એક સ્ત્રીના જીવનની કરુણતાની વાત. સર્વસ્વનો ત્યાગ કરી જેની સાથે પ્રેમલગ્ન કર્યા એ પતિ નાયિકાને એક પુત્રની ભેટ આપીને વિદેશ જતો રહે છે, વર્ષો પછી પુત્રને પોતાની પાસે બોલાવી લે છે. એકલે હાથે જેને ઉછેર્યો અને ભણાવ્યો એ પુત્ર પણ માતાના પડખે ઊભો રહેવા તૈયાર નથી. નાયિકાનું મનોબળ એને ટકાવી રાખે છે. એક સશક્ત સ્ત્રી તરીકે નાયિકા ઉપસી આવે એવું એનું પાત્રાલેખન થયું છે.

વાર્તાની રજૂઆત માટે નાયિકાની એક સખીને કથક બનાવાઇ છે. પણ આમ કરવાથી કંઇ વિશેષ સાધ્ય થતું નથી. આ સખી ના હોય તો પણ વાર્તામાં કંઇ ફરક પડતો નથી. સીધેસીધી  ત્રીજા પુરુષ એકવચનમાં પણ આ વાર્તા કહી શકાઈ હોત.

અર્થપૂર્ણ અભિવ્યક્તિ: “મને જાતે બેઠું થતાં આવડી ગયું છે અને મારે ફરી એક વાર એની સાબિતી આપવાની છે.”

૪. બે આંખો (ગિરિમા ઘારેખાન) :

નાયિકા વિદેશના મુક્ત વાતાવરણમાં ઉછરેલી છે. નાયિકાને વેદાંતની માંજરી આંખોનું પ્રચંડ આકર્ષણ થયું. માત્ર એ આંખોથી આકર્ષાઈને માવતરની મરજી વિરુદ્ધ એણે એની જોડે લગ્ન કર્યા. વેદાંતની  સંકુચિત માનસિકતાને કારણે એ ભારે દુ:ખી થાય છે. ટૂંકા ગાળામાં વેદાંત મૃત્યુ પામે છે. વેદાંતની આંખોનું દાન એક પરિચિત અપરિણીત અંધ યુવાનને અપાવી નાયિકા તેની સામે નોકરીનો પ્રસ્તાવ મૂકે છે. પોતાનો પ્રેમ કાયમ રાખવા કે બદલો લેવા? અંત ખુલ્લો રાખીને લેખકે કારીગીરી કરી છે.   

આ વાર્તા કેટલાંક ગંભીર પ્રશ્નો ઊભાં કરે છે. ૧. માણસની આંખો શું છે: એક ઉપયોગી અવયવ છે કે પછી એનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે? શું આંખોની પોતાની ઓળખ હોઇ શકે? ૨. અવયવનું દાન કર્યા પછી તે કોને મળ્યું છે તેની માહિતી ગુપ્ત રાખવામાં આવતી નથી?      

ઇચ્છિત વ્યક્તિને ચક્ષુદાન કરી શકાય કે નહીં એ પ્રશ્નનો ઉત્તર લેખકે વાર્તામાં પાત્ર (જે આંખોનો ડોક્ટર છે) પાસે અપાવ્યો છે એટલે એ પ્રશ્ન રહેતો નથી; પણ આ સિવાયના પ્રશ્નોનું શું?

### બે વાર્તાઓ  પિતા-પુત્ર સંબંધની છે, બંને વાર્તાઓમાં પિતા પોતાના પુત્ર જોડે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવા ઈચ્છે છે.

૫. એક વગડાઉ માણસ બનવાની મઝા (યોગેશ પંડ્યા) :

જીવંત માણસ યંત્રની જેમ કેટલુક કેટલુંક દોડે?  નિશાળમાં ભણતા દીકરાની ફરિયાદ એના પિતા પાસે આવે છે કે એનું ભણવામાં ધ્યાન નથી. પિતા તપાસ કરે છે તો માલુમ પડે છે કે છોકરો નિશાળે ના જતાં જંગલમાં ઝાડ-પાન સાથે વાતો કરે છે, પશુપંખીઓ સાથે રમે છે. પુત્રને ઠપકો આપવાને બદલે રવિવારની સવારે પિતાપુત્ર બંને જંગલ ખૂંદવા નીકળી પડે છે.

વાર્તા સારી છે પણ આ કૃતિ વરસોથી ઇન્ટરનેટ પર ફરતી એક નનામી વાર્તાની યાદ આપે છે.

૬. સૌથી ઝડપે દોડતું પ્રાણી (કિરણ વી. મહેતા) :

નિશાળના ભણતરના બોજા હેઠળ પુત્ર પોતાનું બાળપણ માણી શકતો નથી એવું પિતાને લાગે છે. રજાના દિવસે પુત્રને એ જંગલની મુલાકાતે લઇ જાય છે. આવું સરસ વાતાવરણ રચ્યા પછી જીવનદર્શનની ઉક્તિ મૂકીને લેખક વાર્તાની હત્યા કરી નાખે છે. જો કે શીર્ષક પરથી લાગે છે કે લેખકની યોજના જ મૂળે એવી હતી.       

### આ ઉપરાંત અંકમાં અન્ય ત્રણ સરેરાશ વાર્તાઓ છે.

૭. વહેમવાળું મકાન (સુમંત રાવલ) : સમાજના ઈર્ષાળુ માણસો વિષે ટીકા.
૮. લીવ ઇન રીલેશન (નટવર હેડાઉ) : લગ્નસંસ્થા અને લીવ-ઇન-રીલેશનશીપનો સમાંતર અભ્યાસ.
૯. કાંટો (અનિલ વાઘેલા) : જીવનમાં સુખશાંતિ માટે સંપત્તિ નહીં પણ સંતોષ જરૂરી છે એવો સંદેશ.

-કિશોર પટેલ (રવિવાર, 22 માર્ચ 2020; 5:55 ઉત્તર મધ્યાહ્ન)

તા.ક. જાન્યુઆરી ૨૦૨૦ અંકની વાર્તાઓની નોંધ લેતાં મને મોડું થયું છે, પણ better late than never.
* * *