Sunday 27 June 2021

એક અનન્ય સાહિત્યકર્મીને શ્રદ્ધાંજલિ

 

એક અનન્ય સાહિત્યકર્મીને શ્રદ્ધાંજલિ

 

સબ-હેડિંગ: જલારામદીપનો દીપક બુઝાઇ ગયો.   

 

સતીશભાઇ ડણાકસાહેબનું અવસાન ગુજરાતી ટૂંકી વાર્તા માટે દુ:ખદ ઘટના છે.

નવેમ્બર ૨૦૨૦ માં વાર્તામાસિક ‘જલારામદીપ’ના માલિક-પ્રકાશક શ્રી મનુભાઇ પટેલ (વાસદવાળા) નું અવસાન થયું. ડિસેમ્બર ૨૦૨૦ અંક તૈયાર હતો એ પ્રસિદ્ધ થયો અને એ પછી જલારામદીપ સ્થગિત થયું. સરકારી નિયમાનુસાર જ્યાં સુધી નવા પ્રકાશકના નામનું રજીસ્ટ્રેશન ના થાય ત્યાં સુધી સામયિક પ્રકાશિત થઇ ના શકે. આ કાર્યવાહી પૂરી થઇ શકે એ પહેલાં તંત્રીશ્રી સતીશભાઇનું અવસાન થઇ ગયું.

‘જલારામદીપ’ના ભાવિમાં શું લખ્યું છે તે આપણે જાણતાં નથી. 

આ સામયિક વિષે મેં પહેલી વાર જાણ્યું ચાર-પાંચ વર્ષ અગાઉ વરિષ્ઠ લેખકશ્રી  રજનીકુમાર પંડ્યાના એક લેખ દ્વારા. એમણે લખ્યું હતું કે “...સામયિકના નામથી કોઇને ગેરસમજ થાય, પણ ‘જલારામદીપ’ નામનું એક સામયિક સંપૂર્ણપણે ટૂંકી વાર્તાને સમર્પિત છે. મમતા વાર્તામાસિક તો હાલમાં આવ્યું પણ છેલ્લાં ત્રીસેક વર્ષથી અવિરતપણે પ્રગટ થતું ટૂંકી વાર્તાને વરેલું આ સામયિક ગુજરાતી ભાષાનું એકમાત્ર સામયિક છે.”

એ પછી આ સામયિક વિષે બીજી વાર સાંભળ્યું જયારે ૨૦૧૭ ની કેતન મુનશી વાર્તા-સ્પર્ધામાં મારી એક વાર્તા ટોચની ૧૭ વાર્તાઓમાં સ્થાન પામી. સ્પર્ધાના આયોજકોએ જણાવ્યું કે સ્પર્ધાની ટોચની સત્તર વાર્તાઓ એક સાથે ‘જલારામદીપ’ના એક વિશેષાંકમાં પ્રકાશિત થશે. આમ પહેલી વાર આ સામયિક જોયું જુલાઈ ૨૦૧૮ ના કેતન મુનશી સ્પર્ધાની વાર્તાઓના વિશેષાંકરૂપે. અંકમાં એ વાર્તાઓની  સાથે સતીશભાઇએ સત્તરેસત્તર વાર્તાઓ વિષે પોતાની વિવેચનાત્મક નોંધ પણ મૂકી હતી. આ ઘણી મહત્વની વાત છે. આવી નોંધમાંથી નવોદિત લેખકોને અંદાજ આવે કે એમની વાર્તા વાચક-ભાવક સુધી કઇ રીતે પહોંચી છે.

એ પછી છેલ્લાં ત્રણ વર્ષમાં આ સામયિકના અંકોનું વાંચન નિયમિતપણે થયું છે. સતીશભાઈ સંપાદિત આ સામયિકની કેટલીક  ખાસિયતો ધ્યાનમાં આવી છે.

૧. વર્ષમાં બે-ત્રણ વિશેષાંક નીકળતાં હતાં. વસંત વિશેષાંક અને દીપોત્સવી વિશેષાંક તો ખરાં જ, એ ઉપરાંત જૂન કે જુલાઈ મહિનામાં પણ એકાદ વિશેષાંક તેઓ આપતા. દીપોત્સવી વિશેષાંક માટે તો સામયિક પાસે એટલી બધી વાર્તાઓ જમા થતી હતી કે બે ભાગમાં વિશેષાંકો કાઢવા પડતા!

૨. સામયિકની મની સેવિંગ ઈકોનોમી સ્ટાઈલ. કાગળોની ક્વોલિટીના પારિભાષિક શબ્દો હું જાણતો નથી. સાધારણ પીળાશ પડતા મધ્યમ ગુણવત્તાના કાગળનો ઉપયોગ સામયિક માટે થતો. મુખપૃષ્ઠ માટે રંગીન ગ્લેઝડ પેપરનો ઉપયોગ થતો અને એના પર ચિત્ર અવશ્ય રહેતું. ટૂંકમાં, મુખપૃષ્ઠ માટે કરકસર થતી નહીં. બાઈન્ડીંગ સાદું રહેતું.

૩. સામાન્ય રીતે પ્રિન્ટ મીડિયામાં લેખકોને લખાણ છપાયાના બીજે મહિને મહેનતાણું મળતું હોય છે, અહીં લેખકોને વર્ષમાં એક વાર એક સાથે પુરસ્કાર મળતો! કોઇ લેખકની વર્ષ દરમિયાન એક અથવા એક કરતાં વધુ વાર્તાઓ પ્રસિદ્ધ થઇ હોય તો વર્ષ દરમિયાન એક ચોક્કસ મહિનામાં જ હિસાબ થતો! આમ વહીવટી ક્ષેત્રે પણ ઓછા સ્ટાફ વડે કામ લેવાની કરકસરયુક્ત નીતિ હતી.

૪. કોઈ પણ છાપું કે સામયિક ક્યારેય ફક્ત લવાજમ પર ટકી શકતું નથી. જાહેરખબરોની આવક જ સામયિકને ટકાવતું હોય છે. જલારામદીપને ટેકો આપનારા નિયમિત જાહેરખબરદાતાઓ હતા.     

૫. સામયિકની અંદર સ્પેસનો તેઓ સારો ઉપયોગ કરતા. ઓછા ખર્ચે વધુ સામગ્રીનો સમાવેશ થાય એનું ધ્યાન તેઓ રાખતા. દા.ત. લેખકે વાર્તામાં ફકરો પાડ્યો હોય પણ લેઆઉટમાં એવું થતું કે બે ફકરા વચ્ચે ઘણી વાર થોડીક વધારે સ્પેસ આપીને તેઓ જગ્યા બચાવતા. ફકરો પડ્યો છે એવું વાચકને પણ સમજાય.

૬. દરેક અંકમાં ‘તંત્રીની કલમે’ વિભાગમાં તેઓ પોતાની એકાદ કવિતા મૂકતા. એ સિવાય ‘એક જ ડગલું’ વિભાગમાં પ્રેરણાત્મક વાતો લખતા. એમાં એમની એક સ્ટાઈલ મેં નોંધી છે. ઉદાહરણ તરીકે: “...પછી ઘોડાએ પાણી પીધું કે નહીં, પછી તળાવનો રસ્તો ચીંધનાર પેલો સાધુ ત્યાં જ ઊભો રહ્યો કે ચાલતો આગળ નીકળી ગયો તેની ચર્ચા આપણે કરવી નથી. એક વાત નક્કી છે કે તરસ લાગે ત્યારે માણસે પાણી જાતે પીવું પડે છે...”  (શબ્દો મારા છે, શૈલી એમની છે.)

