Wednesday 23 December 2020

શબ્દસૃષ્ટિ સપ્ટે. ’૨૦ થી ડિસે. ‘૨૦ અંકોની વાર્તાઓ વિષે

 



શબ્દસૃષ્ટિ સપ્ટે. ’૨૦ થી ડિસે. ‘૨૦ અંકોની વાર્તાઓ વિષે:  

(૪૮૬ શબ્દો)

ઠુંઠું (કનુ આચાર્ય) : વ્યસનની તલપ જાગે ત્યારે એનો ઇલાજ ના થાય ત્યાં સુધી વ્યસની માણસને ચેન પડતું નથી. પ્રસ્તુત વાર્તામાં કોરોના મહામારીના પગલે લાગુ થયેલી સંચારબંધીમાં ગામની દુકાનો બંધ હોવાથી બીડી વિના નાયકની હાલત કફોડી થઇ જાય છે. એવે સમયે નાયકને સ્વપ્ને પણ આશા ના હોય એવા એક પોલીસ કોન્સ્ટેબલ પાસેથી મદદ મળે છે!  કારણ એટલું જ કે એ કોન્સ્ટેબલ પોતે પણ બીડીનો બંધાણી હોય! સમદુ:ખિયા! નાયકની માનસિક-શારીરિક સ્થિતિનું ઝીણવટભર્યું અને પ્રતીતિજનક આલેખન. સરસ વાર્તા.  (ડિસેમ્બર ૨૦૨૦)

પથરો (લતા હિરાણી) : ઘરમાં સાસુનું વર્ચસ્વ એવું છે કે નથી સસરા કંઇ બોલી શકતા કે નથી પતિનું કંઇ ઉપજતું. એવા ઘરમાં દુઃખી થયેલી નાયિકા ફારગતી ઈચ્છે છે, સગાં-સ્નેહી પણ સત્ય સમજે છે એટલે ફારગતી માટે સહુ એકમત થાય છે પણ છેલ્લી ઘડીએ પાડોશનો એક નાનો છોકરો હકદાવો રજૂ કરે છે કે “ભાભી અમારા છે! એને તમે લઇ જઇ નહીં શકો!” નાયિકાને તો જાણે બહાનું મળી ગયું હોય એમ નિર્ણય ફેરવી તોળે છે. માનવીય લાગણીઓનું સારું આલેખન. લેખકે કેટલાંક સામાજિક દૂષણો અંગે સ્ટેટમેન્ટ કર્યું છે. જેમ કે: ઘરમાં પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા માતા પોતાના દીકરાને વહુ વિષે સાચી-ખોટી ભંભેરણી કરે, દીકરી જન્મે તો પથરો પાક્યો એવું કહેવું, દીકરી માંદી પડે તો એની સારવાર ના કરવી વગેરે. એકંદરે વિષય જૂનો પણ માવજત સારી. જો કે આ વાર્તા પુનરાવર્તન પામી છે, હજી હમણાં શબ્દસૃષ્ટિના જ ઓગસ્ટ ૨૦૨૦ અંકમાં પ્રસિદ્ધ થઇ ચૂકેલી છે. (ડિસેમ્બર ૨૦૨૦)

કોની બદદુઆ (હસમુખ અબોટી ‘ચંદન’) : સાગરકથા.  હરજી દેવશી નામનો એક નાખવો અને વેપારી માલસામાનની હેરફેર કરતાં “દાળિયા” નામના વહાણ પરની તેની એક સાહસિક સફરની કથની આ વાર્તામાં કહેવાઇ છે. આ લેખક દરિયાઇ કથાઓના સર્જન માટે જાણીતા છે. વાર્તામાં આ વ્યવસાયની પરિભાષાના  અસંખ્ય શબ્દોનું દસ્તાવેજીકરણ થયું છે. આ ઘણું જ મહત્વનું કામ થઇ રહ્યું છે; એની નોંધ લેવી ઘટે.  (સપ્ટેમ્બર ૨૦૨૦)

ડેટ  (ડો. નવીન વિભાકર) : વાર્તાની પૂર્વધારણા અસ્પષ્ટ છે. પશ્ચિમની સંસ્કૃતિનું આલેખન થયું છે અને સમસ્યા પૂર્વના દેશમાંની સંસ્કૃતિ વિશેની છે. વર્ષો પહેલાં પૂર્વના દેશમાં થઇ ગયેલાં એક દુષ્કર્મનો બદલો લેવાની વાત થાય છે.