૭. આ ઉપરાંત પ્રવીણ દરજી અને ભગીરથ બ્રહ્મભટ્ટના નિબંધો અને હરીશ વટાવવાળા દ્વારા સંત સાહિત્યનું આચમન જેવા નિયમિત વિભાગો હતા. છેલ્લે છેલ્લે જાણીતા હાસ્યલેખક શ્રી. નટવર પંડ્યાના હાસ્યલેખોની કટાર પણ સામયિકમાં શરુ થઇ હતી. કોઇને પ્રશ્ન થાય કે વાર્તાના સામયિકમાં આવા બધાં વિભાગો શા માટે? કદાચ વાચકોના બહોળા સમુદાયને આકર્ષવાનો/ સંતોષવાનો આ એક નુસખો હોઇ શકે.   

૮. સામયિકની મુખ્ય સામગ્રી અર્થાત વાર્તાઓ રહેતી. આપણી ભાષાની નવ/દસ/અગિયાર મૌલિક વાર્તાઓ પ્રગટ થતી. એકાદ ભગિની ભાષા અથવા વિદેશી ભાષાની વાર્તાનો અનુવાદ પણ પ્રસ્તુત થતો. સામયિકના અંત ભાગમાં વૃત્તસંચય વિભાગમાં સાહિત્યની વિવિધ સંસ્થાઓના સમાચારોનું સંકલન સતીશભાઇ પોતે કરતા.  

૯. સામયિકમાં વાચકોના પત્રો માટે વિભાગ ન હતો. વાચકોને વાર્તા ગમી કે નહીં તે લેખકને જાણવાનું અર્થાત ગમે. વાચકોને પણ પોતાનો પત્ર નામ સહિત છપાયો છે એવું જોઇને સામયિકની પ્રવૃતિમાં સહભાગ લીધાનો આનંદ થાય. એ રીતે સામયિકનું સર્ક્યુલેશન વધે એવી એક થિયરી છે. પરંતુ આ સામયિકમાં એવો કોઈ વિભાગ ન હતો.  આ વિષે મેં એક વાર ઈમેઈલ કરીને એમને પૂછ્યું હતું પણ મને જવાબ મળ્યો ન હતો.

૧૦. એક અંકમાં પ્રસિદ્ધ થયેલી વાર્તાઓનું વિવેચન બીજા અંકમાં કોઈ જાણકાર પાસે કરાવો એવું સૂચન જે રીતે દસેક વર્ષ પહેલાં એક નવોદિત વાર્તામાસિકને મેં કરેલું એમ જલારામદીપને પણ કર્યું હતું. પેલા વાર્તામાસિકે મારું સૂચન અમલમાં મૂક્યું પણ અહીં સતીશભાઇએ મને જવાબ આપ્યો નહીં અને સૂચનનો અમલ પણ કદી કર્યો નહીં.

૧૧. લેખકો પાસેથી વાર્તાઓ ઈમેઈલના બદલે હાર્ડ કોપી મંગાવવાનું તેઓ પસંદ કરતા હતા.

###

આજથી બરાબર એક વર્ષ પહેલાં, ૨૮ જૂન ૨૦૨૦ની સાંજે એમનો ફોન મને આવ્યો. ફોન ઉપાડતી વખતે હું જાણતો ન હતો કે  વાત પૂરી થાય એ પછી મારી દિનચર્યા બદલાઇ જવાની છે.

સતીશભાઇને હું ક્યારેય રૂબરૂ મળ્યો નથી. એ ફોન આવ્યો એ પહેલાં બે વર્ષમાં પેલી કેતન મુનશીની વાર્તા ઉપરાંત મારી બીજી ત્રણ ચાર વાર્તાઓ એમણે જલારામદીપમાં પ્રસિદ્ધ કરેલી. એમાંની એક વાર્તા વાંચીને એમણે મને ફોન કરેલો. સ્પષ્ટ શબ્દોમાં તો એમણે કંઇ કહ્યું નહીં, પણ જે કંઇ વાતો થઇ એમાંથી સંકેત પકડાતાં મને લાગ્યું કે એ વાર્તા એમને ગમી હતી.

એ દિવસે ફોન પર એમણે મારી સામે એક પ્રસ્તાવ મૂક્યો. જલારામદીપ માટે એમણે એક નવા પ્રકારના વિશેષાંકની યોજના ઘડી હતી. માર્ચ ૨૦૨૧ ના અંક તરીકે પ્રગટ થનારા એ વિશેષાંકના પ્રોજેક્ટ-ઇન-ચાર્જ તરીકે મારું નામ ગણતરીમાં લઈને એમણે મારી ઈચ્છા પૂછી. એમણે કહ્યું કે હમણાં ને હમણાં નહીં, શાંતિથી વિચાર કરીને જવાબ આપજો.

આવા પ્રસ્તાવની મેં કદી સ્વપ્ને પણ કલ્પના કરી ન હતી. એમની કલ્પનાનો એ પ્રોજેક્ટ જલારામદીપ માટે તો નવો હતો જ એ ઉપરાંત તમામ ગુજરાતી વાર્તામાસિકો માટે પણ નવો હતો! સામયિકોના ઇતિહાસમાં ક્યારેય કોઈ સામયિકે એવો પ્રોજેક્ટ કર્યો હોય એવું મેં સાંભળ્યું નથી! પ્રોજેક્ટ જો હકીકતમાં બદલાય તો સાહિત્યક્ષેત્રે તો ખબર નહીં પણ મારી પોતાની કારકિર્દી માટે એક ઘટના ગણવી પડે એવું કામ થાય!

જલારામદીપના એવા અદ્ભુત પ્રોજેક્ટના સર્વેસર્વા તરીકે મારા જેવા અજાણ્યા માણસની પસંદગી થવી મારા માટે મોટું આશ્ચર્ય હતું. અઠવાડિયામાં મારે જવાબ આપવાનો હતો.

મેં મારી જાતને પૂછી જોયું કે આવી જવાબદારી ઉપાડવા હું સક્ષમ છું કે કેમ? પૂરતો સમય હતો. મનગમતું કામ હતું. હા, સમય અને શ્રમ માંગી લેતું કામ હતું. આવી તક જીવનમાં ફરી નહીં મળે એ પણ હું સમજતો હતો. મેં બીડું ઉઠાવ્યું. સતીશભાઇને ફોન કરીને મેં હા પાડી. “મને ખબર હતી કે તમે હા પાડશો.” નિર્વિકારભાવે એટલું બોલીને એમણે ફોન કટ કર્યો.  

બાંયો ચડાવીને હું કામે લાગ્યો. મેં પ્રોજેક્ટની ડિઝાઈન બનાવી. એપ્રુવલ માટે સતીશભાઇને ટપાલમાં કાગળિયાં મોકલ્યા. એમનો ફોન આવ્યો: “કિશોરભાઇ, તમારે કોઈ એપ્રુવલ લેવાનું નથી. કામ તમને સોંપેલું છે, તમે તમારી રીતે કામ કરો. મોડામાં મોડું ફેબ્રુઆરી ૨૦૨૧ માં મને ફાઈનલ રીઝલ્ટ આપો.”

હું મારી રીતે પ્રોજેક્ટમાં આગળ વધ્યો. વર્ષ ૨૦૨૦ના અંત પહેલાં કામ પૂરું કરવાનું હતું. ધારણા કરતાં ઝડપથી કામ પૂરું થયું. ત્યાં જ મોંકાણના સમાચાર આવ્યા.

કોરોનાના કારણે સામયિકના માલિક-પ્રકાશક મનુભાઇ પટેલનું નવેમ્બર ૨૦૨૦ મહિનામાં અવસાન થયું. છેલ્લે ડિસેમ્બર ૨૦૨૦ નો અંક પ્રસિદ્ધ થયો એ પછી સામયિકનું પ્રકાશન સ્થગિત થઇ ગયું.

સતીશભાઇ પાસેથી મને સૂચના મળી કે પ્રોજેક્ટનું કામ ભલે પૂરું થઇ ગયું હોય, પણ એનાં કાગળિયાં હાલ તુરંત મારે વડોદરે મોકલવા નહીં. પણ એમણે મને ધરપત આપી કે જયારે પણ જલારામદીપ પુન: સક્રિય થશે કે પહેલો અંક આ પ્રોજેક્ટનો વિશેષાંક હશે.   

હું મનોમન પ્રાર્થના કરતો રહ્યો કે જલારામદીપ જલ્દીથી પુન: સક્રિય થાય.

વચ્ચે એક વાર સ્વ. મનુભાઇના ચિરીંજીવી અને સામયિકના વ્યવસ્થાપક શ્રી જતીનભાઇ પટેલસાહેબ જોડે ફોન પર મારી વાત થઇ, એમણે કહ્યું કે “મારે જલારામદીપ ફરીથી ચાલુ કરવું છે, પણ લોકડાઉનના કારણે હસ્તાંતરણની કાર્યવાહી અટકી પડી છે, પ્રતિબંધો હળવા થાય એટલે બાકીનો વિધિ જલ્દીથી પતાવી દઈશું.”     

વચ્ચે જ ક્યારેક  વોટ્સએપ પર સતીશભાઇના ગુડમોર્નિંગ મેસેજીસ રોજ સવારે આવવાનાં શરુ થઇ ગયાં હતાં.

મારા માટે આ જરા અણગમતી વાત હતી. હું કોઇને આવા મેસેજીસ કરતો નથી. કોઈના મેસેજીસનો ઉત્તર આપતો નથી. ફોનમાં નર્યો કચરો જમા થયા કરે. રોજેરોજ ફોનની સાફસૂફી કરવાનું એક વધારાનું કામ ઊભું રહે છે.

પણ સતીશભાઇ માટે મેં અપવાદ કર્યો. આટલા મોટા જ્ઞાની માણસ. ઉંમર, અનુભવ અને સિધ્ધિઓ જોઇએ તો આપણો કોઈ મેળ નહીં. વળી અમારા સંબંધનું પરિમાણ હવે બદલાયું હતું. લેખક અને તંત્રી એવા સંબંધમાંથી હવે અમે એક મહત્વના પ્રોજેક્ટના ભાગીદાર બન્યા હતા.  એમનું માન મારે જાળવવું રહ્યું. તેમના રેડીમેડ ગુડમોર્નિંગ મેસેજીસના હું રોજેરોજ ઉત્તરો આપવા માંડ્યો. અન્યો તરફથી આવેલા રેડીમેડ મેસેજ હું ક્યારેય ફોરવર્ડ કરતો ન હતો. રોજેરોજ ‘સુપ્રભાત સતીશભાઇ!’ અથવા ‘Good Morning સતીશભાઇ!’ એવું લખીને જોડે નમસ્તેનું ઈમોજી મૂકીને હું ઉત્તરો આપવા લાગ્યો. મારા ધ્યાનમાં આવ્યું કે સોશિયલ મીડિયા પર તેઓ હતાં ખરા પણ સક્રિય ન હતા. પછીથી સમજાયું કે પ્રગતિશીલ ટેકનોલોજી સાથે એમની મૈત્રી મોબાઈલ ફોન પર કેવળ પસંદગીના મિત્રો જોડે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રમવા પૂરતી સીમિત હતી.  બીજો ખ્યાલ આવ્યો કે હું કદાચ એમનાં મિત્રમંડળમાં સામેલ થઇ ગયો હોઉં!       

૧૨ મે ૨૦૨૧ પછી ત્રણ-ચાર દિવસ મેસેજ આવ્યા નહીં. રોજ સવારે નિયમિતપણે આવતાં મેસેજ બંધ થયાં એટલે હું ચિંતામાં પડ્યો. ૧૬ મી મે ના રોજ એમની તબિયત વિષે જાણવા મેં એમને ફોન કર્યો. ફોન એમણે ઉપાડ્યો ખરો પણ સતત ખાંસીને લીધે તેઓ બરાબર વાત કરી શક્યા નહીં. ચાર-પાંચ દિવસ પછી ફોન કરજો એટલું કહીને એમણે ફોન કટ કર્યો.

૨૬ મે ૨૦૨૧ ના દિવસે એમના ફોન પરથી એમના જયેષ્ઠ પુત્ર હેમાંગભાઇનો સંદેશો મળ્યો. એમણે જણાવ્યું કે “સતીશભાઇને ICU માં દાખલ કર્યા છે. કોરોના પોઝીટીવ આવ્યા છે. ઓક્સિજન લેવલ નીચે ગયું છે.”

દરમિયાન અમારા કોમન ફ્રેન્ડ અને લેખકશ્રી પ્રભુદાસ પટેલ જોડે કોઈ અન્ય કામ અંગે વોટ્સએપ પર સંવાદ થયો ત્યારે સતીશભાઇની વાત નીકળી. સતીશભાઇના કથળેલા સ્વાસ્થ્ય અંગે એમને જાણ હતી. એમણે પણ એમનાં વિષે ચિંતા વ્યક્ત કરી હતી. 

એ પછી એક જ અઠવાડિયામાં એટલે કે બીજી જૂનથી ફરી સતીશભાઈના ગુડમોર્નિંગ મેસેજ આવવાનાં શરુ થઇ ગયા એટલે મારા જીવમાં જીવ આવ્યો. બે દિવસ પછી એમના જ ફોનમાં હેમાંગભાઇનો મેસેજ આવ્યો કે “પપ્પાને હજી અશક્તિ છે, વાત કરી શકે એટલી સ્વસ્થતા એમનામાં આવશે પછી તમારી જોડે વાત કરાવીશું.”

એ પછી પણ ગુડ મોર્નિંગ મેસેજ નિયમિત આવતાં રહ્યાં. આઠમી જૂને છેલ્લો મેસેજ આવ્યો અને ફરીથી મેસેજ બંધ થઇ ગયા.

અઠવાડિયા પછી ચૌદમી જૂને હાલચાલ જાણવા મેં ફક્ત “હેલ્લો!” એટલો એક શબ્દનો મેસેજ કર્યો.

તરત જ સતીશભાઇનો જવાબ આવ્યો: “ઠીક છું.”

એ એમનો છેલ્લો મેસેજ હતો.              