અમુક ઉંમરમાં છોકરાં-છોકરી હળેમળે, એકબીજાની નજીક આવે એ સ્વાભાવિક છે. પૂર્વના દેશોની સરખામણીએ પશ્ચિમના દેશોની સંસ્કૃતિ ભિન્ન છે. આવા સમયે સાવચેતી રાખવા વિષે પશ્ચિમનો યુવાવર્ગ વધુ જાગૃત છે.

એક અનાથ બાળકી ભારતમાં ત્રણ વર્ષની ઉંમરે દત્તક લેવાઈને અમેરિકા આવી. ચાર વર્ષમાં દત્તક માતાપિતાનું એક અકસ્માતમાં મૃત્યુ થાય. સાત વર્ષની ઉંમર પછી એ બાળકી અમેરિકામાં ત્રીજા જ પરિવારમાં ઉછરે.  મોટી થઇને સ્કુલના કાર્યક્રમમાં એ  કોઇ યુવાનને મળે, એની જોડે થયેલા અસુરક્ષિત સંબંધના પરિણામે એ યુવતીને એઈડ્ઝ થાય. ત્રણ વર્ષે એ મૃત્યુની સન્મુખ હોય ત્યારે બે દિવસ પહેલાં મિત્ર બનેલા એક યુવાનને એક કામ સોંપે. શું? વર્ષો પહેલાં ભારતમાં કોઇ જમીનદાર દ્વારા પોતાની માતા પર થયેલા બળાત્કારનો બદલો લેવાનું કહે! આનાથી વધુ એબ્સર્ડ વાત શું હોઇ શકે? અરે, પેલા બિચારાને શું લેવાદેવા હોય? એક સાંજે છોકરી જોડે ફર્યો એ ગુનો? યુવાનીમાં નાયિકા પોતે હરીફરી અને મઝા કરી અને મરવા પડી ત્યારે બદલો લેવાનું કામ કોઇ ત્રાહિતને સોંપે?   (ઓક્ટોબર ૨૦૨૦)

નોંધ: નવેમ્બર ૨૦૨૦ અંક ઈતિહાસકથા વિશેષાંક હોવાથી એમાં ટૂંકી વાર્તાનો સમાવેશ થયો નથી.

--કિશોર પટેલ; 23-12-2020; 12:54

###  

   


Saturday 12 December 2020

જલારામદીપ ડિસેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે

 

જલારામદીપ ડિસેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૫૨૨ શબ્દો)

આ અંકની કુલ દસ વાર્તાઓમાંથી એક વાર્તા દલિત સાહિત્યની સારી વાર્તાઓમાં સ્થાન પામી શકે એવી છે. એક ફેન્ટેસી વાર્તા છે. માનવીય સંબંધોની ત્રણ વાર્તાઓ છે. બે હાસ્યવાર્તાઓ છે. એક વાર્તા લેખક-ચાહક સંબંધની છે. એક અહેવાલાત્મક વાર્તા છે અને એક ચમત્કારની વાર્તા છે.   

દાપું (ગોરધન ભેસાણિયા): વિષય સામાજિક. આર્થિક અને સામાજિક રીતે પછાત માણસોની દ્રષ્ટિ શિક્ષણ અને સંસ્કારના અભાવે પછાત રહી જતી હોય છે. જે માણસને પોતાને ખબર નથી કે  પોતે શું કામ કર્યું છે અથવા કેવું કામ કર્યું છે એ પોતાના કામને બીજાના ત્રાજવે તોલીને નક્કી કરતો હોય છે.  વીરો અને જીવો ઢોલ તો સારો વગાડે છે પણ બદલામાં મહેનતાણાને બદલે મહેરબાનીની આશા રાખે છે. ઘરધણી જયારે કહે કે જે જોઈતું હોય તે માંગી લો. તેઓ ખપ પૂરતું માંગે છે પણ ઘરધણી એમને એવી પ્રતીતિ કરાવે છે કે તમે લોકો હલકા છો, તમે લોકો સરખું માંગી પણ શકતા નથી. દલિતોને હલકાં પાડવાની સવર્ણોની માનસિકતા સમજી ના શકતા આ બે ભાઈઓ એકબીજાનો દોષ કાઢીને અંદરોઅંદર લડે છે. દલિત સાહિત્યની સારી વાર્તાઓમાં સ્થાન પામે એવી નોંધનીય વાર્તા.