પ્રોજેક્ટનું તો જાણે સમજ્યા પણ મારી ઈચ્છા હતી એક વાર વડોદરા જઇને સતીશભાઇને રૂબરૂ મળું. આટલું મોટું કામ મારા પર વિશ્વાસ મૂકીને મને સોંપ્યું એ માટે મારે એમનો આભાર માનવો હતો. ભેગાં ભેગાં પ્રોજેક્ટના પેપર્સ પણ એમને હાથોહાથ સુપ્રત કરવાં હતાં. પણ લોકડાઉનના પ્રતિબંધોના કારણે પ્રવાસ કરવાનું શક્ય બન્યું નહીં. વળી કોરોના પોઝીટીવ દર્દીને મળવાની મંજૂરી કદાચ મને ના પણ મળે. જલારામદીપના હસ્તાંતરણનું કામ પણ હજી થયું ન હતું.

પણ મારી ધીરજ ખૂટી રહી હતી. ૨૪ જૂનની સવારે મેં સતીશભાઇને વોટ્સએપ સંદેશો કર્યો કે તમે સ્વસ્થ હો અને રજા આપો તો ટ્રેનનું રિઝર્વેશન કરાવું અને રૂબરૂ મળવા વડોદરા આવું. સંદેશો કર્યો ને કલાકમાં તો ખબર આવ્યા કે...      

###

સતીશભાઇ ડણાકસાહેબની પરિકલ્પના પ્રમાણેનો મારા હાથે તૈયાર થયેલો અમારો એ ડ્રીમ પ્રોજેક્ટ હવે કદાચ ક્યારેય સૂર્યપ્રકાશ નહીં જુએ.

છેલ્લા એક વર્ષ દરમિયાન એકબીજાથી વિરુદ્ધ લાગણીઓ સાથે જીવ્યો છું. પ્રોજેક્ટમાં હું જ્યારે ગળાડૂબ હતો ત્યારે મારી જિંદગી ઉત્સાહ, આનંદ અને આવેશથી ભરપૂર હતી. રાતોની રાતો ઊંઘી શકતો ન હતો. ખાવાનું ભાવતું ન હતું. જેમ જેમ પ્રોજેક્ટ આકાર લેવા માંડ્યો તેમ હું થોડો સ્વસ્થ થવા માંડ્યો. મનુભાઈ પટેલના અવસાનના સમાચાર આવ્યા એ પછીના દિવસો ભારે મૂંઝવણ અને હતાશામાં વીત્યાં છે. મનોમન પ્રાર્થના કરતો રહ્યો હતો કે હવે બીજી કોઈ નવાજૂની ના થાય. પણ જયારે સમાચાર આવ્યા કે સતીશભાઇ કોરોના પોઝીટીવ આવ્યા છે અને ICU માં દાખલ કર્યા છે ત્યારે પ્રામાણિકપણે કહું તો હું ડરી ગયો હતો. છેવટે ના બનવાનું બન્યું.

આ પ્રોજેક્ટ સતીશભાઈએ જીવનમાં કરેલા અગણિત પ્રોજેક્ટમાંનો એકાદ હશે. પણ મારા માટે તો એ કેટલો મહત્વનો હતો એ એકલો હું જાણતો હતો.         

કોઇ ફિલ્મ અધૂરી મૂકીને દિગ્દર્શક મૃત્યુ પામે તો નિર્માતા અન્ય દિગ્દર્શક પાસે ફિલ્મ પૂરી કરાવે છે કારણ કે એક પ્રોજેક્ટમાં અનેક લોકોની મહેનત લાગેલી હોય, અનેક લોકોનું ભાવિ સંકળાયેલું હોય, નિર્માતાના પૈસા લાગેલા હોય. પણ આવા સાહિત્યિક પ્રોજેક્ટમાં તો શું થાય?

અમારા આ પ્રોજેક્ટમાં કોઈનો પૈસો ક્યાંય લાગ્યો નથી.  ફક્ત મારો સમય અને મારું બૌદ્ધિક રોકાણ થયું છે પણ એનું હવે શું? આ પ્રોજેક્ટ સતીશભાઇની કલ્પના હતી, એવી કલ્પના કોઈ અન્ય સામયિકના માલિક/તંત્રીના મગજમાં તો હું આરોપી શકું નહીં! વળી મારા કહેવાથી કોઈ તંત્રી એવા પ્રોજેક્ટમાં શા માટે પડે? કોઇને પોતાને સૂઝે તો કંઇક વાત બને! પછી ભલે એવો પ્રોજેક્ટ એ મારી સાથે કરે કે અન્ય કોઇની સાથે કરે!

આ પ્રોજેક્ટ ભવિષ્યમાં સાકાર થાય કે નહીં, એટલું ખરું કે આ પ્રોજેક્ટના કારણે મને તો લાભ જ થયો છે. એક નવો આત્મવિશ્વાસ મારામાં પ્રગટ્યો છે. એક નવી ઉર્જાનો સંચાર થયો છે. મને સાબિતી મળી ગઇ છે કે નવા આહ્વાનો હું ઉપાડી શકું છું. પ્રોજેક્ટનું કામ કરતી વખતે જે excitement, જે thrill અને જે sense of fulfillment મેં અનુભવ્યાં છે એનો જોટો જડે એમ નથી. આ પ્રોજેક્ટ આમ જનતા માટે ખુલ્લો મૂકાય કે નહીં, લોકોની સામે આખેઆખો આવે કે ટુકડા ટુકડા થઈને આવે, મને કોઈ ફરક નહીં પડે. મને આમાંથી જે આનંદ મળવાનો હતો એ તો હું આગોતરા મેળવી ચૂક્યો છું. હવે એનું જે કંઇ પણ થશે એ મારા માટે કેવળ ઔપચારિકતા હશે.

Age is just a number જેવી ઉક્તિ સતીશભાઇને બરાબર લાગુ પડતી હતી. ૮૦+ ની ઉંમરે જલારામદીપનું સંપાદન તેઓ ખંતપૂર્વક કરતા હતા. મારા જેવા અજાણ્યા લેખકની એકાદ-બે વાર્તા વાંચીને, નવી પ્રતિભાને ઓળખી લઈને વાર્તાની મીઠી ઉઘરાણી તેઓ કરી શકતા હોય તો એમના માટે એમ જ કહેવું પડશે કે ઉંમરની મર્યાદા એમને ક્યારેય નડી ન હતી. 

સતીશભાઈનું અવસાન મારા માટે ભરપાઈ કરી ના શકાય એવી અંગત ખોટ છે. એક અફસોસ રહી ગયો. એમને મોઢામોઢ મળીને Big Thank you! કહેવું હતું એ રહી ગયું.  

પરમકૃપાળુ સર્વશક્તિમાન ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.   

--કિશોર પટેલ, 28-06-21; 03:35.            

###

 


Thursday 24 June 2021

નવનીત સમર્પણ જૂન ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

 

નવનીત સમર્પણ જૂન ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

(૪૭૦ શબ્દો)

પૈડું (વીનેશ અંતાણી):  

નોખો વિષય નોખી વાર્તા. મુગ્ધાવસ્થામાં થતાં પ્રેમ/વિજાતીય આકર્ષણની વાત.

વાર્તા પ્રથમ પુરુષ એકવચન કથનરીતિમાં કહેવાઇ છે. મધ્યમ વયનો કથક એક શૈક્ષણિક સંસ્થામાં શિક્ષક છે. જ્યાં બાળપણ વીત્યું એ ગામની મુલાકાત લેવાની એને અનાયાસ તક મળે છે. એનું બાળપણ સજીવન થાય છે. એ પછી સંપૂર્ણ વાર્તા ફલેશબેકમાં કહેવાય છે.  

નાનપણમાં સાયકલના ફાલતુ ટાયરને પૈડું બનાવીને કથક રસ્તા પર ફેરવ્યા કરતો. ઉંમરમાં એનાથી બે વર્ષ મોટી એક બાળસખી મણિ હતી. રમતાં રમતાં એકબીજાને સમજ પણ ના પડે એ રીતે બંને એકમેક પ્રત્યે આકર્ષાયા હતાં. સંતાકુકડીની રમત દરમિયાન મણિ સાથેની થોડીક નાજુક ક્ષણોનું આલેખન વાર્તાકારે ઘણી જ કુશળતાથી કર્યું છે. પ્રેમ એટલે શું એ સમજવાની ઉંમર થાય એ પહેલાં જ કથકને પ્રેમની અનુભૂતિ થઇ હતી. લગ્ન કરીને મણિ કોઇ અજાણ્યા આદમી જોડે બીજા ગામડે ચાલી જાય એ વાતને ક્થક સ્વીકારી શકતો ન હતો. ભોળા ભાવે પોતાની દાદીને એ પૂછે છે કે મણિ કેમ કાયમ માટે આપણી જોડે રહી ના શકે? હંમેશા લઘરવઘર રહેતી મણિ કેવળ ક્થકને ગમે એટલા માટે સ્વચ્છ અને સુઘડ રહેવાનું શીખે છે. પ્રેમ એટલે શું કદાચ એને પણ ખબર ન હતી.

કથક વિચારે છે કે આજે મણિ ક્યાં હશે? એને સમજાય છે કે બાળપણના પ્રેમનું એ પૈડું હવે ના આગળ ફરી શકે છે કે ના પાછળ.  એ તો સ્થિર થઇ ગયું છે, જ્યાં હતું ત્યાં.               

ટૂંકી વાર્તાક્ષેત્રે આ લેખક ઘણું કરીને પરંપરાગત સ્વરૂપને વફાદાર રહ્યા છે. એમનો પ્લસ પોઈન્ટ છે દમદાર અને વૈવિધ્યપૂર્ણ સામગ્રી. એતદના છેલ્લા અંકની “રણ” વાર્તામાં રણપ્રદેશની બદલાતી સંસ્કૃતિની વાત હતી. આ વાર્તામાં મુગ્ધાવસ્થાના પ્રેમની વાત છે. સરસ વાર્તાનુભૂતિ.

તૂટેલી હોડી (કિરણ વી.મહેતા):

એકલપેટા માણસની વાત. પરિવારમાં રહ્યાં પછી પણ, સતત લોકસંપર્ક થતો હોય એવી બેન્ક જેવી સંસ્થામાં આખી જિંદગી નોકરી કર્યા પછી પણ માણસો જોડે અનુકૂલન સાધતાં એને આવડ્યું નહીં. એના કજિયાળા સ્વભાવથી ત્રાસીને દીકરો અલગ થઇ ગયો, પત્ની પણ દીકરા પાસે જતી રહી ગયાં છતાં પણ એ એવો જ રહ્યો. જીવનસંધ્યાએ કોઈ તીર્થસ્થળે એક પરિવારમાં એના જેવા જ એક વૃદ્ધને મળતાં સ્નેહ અને આદરને જોઇને એને સમજાય છે કે જીવનમાં પોતે નિષ્ફળ ગયો છે.

વાર્તાના પ્રારંભમાં થયેલું તીર્થક્ષેત્રના પ્રાકૃતિક સૌંદર્યનું વર્ણન વાર્તા માટે ઉપકારક નથી. વાર્તાના વિષય જોડે એ બંધબેસતું નથી. એના બદલે ઉજ્જડ ગામ અથવા રણવિસ્તારનું વર્ણન યોગ્ય લાગત. અથવા આ જ તીર્થક્ષેત્રની શક્ય એવી દુર્દશાનું ચિત્રણ થયું હોત તો પણ વિષયપ્રવેશ યોગ્ય રીતે થયો હોત. અથવા મંકોડો એના ગળે ચટકો ભરે છે ત્યાંથી વાર્તા શરુ કરી હોત તો શ્રેષ્ઠ આરંભ થયો કહેવાત. સમગ્ર વાર્તામાં ઉપમા અલંકારનો વિપુલ માત્રામાં ઉપયોગ થયો છે. વાર્તામાં આરોહ-અવરોહ-વળાંક કંઇ જ નથી. એક જ સૂરમાં વહેતી વાર્તા ભાવકના ચિત્તને સ્પર્શવામાં નિષ્ફળ રહે છે. એટલે જ અંતમાં એના પ્રાણત્યાગથી ભાવકના ચિત્તમાં કરુણ રસ નિષ્પન્ન થતો નથી. પરિવાર પાસે જઇને સંબંધો પુનર્જીવિત કરવાનો પ્રયાસ એણે કર્યો હોત તો કંઇક વાત બની હોત. પરિવારે જાકારો આપ્યો હોત તો ધાર્યું કારુણ્ય ઉપજ્યું હોત.  

આ વાર્તાકારની રચનાઓ વિવિધ સામયિકોમાં સતત પ્રસિદ્ધ થતી રહે છે. લખાણમાં અવનવા વિષયો તેઓ સતત અજમાવતા રહે છે.

--કિશોર પટેલ,  24-06-21; 05:44 

###

 


Tuesday 22 June 2021

પરબ જૂન ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

પરબ જૂન ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

(૯૪૩ શબ્દો)

ચંદેરી (ગિરિમા ઘારેખાન):

પરિવારમાં એકાદ બહેન અપરિણીત હોય તો સગાંસ્નેહીઓ દ્વારા પ્રારંભિક વિરોધ પછી સમયાંતરે એને સ્વીકારી લેવામાં આવે છે. એટલું જ નહીં, પછી તો ઘણી સહેલાઇથી એને ગૃહિત ધારવામાં આવે છે. એણે સ્વેચ્છાએ અપરિણીત રહેવાનું નક્કી કર્યું છે કે સંજોગવશાત એવું થયું છે એ ભૂલાઈ જાય છે. “તને એકલીને વળી કેટલું જોઇએ?” કે “આખો દિવસ એકલી કરતી શું હોય છે?” કે “તારે વળી શું તૈયાર થવાનું?” જેવા સહજતાથી બોલાતાં વિધાનો જે તે કન્યાના હ્રદય પર કેવો ઊંડો જખમ કરતાં હોય છે એ આપણે વિચારતાં નથી.

અહીં યાદ આવે છે યુવા વાર્તાકાર અજય સોનીની ઈ.સ. ૨૦૨૦ માં પ્રસિદ્ધ થયેલી એક વાર્તા ‘પડછાયાના ટુકડા’. એ વાર્તામાં અપરિણીત વીમા એજન્ટને હાલતાં-ચાલતાં સાંભળવું પડતું હતું કે “તમારું કોણ ખાશે?” “તમારે વળી કેવી ઉતાવળ? ઘેર ક્યાં કોઈ રાહ જુએ છે?” જો કે એ વાર્તાનો વિષય અલગ હતો, બંને વાર્તા વચ્ચેનું સામ્ય અહીં પૂરું થાય છે.