અવઢવ (જાગ્રત વ્યાસ): ફેન્ટેસી વાર્તા. સરળ હ્રદયી હરિયો ઈશ્વરને પ્રાર્થના કરે છે કે દુનિયામાં કોઇ માંદુ ના પડે, કોઇ કોઇની સાથે ઝગડા ના કરે. એની પ્રાર્થના કબૂલ થાય છે. એનો બીમાર દીકરો સાજો થઇ જાય છે, રીસાયેલી પત્ની પિયરથી પાછી આવવા તૈયાર થાય છે. પણ બીજી તરફ એના ડોક્ટર મિત્રને અને વકીલ મિત્રને કેસ મળવા બંધ થઇ જાય છે એટલે તે બંને બેકાર બની જાય છે. હવે હરિયાને અવઢવ થાય છે કે કેવી પ્રાર્થના કરું. સારી વાર્તા.

પહેલો સગો પાડોશી (હરીશ પંડ્યા): હળવી શૈલીમાં હાસ્યકથા. ખાટલો (વિનોદ ગાંધી): નાતજાતના સંકુચિત નિયમો અંગે કટાક્ષ કરતી વાર્તા હળવી શૈલીમાં.

કૃષ્ણલાલ (અર્જુનસિંહ કે. રાઉલજી):  વિષય મૈત્રીભાવના. રમણિકલાલે તો મૈત્રી ના નિભાવી પણ કૃષ્ણલાલે મૈત્રી નિભાવી. જો કે બંને પક્ષે મુદ્દાઓ જ ખોટા પસંદ થયા છે. મૈત્રીના નામે કૃષ્ણલાલના અર્ધપાગલ છોકરાને રમણિકલાલ પોતાની છોકરી પરણાવે એવી આશા રાખવી અસ્થાને છે. એ જ પ્રમાણે મૈત્રીના નામે દહેજ આપવા માટે કૃષ્ણલાલ રમણિકલાલની મદદ કરી એ કાયદાની તેમ જ સામાજિક દ્રષ્ટિએ પણ ખોટું કામ થયું છે. સાચો મિત્ર એને કહેવાય જે મિત્રની દીકરીને દહેજભૂખ્યાં માણસના ઘેર પરણતા અટકાવે. આમ આ વાર્તાનો કેન્દ્રવર્તી મુદ્દો જ વિવાદાસ્પદ છે.      

રાજ (દુર્ગેશ ઓઝા): વિષય કુટુંબભાવના. પાડોશણ કાનભંભેરણી કરતી હતી છતાં સાસુ કે વહુ બેમાંથી એક પણ સ્ત્રી કાચા કાનની ન હતી. એક  સુખી કુટુંબનું ચિત્ર.

માની દીકરી, દીકરીની મા (સ્વાતિ મેઢ): મા-દીકરી સંબંધની વાત. પોતાના અહંના કારણે દીકરી જોડે સંબંધમાં જોજનો દૂર રહી ગયેલી એક સ્ત્રીની વાત. માઇનસ પોઈન્ટ: ત્રીજા પુરુષ એકવચન કથનશૈલીમાં શરુ થયેલી વાર્તા ત્રીજા ફકરામાં અધવચ્ચે જ અચાનક બીજા પુરષ એકવચન કથનશૈલીમાં ફેરવાઇ જાય છે. 

હું એકલી (ડો.એન. એચ. કોરિન્ગા): વિષય માતૃશોક. દીકરી વિદેશમાં હોવાથી દેશમાં મૃત્યુ પામેલી માતાને સ્વહસ્તે પુષ્પાંજલિ કે કાંધ આપી શકી નહીં. અહેવાલાત્મક કથનશૈલીના કારણે વાર્તારસ જામતો નથી.