નાયિકા શ્યામા પરવશ સ્થિતિમાં જીવતા પિતાની સેવા માટે અપરિણીત રહી છે. પિતા પ્રત્યે ત્રણે દીકરીઓની ફરજ સરખી જ કહેવાય છતાં શ્યામાએ કરેલા ત્યાગને અવગણીને બાકીની બંને બહેનો હાલતાં-ચાલતાં શબ્દબાણો ચલાવતી રહે છે અને જાણ્યેઅજાણ્યે શ્યામાનું હ્રદય ચાળણી જેવું બનાવતી રહે છે. શ્યામાની પોતાની પણ અંગત જિંદગી છે એ વાત મોટી બહેનો ધ્યાનમાં લેતી નથી. પિતાના મૃત્યુ પછી તો બહેનો “તારી ભાણીને તો તારા વિના ચાલે જ નહીં!” એવું કહીને એની પાસે મફતમાં વેઠ કરાવતી થઇ જાય છે.  

વાર્તાની શરૂઆતમાં સંકેત અપાયો છે કે શ્યામાની જિંદગીમાં એક યુવાન હતો. અંતમાં સંકેત છે કે એ દૂરદેશાવાર  ચાલી ગયો છે. શ્યામાએ ધાર્યું હોત તો પોતાની જિંદગીને વળાંક આપી શકી હોત.

ભાવકના ચિત્તમાં વિષાદ જન્માવવામાં આ વાર્તા સફળ રહે છે. સભ્ય સમાજના અંશ તરીકે આપણે થોડાંક વધુ સંવેદનશીલ કેમ બની શકતાં નથી?  વિષય જૂનો પણ માવજત સારી.  હ્રદયસ્પર્શી વાર્તા.                

કાલે તો કાલે, પછી તો પછી (દિલીપ ભટ્ટ):

મધ્યમ વર્ગના સંયુક્ત કુટુંબની ખાટીમીઠી. છોકરાં મોટાં થાય, પરણે, કુટુંબવિસ્તાર થાય. શહેરોમાં તો આમ પણ જગ્યાની અછત હોય છે. મોટો દીકરો પરણે ત્યારે નવી વહુનો સમાવેશ તો થઇ જાય પણ બીજો દીકરો પરણે એટલે બેમાંથી એકાદ દીકરાએ જુદાં થવું પડે. પૂર્વતૈયારીરૂપે જૂદું  ઘર લેવું અને સંજોગવશાત જૂદું ઘર લેવું એ બે અલગ બાબતો છે. પ્રસ્તુત વાર્તામાં નાના દીકરાએ લગ્ન પછી ફરજિયાત જુદાં થવું પડ્યું છે.

સમાજમાં દીકરાઓ વચ્ચે ભેદભાવ કરતાં માબાપો જોવા મળે છે. મધ્યમ વર્ગમાં દીકરાઓની વચ્ચે તેમની આવકના પ્રમાણમાં કે પછી વહુઓ પિયરમાંથી કેટલો માલ લાવી છે તેના પ્રમાણમાં માબાપ ભેદ કરતાં જોવા મળ્યાં છે. ક્યારેક ‘તારું-મારું’ કરનારી વહુનો સ્વભાવ મુખ્ય ભાગ ભજવતો હોય છે.

પ્રસ્તુત વાર્તામાં મોટા દીકરો એન્જીનિયર છે. એની આવક કદાચ સારી છે અને માતા એનાથી અને એની વહુથી દબાયેલી હોય એવું જણાય છે. પહેલા પુરુષ એકવચનમાં રજૂ થયેલી આ વાર્તામાં કથક નાનો દીકરો છે. એનું પહેલું સંતાન માંડ એક મહિનાનું હોય ત્યારે વરસતા વરસાદમાં એણે ઘર છોડીને નીકળવું પડે છે. લેખકે કંઇ જ કહ્યું નથી પણ ઘરમાં ભાઈઓ-વહુઓ કેવી દલીલો થઇ હશે એની ભાવકે કલ્પના કરવી રહી.

નોંધવાની વાત એ છે કે કુટુંબના કલુષિત વાતાવરણના છાંટા કથકના દાંપત્યજીવન પર ઉડ્યા નથી. પતિ-પત્ની વચ્ચેનો મનમેળ હેમખેમ રહે છે. હા, જે માતા પ્રારંભમાં કડવી જણાઇ છે એ હવે થાકી છે અને મોટા દીકરાનો સાથ છોડીને નાના દીકરા પાસે આવવા ઈચ્છે છે પણ અપરાધબોધના કારણે એવી ઈચ્છા એ પ્રગટ કરી શકતી નથી.

કથક જ્યાં ભાડે રહેવા જાય છે એ ઘરનું વાતાવરણ એટલે જાણે રણમાં મીઠી વીરડી. કથક અને એની પત્નીને ઘરનાં માણસોની ખોટ સાલવા ના દે એવું પ્રેમાળ કુટુંબ.

રજૂઆતમાં કથકના તબીબી વ્યવસાયની પરિભાષાનો સુંદર સમન્વય થયેલો જોવા મળે છે. વાર્તાકાર પોતે ડોક્ટર છે કે નહીં તે આપણે જાણતાં નથી પણ આ એક સુખદ આશ્ચર્ય છે કે વાર્તામાં ચાવીરૂપ જગ્યાએ આ વ્યવસાયને સાંકળતી સુંદર અભિવ્યક્તિઓ જોવા મળી છે.

પ્રસ્તુત છે કેટલાંક ઉદાહરણો: // બાના મોંએ ‘મારો દીકરો’ સાંભળ્યા પછી: પેશન્ટનું મૃત્યુ નક્કી જ છે એની ખાતરી થયા પછી અમે જે અંતિમ અને એકસ્ટ્રીમ દવાનો છેલ્લી ક્ષણે પ્રયોગ કરીએ છીએ એવો જ બાનો આ શબ્દપ્રયોગ હતો. // // મારામાં મરવા પડેલો દીકરો એકાએક સજીવન થતો મેં અનુભવ્યો. અચલાને અન્યાય થઇ જવાના ભયે માંડમાંડ મેં ભીતરના પુત્રપણાને ફરી એનેસ્થેસિયાની હવા આપી. //

આ ઉપરાંત અન્ય એક સુંદર અભિવ્યક્તિ:  // એક કઠિયારો જંગલમાંથી પસાર થાય ને લાખો પાંદડા ધ્રુજી ઉઠે એમ ઘરમાંથી ગઇ કાલે બા પસાર થયાં. પછીના કંપનો હું હજી અનુભવતો હતો. //

રૂપી (અરવિંદ બારોટ):

લોકવાર્તા.

આત્માના મોક્ષ માટે પુનર્જન્મ. ગોર મહારાજની પાંચ વર્ષની નબુ અચાનક ના સમજાય એવી વાતો કરવા માંડી, જાણે વયસ્ક સ્ત્રી હોય એવું વર્તન કરવા લાગી. બે બાળકો અને પતિ-સાસુના ત્રાસ વિષે વાતો કરવા માંડી. તપાસ કરતાં પાડોશના ગામની એક રૂપી નામની સ્ત્રીનો ઈતિહાસ માલૂમ પડ્યો.  ગામના અદેખા લોકોની વાતમાં આવી જઇને રૂપીના પતિ મેપાને વહેમ ભરાઈ ગયો કે એની પત્ની રૂપી ગામના એક જુવાનિયા જોડે આડો સંબંધ રાખે છે. એ પોતાની સુલક્ષણા પત્નીને ઘણો ત્રાસ આપે છે. બે બાળકોને રડતાં મૂકીને દુઃખિયારી રૂપી કૂવો પૂરે છે. એ રૂપીનો બીજો જન્મ ગોરને ત્યાં થયો. ગોર નબુને જોડે લઈને જે તે ગામે જઇને મૂળ માણસોને મળ્યાં. રૂપીના મોટા થયેલાં સંતાનોને નબુ મળી. મેપા પર બધો આક્રોશ ઉતાર્યા બાદ રૂપીના આત્માને શાંતિ મળે છે અને નબુ એના આત્માથી મુક્ત થાય છે.