ફેન (મનહર ઓઝા): વિષય લેખક-ચાહક સંબંધ. લેખક ધ્રુવીલને એની એક સ્ત્રી-ચાહક અદ્રશ્ય રહીને પ્રેરણા આપ્યા કરે છે. એ ચાહકની પ્રેરણાથી લખાયેલી નવલકથા ને ઘણી કીર્તિ પ્રાપ્ત થાય છે. વાયદા પ્રમાણે એ ચાહક સદેહે મળવા આવતી નથી. અનુમાન કરી શકાય છે કે લેખકની પત્ની જ એની અદ્રશ્ય ચાહક હતી.   

ગજેન્દ્રમોક્ષ (લીલાબહેન ચૌહાણ): વિષય ચમત્કાર. બળાત્કારના પગલે એક યુવતીની વાચા હરાઈ ગઇ. એક અકસ્માતના પગલે એની વાચા પાછી આવી. ફિલ્મી સ્ટાઈલ વાર્તા.

--કિશોર પટેલ; 13-12-2020; 07:15

###   

   


Friday 11 December 2020

નવનીત સમર્પણ ડિસેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે

 

નવનીત સમર્પણ ડિસેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૧૮૮ શબ્દો)

પ્રસ્તુત અંકની બંને વાર્તાઓ વાંચવાલાયક અને માણવાલાયક છે.

હેક્લસરો (જયંત રાઠોડ):

વાર્તાનો વિષય છે: પ્રાયશ્ચિત. દરિયામાંથી રેતી ઉલેચતી એક કંપનીના જહાજ પર કામ કરતો અંગ્રેજ અધિકારી આ વાર્તાનો કથક છે. અજય સાવલા નામનો એક ભારતીય યુવક એનો જોડીદાર છે. આ સાવલાના ગામનું લોકેશન અને કથકના દાદાની ડાયરીમાં નોંધાયેલા એક પ્રસંગનું લોકેશન એક જ આવતું હોવાથી એ સ્થળ જોવા-જાણવા કથક ઉત્સુક બન્યો છે.

ઘટના બીજા વિશ્વયુદ્ધના સમયગાળાની છે. અંગ્રેજ અધિકારીઓ અનેક પ્રકારે હિન્દુસ્તાની પ્રજાનું શોષણ કરતાં હતાં. સ્ત્રીઓની ઈજ્જત પર હાથ નાખવો એમના માટે રમત હતી. પ્રસ્તુત કિસ્સામાં એક સ્ત્રી હુમલાખોર અંગ્રેજનો પ્રતિકાર કરે છે અને શિયળ બચાવવા કૂવામાં કૂદી પડે છે. દાદાના અપકૃત્યના પ્રાયશ્ચિતરૂપે કથક પેલી સ્ત્રી અને એના સન્માનની રક્ષા કરતાં કરતાં શહીદ થઇ ગયેલાં હિન્દુસ્તાની યુવકોની ખાંભીઓની સાફસફાઈ કરીને રંગરોગાન કરે છે.

અંગ્રેજ અધિકારી યુવાન સ્ત્રીને નદીમાં નહાતી જુએ એ પછી બનેલી બીનાનું શબ્દચિત્ર જીવંત બન્યું છે. સરસ વાર્તા.              

અકસ્માત (દીવાન ઠાકોર):

આ વાર્તા ૩૬૦ અંશની વાર્તા છે. મનસુખ શ્રીમંત અને વગદાર માણસ છે. એના બાળપણનો એક મિત્ર મનીષ મળે એ સાથે ભૂતકાળની એક ઘટના એને યાદ આવે અને મનસુખની સમગ્ર વિચારપ્રક્રિયા વિપરીત દિશામાં ફરવા લાગે છે. સરસ વાર્તા.

--કિશોર પટેલ; 11-12-20; 18:09


Tuesday 8 December 2020

જલારામદીપ નવેમ્બર ૨૦૨૦ દીપોત્સવી અંક ભાગ ૨ ની વાર્તાઓ વિષે

 

જલારામદીપ નવેમ્બર ૨૦૨૦ દીપોત્સવી અંક ભાગ ની વાર્તાઓ વિષે :

(૧૪૨૮ શબ્દો)

જલારામદીપ સામયિક તરફથી ઇ.સ.૨૦૨૦ નાં  દીપોત્સવી અંકનું એક સરપ્રાઈઝ છે: વરિષ્ઠ લેખકશ્રી રાધેશ્યામ શર્માના હસ્તાક્ષરમાં એક લઘુકથા. ચિંતાતુર મકાનમાલિક (રાધેશ્યામ શર્મા): કરફ્યુમાં એક નવાણિયો પોલીસના ગોળીબારનો ભોગ બનીને કૂટાઇ મરે છે અને છાપાંવાળા એને શહીદનો દરજ્જો આપી દે છે. કટાક્ષકથા.   

અંકમાં ૨૪ વાર્તાઓ મારી દ્રષ્ટિએ આ પ્રમાણે છે: ૪ વાર્તાઓ હટ કે અને સરસ; ૩ વાર્તાઓ માનવીય સંબંધોની; ૫ વાર્તાઓ હળવી શૈલીમાં; ૨ ફેન્ટેસી વાર્તાઓ; ૩ વાર્તાઓ જૂનાં પરંપરાગત વિષયોની; ૧ વાર્તા અસ્પષ્ટ પૂર્વધારણાની;  ૩ રચનાઓ રેખાચિત્રો; અને ૩ રચનાઓ સ્થિર શબ્દચિત્રો છે.      

કેટલીક હટ કે, સરસ વાર્તાઓ:

૧. સંરક્ષક (મોહન પરમાર) : અનુઆધુનિક યુગના પ્રથમ હરોળમાંના એક વાર્તાકારની સરસ વાર્તા. આ વાર્તા ૩૬૦ અંશની વાર્તા છે. બાબુજી કટારાને મિત્ર લખમણે કામ સોંપ્યું છે. શહેરથી બસમાં ગામ જતાં જતાં એની બેન લલિતાને એના ઘેર સુખરૂપ પહોંચાડવાની છે. લખમણ-લલિતા બાબુના પાડોશના ગામના છે. બાબુને આ કામ એક બોજ લાગે છે. કાયમ એકલા આવવા-જવા ટેવાયેલા બાબુને જોડે એક યુવાન કન્યા હોય એ નડતર જેવું લાગે છે.  રસ્તે સત્તર ઠેકાણે એણે મુકામ કરવાના હોય, છાંટો-પાણી કરવાના હોય. એનું સમયપત્રક ખોરવાઈ જાય છે. રસ્તે એ લલિતાને પૂછે છે, “છોડી, બીક તો નથી લાગતીને?” પોતાના પરાક્રમોની વાત સંભળાવીને એ લલિતાને આંજી દે છે. પણ પ્રવાસનો અંત આવતાં સુધીમાં ચિત્ર આખું બદલાઇ જાય છે. સ્થિતિ એવી આવી જાય છે કે લલિતા બાબુને પૂછે છે, “બાબુકાકા, હું તમને તમારા ઘેર મૂકવા આવું?” એવું શું થાય છે બાબુ જોડે? બંને પાત્રોના મનમાં પોતીકો જુદો જુદો સંઘર્ષ ઊભો થાય છે. બંને પાત્રોનું સરસ પાત્રાલેખન. પઠનીય, મનનીય, સાદ્યંત સુંદર વાર્તા.     

૨. બદચલન (હસુ યાજ્ઞિક) : કોઇ સ્ત્રી એકાદ પુરુષની મૈત્રી ઈચ્છે તો શું એ વાતને કેવળ જાતીય સંબંધની દ્રષ્ટિએ જોવી જોઈએ? શુદ્ધ મૈત્રી શક્ય કે સંભવ નથી?  સર્વસામાન્ય ભારતીય પુરુષોની માનસિકતા પર કટાક્ષ કરતી વાર્તા. અહીં વિદ્યા નામની એક બદચલન ગણાઇ ગયેલી સ્ત્રીની વાત છે. વાર્તાના અંતે પ્રશ્ન એ ઊભો થાય છે કે ખરેખર બદચલન કોને કહીશું? વિદ્યાને કે એના પર મોહી પડતાં પુરુષોને? વિદ્યાનું પાત્રાલેખન સરસ. નાયિકાની સરખામણીએ કથક દુય્યમ ભૂમિકાએ રહે છે, શ્રેષ્ઠ રચનારીતિ આ જ છે. વરિષ્ઠ વાર્તાકારની કલમેથી મળેલી સરસ, વાચનક્ષમ વાર્તા. 