અને છેલ્લે:

હજી હમણાં મે મહિનાના નવનીત સમર્પણમાં આ જ લેખક અરવિંદ બારોટની એક વાર્તા ‘સામા કાંઠે’ વાંચવામાં આવી. એ વાર્તામાં પણ આ જ રીતે એક જુવાનિયો પોતાની પત્ની પર શંકા કરે છે કે એ બીજા એક જુવાનિયા જોડે સંબંધ રાખે છે. એ પેલા જુવાન જોડે યુદ્ધ કરે છે. બંને માર્યા જાય છે.  એમાં ક્યાંય ‘લોકવાર્તા’ એવો ઉલ્લેખ ન હતો. પણ હવે લાગે છે કે એ વાર્તા પણ આવી જ કોઈ લોકવાર્તા પર આધારિત હતી.

લોકવાર્તા પણ સાહિત્યનો જ એક પ્રકાર છે. ટૂંકી વાર્તા કાલ્પનિક હોય છે જયારે આવી લોકવાર્તા પરાપૂર્વથી ચાલી આવતી દંતકથાઓના આધારે લખાતી હોય છે. આમાં ખોટું કે શરમાવાનું કંઇ નથી. આ રીતે કર્ણોપકર્ણ ચાલી આવતી દંતકથાઓને શબ્દસ્થ કરવી એ પણ એક મોટું સરાહનીય કાર્ય છે. જયારે પણ લોકકથાને આધારે વાર્તા લખાઇ હોય ત્યારે પરબના આ અંકમાં કરી છે એવી નોંધ ભૂલ્યા વિના કરવી જોઇએ.   

--કિશોર પટેલ; 22-06-21; 13:16

###

  

 

  

 

               

   


Friday 18 June 2021

મમતા જૂન ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ




 

મમતા જૂન ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૯૩૫ શબ્દો)

ગ્રામચેતના વિશેષાંક; અતિથી સંપાદક: કલ્પેશ પટેલ  

વચ્ચે (રવીન્દ્ર પારેખ): સંતાન માટે એક પિતાના આત્મબલિદાનની વાર્તા. દીકરીની સારવાર માટેના પૈસા ભેગાં કરવા કિસન દવા બનાવતી એક કંપનીના પ્રયોગો માટે સ્વયંસેવક બને છે. રસીનો એક ડોઝ લીધા પછી એ ભયાનક શારીરિક નબળાઇ અનુભવે છે એમ છતાં પણ બીજો ડોઝ લેવા પાછી પાની કરતો નથી. ગરીબી અને લાચારી માણસ પાસે કેવાં કેવાં કામ કરાવે છે! ટૂંકી પણ સચોટ અને હ્રદયસ્પર્શી વાર્તા.

વત્સલા (કિશોર વ્યાસ): પરિવારના સભ્યો એકબીજાની લાગણીઓનો અનાદર કરે એના પરિણામે ક્યારેક કરુણાંતિકા સર્જાતી હોય છે. રજૂઆત વેરવિખેર. આરંભમાં ગૃહત્યાગ કરી ગયેલી સ્ત્રી પર રહેલું ફોકસ પછી એની પરિણીત દીકરી પર સ્થિર થાય. દીકરી છૂટાં પડેલાં માતા-પિતાને એક કરવા મથે. પશ્ચાતાપની ભઠ્ઠીમાં સળગી રહેલા  પિતાને મૃત્યુ આંબી જાય. જૂની કરુણ હિન્દી ફિલ્મને હંફાવી દે એવી રૂમાલભીની વાર્તા. (સ્પર્ધાની સન્માનિત વાર્તા)  

સ્વૈરિણી (એકતા નીરવ દોશી): મા અને દીકરી વચ્ચે, લેખક અને પાત્ર વચ્ચે અને ચિત્રકાર અને એના મોડેલ વચ્ચે પરાપૂર્વથી ચાલ્યા આવતા ગજગ્રાહની વાત. માલિકીભાવ અને સ્વાતંત્ર્ય વચ્ચેની લડાઇ અનંતકાળ સુધી ચાલ્યા કરશે. રજૂઆતમાં વિષયને અનુરૂપ આલંકારિક ભાષાનો ઉપયોગ થયો છે. (સ્પર્ધાની સન્માનિત વાર્તા)

મેળો (કેશુભાઇ દેસાઇ): માનવમનના અટપટા ખેલ લેખકે આબાદ ઝીલ્યાં છે આ વાર્તામાં. એક તરફ બીભત્સ રસનું ચીતરી ચડે એવું ચિત્રણ અને બીજી તરફ સ્ત્રીના સંકુલ મનનું આલેખન!

નાયિકા વીરીનું પાત્રાલેખન જબરું થયું છે. મંદ્રોપુરના મેળામાં જોયેલો યુવાન મનમાં વસી ગયેલો. એનું માંગુ પણ આવ્યું હતું પણ મોટા બાપુ નડી ગયા. સાટામાં વહુ મળતી ન હતી એટલે મોટા બાપુએ નન્નો ભણી દીધેલો!  વીરીના ભાગ્યમાં તો લખેલો હતો આ ‘મરદ’નો બચ્ચો!

પિતૃસત્તાક સમાજવ્યવસ્થામાં ‘મરદ’ની વ્યાખ્યા પણ કેવી? સ્ત્રીનું કહ્યું ધરાર ના માનવું, સ્ત્રીના તાબે ના થવું, પોતાના મનનું જ કરવું! એટલું જ નહીં, પોતાની સ્ત્રી પાસે પણ પોતાનું ધાર્યું જ કરાવવું!

આવું મિથ્યાભિમાન પુરુષો તો રાખે, સ્ત્રીઓ પણ વળી એવો પુરુષ મળ્યાનો ગર્વ અનુભવે! પ્રસ્તુત વાર્તામાં નાયિકા વીરીને એક તરફ મનમાં વસેલો યુવાન ધણી તરીકે ના મળ્યો એનો અફસોસ છે તો બીજી તરફ આવો ‘જોરાવર’ ધણી મળ્યાનો ગર્વ પણ છે! વીરીનો પતિ ફલજી વ્યસની છે, દારૂ-બીડીનું એને બંધાણ છે પણ એ જેવો છે તેવો વીરીએ મનેકમને સ્વીકારી લીધો છે. વ્યસનના કારણે ફ્લજી મરવા પડ્યો છે ત્યારે એને સાજો કરવા કોઈ પણ કિંમત ચૂકવવા વીરી તૈયાર છે! પેલા ચંદ્રોપુરના મેળામાં મળેલો યુવાન હવે ડોક્ટર ડી એમ ચૌધરીના રૂપમાં આટલાં વર્ષે ફરીથી મળી ગયો ત્યારે વીરીના મનના ખૂણે સુષુપ્ત અવસ્થામાં રહેલાં અરમાન જાગી ઊઠે છે. વીરીના દેહ પર ફરી વળતી ડોક્ટરની નજરનો અર્થ ના સમજાય એટલી ભોળી તો વીરી નથી જ.

મર્યાદિત શબ્દોમાં સશક્ત વાર્તા. ક્યાંય બિનજરૂરી વર્ણન નહીં, હેતુ વિનાનો એક શબ્દ પણ નહીં! નમૂનેદાર વાર્તા.   

સોનેરી ચંપલ (પ્રવીણ ગઢવી): ગુજરાતનાં ગામોમાં અને દેશમાં અન્યત્ર ખૂણેખાંચરે સ્વાતંત્ર્યના સાત દાયકા પછી પણ આભડછેટનું દૂષણ હયાત છે. દલિતો મૂછ રાખે કે વરઘોડો કાઢે તો સવર્ણોને વાંધો પડે છે. પ્રસ્તુત વાર્તામાં એક દલિત સ્ત્રી નવી સોનેરી ચંપલ પહેરીને સવર્ણોના મહોલ્લામાં ગઇ એમાં તો સવર્ણોનો અહમ ઘવાયો. વાતમાંથી વાત વધી પડી અને સાંજે સવર્ણોએ દલિતવાસ પર સશસ્ત્ર આક્રમણ કર્યું ત્યારે પહેલેથી જ સાવચેત દલિતોએ પણ સશસ્ત્ર મુકાબલો કર્યો અને સવર્ણોને ભાગતાં ભોંય ભારે પડી. દલિતોમાં જાગેલાં આત્મસન્માન વિષેની પારંપરિક શૈલીમાં રજૂઆત પામેલી વાર્તા.      

માથે પડેલો (જિતેન્દ્ર પટેલ): રચનારીતિનું ઉત્તમ ઉદાહરણ. નાયકને ફોન પર બેનના ઘેરથી અશુભ ખબર મળે છે. પત્ની જોડે તૈયાર થઇને પોતાના ઘેરથી વાહન વડે બેનના ઘેર પહોંચે એટલા સમયમાં સંપૂર્ણ વાર્તા કહેવાઇ જાય છે. આટલા સમયમાં માથે પડેલા  બનેવીનું પાત્રાલેખન હુબહુ રજૂ થઇ જાય છે. છોગાંમાં અણધાર્યો અંત! સરસ વાર્તા!    

ઓછાયો (નટવર હેડાઉ): મરવાના ઇરાદે નદીએ પહોંચેલા ડોસા-ડોસી છેલ્લી ઘડીએ નિર્ણય ફેરવી તોળીને પાછાં ફરે છે. જીવનની માયા કંઇ સહેલાઇથી છૂટતી હશે? બેઉ પાત્રોના મનોભાવોનું સારું આલેખન.

બાપ! (પ્રભુદાસ પટેલ): નારીચેતનાની વાત. શોક્યના આગમનથી છંછેડાયેલી નાયિકા પતિ જોડેનો છેડો ફાડી નાખે છે. મા અને બાપ બંનેની ભૂમિકા ભજવીને એ દીકરાનો ઉછેર કરે છે. નાયિકાના મનના આટાપાટાનું સારું ચિત્રણ.  

તમાશો (નિયતિ કાપડિયા): આ રચનાને વાર્તા કહેવી મુશ્કેલ છે.  ઘરના સભ્યો વચ્ચે થયેલી તકરારનો અહેવાલ છે. 

વસૂલાત (જશુ પટેલ):  બીભત્સ રસનો અતિરેક. વ્યસની પુરુષના કારણે કુટુંબની થતી બેહાલીની વાત એક જ રાગમાં આલાપી છે. અસહનીય રચના.  

શ્યામલી (રક્ષા મામતોરા): ૧. શહેરમાં જઈને ભણતી કન્યાઓ અંગે ગામમાં ટીકાત્મક વાતો થતી હોય છે. ૨. કન્યાઓ સાંજે સમયસર ઘર ભેગી ના થાય તો ઘરના લોકો ચિંતાતુર થઇ જાય છે. ઇતિ વાર્તા: આટલા બે નિરીક્ષણ આ વાર્તામાંથી સાંપડે છે જેમાં  અર્થાત કોઈ નવી વાત નથી. રજૂઆત પણ સામાન્ય છે. ટૂંકમાં, આ વાર્તા નિરાશ કરે છે.  

જશોદામાસી (જયેશ સુથાર): એક ભાણેજના મૃત માસી જોડેના સંભારણા. સામાન્ય રજૂઆત.

ત્રાજવું (અજય પુરોહિત): આપણે ત્યાં કન્યાને ત્વચા પર ડાઘ હોવો એટલે મહાપાતક. વિરાણી પરિવારની જે દીકરીના લગ્નની વાત ચાલતી હતી એણે પોતાની ભાભીને જાણ કરી કે એના સાથળ પર ડાઘ છે. ભાભી દ્વારા ભાઇને જાણ થઇ અને ભાઈએ અન્ય ભાઈઓ જોડે ગુપ્ત મંત્રણા કરી. ચતુર મોટાભાઇએ આવી પડેલી વિપત્તિનો ઉપાય બતાવ્યો.

વિષય સારો અને માવજત પણ સરસ.

વાર્તામાં લેખકે એક ગજબનો વિક્રમ કર્યો છે. મુખ્ય પાત્રો તો ચાર-પાંચ છે પણ બીજા નાનામોટાં પાત્રો મળીને કુલ છત્રીસ પાત્રોનો વાર્તામાં ઉલ્લેખ છે! એકેએક પાત્રનું આ લેખકે નામકરણ કર્યું છે! વિરાણી પરિવારના ચાર ભાઈઓ, એમની પત્નીઓ, સંતાનો, જે પરિવાર જોડે દીકરી લગ્નની વાત ચાલે છે એ ભાલોડિયા પરિવારના કુટુંબીજનોનાં નામ, એક ભાઇની પત્ની જે સોરઠીયા પરિવારમાંથી આવી છે એમના સહુના નામ, ગાડું હાંકવા આવેલા સાથીનું નામ, અરે, એ સાથીના બળદોના પણ નામ લેખકે આપ્યાં છે!  કેટલાંક પાત્રોના તો હુલામણાં નામ લેખકે ચીવટપૂર્વક નોંધ્યા છે! એક દુકાનદારનો અને એક ભૂવાનો ઉલ્લેખ આવે છે, એમનાં પણ નામો છે! એક ટૂંકી વાર્તામાં છત્રીસ નામો! કદાચ ગો.મા.ત્રિ.ની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ માં પણ કુલ આટલાં પાત્રો નહીં હોય! (સંપૂર્ણ યાદી માટે જુઓ સંલગ્ન છબી.) શું આટલાં બધાં નામો આપવા જરૂરી હતાં?

અને છેલ્લે:

સમયનો તકાદો છે કે નીવડેલા વાર્તાકારો કેશુભાઇ દેસાઇ અને રવીન્દ્ર પારેખ જેવા વરિષ્ઠ લેખકો પાસેથી પ્રેરણા લે. માત્ર ટૂંકી વાર્તાને વરેલાં ફક્ત બે સામયિકમાંથી એક જલારામદીપ આજે છ મહિનાથી સ્થગિત થઇ ગયું છે. આવી સ્થિતિમાં જાણીતા લેખકો મમતા વાર્તામાસિક પ્રત્યેનો અભિગમ બદલશે એવી શુભ કામનાઓ!     

--કિશોર પટેલ; 18-06-21 06:40.

###