૩. ફળિયું (ભરત સોલંકી) : રજ્સ્વાલા થયેલી કન્યાને થતાં પ્રાકૃતિક વિજાતીય આકર્ષણની વાત. આ વિષય પર ઘણી ઓછી વાર્તાઓ લખાઇ છે માટે આ વાર્તાનું મહત્વ વધી જાય છે. નાયિકાના મનોભાવોનું આલેખન સરસ. વયમાં આવેલી દીકરીની ચિંતા કરતી અને તેની પર નિયંત્રણો લાદતી માતાનું પાત્રાલેખન સારું. વિજાતીય પાત્ર જેંતી પણ માફકસર.

માઇનસ પોઈન્ટ: ગામની બદલાયેલી સ્થિતિનું વર્ણન થાય છે તેટલા ભાગની ભાષા જુદી પડી જાય છે; જાણે  કોઇ તટસ્થ દ્રષ્ટા એનું કથન કરતો હોય એવું લાગે છે; એ સિવાય આખી વાર્તા તરુણ કન્યાના મુખે પ્રથમ પુરુષ એકવચનમાં છે. એકંદરે સારી વાર્તા. 

૪. કેસરની પડીકી (રજનીકુમાર પંડ્યા) : પ્રોફેસર આત્મારામ શ્રેણીની એક વાર્તા. પ્રો.આત્મારામ એટલે રજનીકુમાર પંડ્યાનું એક વિશિષ્ઠ પાત્ર. આ પ્રો.આત્મારામ આડાઅવળા કેસ ઉકેલી આપવા માટે મશહૂર ગણાતો જાસૂસ છે. ગયા વર્ષે એટલે કે ઇ.સ.૨૦૧૯ માં પ્રો.આત્મારામ શ્રેણીમાં આ વરિષ્ઠ લેખકે ત્રણેક વાર્તાઓ આપેલી. આ વર્ષની આ પહેલી જ વાર્તા છે. મનહર મૂળચંદની ફરિયાદ છે કે પંદર વર્ષ જૂનાં એક કેસમાં એમને દર વર્ષે નિયમિત મળતું પેન્શન હતું એ હાલ બંધ પડી ગયું છે. પ્રો. આત્મારામ આ કેસ કેવી રીતે ઉકેલી આપે છે એ જાણવા તો આ વાર્તા વાંચવી રહી. રસપૂર્ણ વાર્તા!  

માનવીય સંબંધોની વાર્તાઓ:

૧. પોઝીટીવ (કીર્તિકાન્ત પુરોહિત) : માનવીય સંબંધોની વાર્તા. પિતાના અવસાન પછી વિધવા થયેલી માતા માટે જીવનસાથીની શોધ દીકરી ચલાવે છે. વિષય જૂનો, મા-દીકરીના મૈત્રીપૂર્ણ સંબંધનું ચિત્ર સુરેખ, રજૂઆત એકંદરે ઠીક ઠીક.

૨. ઠપકો (કેશુભાઇ દેસાઇ) : લગ્ન પછી પહેલા જ વર્ષે પતિની ના છતાં શીલુબહેને ગર્ભપાત કરાવ્યો અને એ પછી એક પણ બાળક થયું નહીં. પાડોશના બાળકને પેટ ભરીને રમાડવાનો અવસર પણ એમને મળતો નથી. ઘરની દીવાલ પર છબી બની ગયેલા શીલુબહેનના પતિ પ્રવીણભાઈ જોઇ રહે છે,  જાણે ઠપકો આપતા હોય: “ખોટા ઉધામા આ ઉંમરે? આંગળીથી નખ વેગળા એ વેગળા!”  શીલુબહેને શા માટે ગર્ભપાત કરાવ્યો હતો? એક સામાજિક સમસ્યા અને એના પ્રતિ સમાજના અભિગમ વિષે એક સ્ટેટમેન્ટ. વરિષ્ઠ લેખકની કલમે સરસ વાર્તા.         

૩. આંબાનો છોડ (માવજી મહેશ્વરી) : પિતા-પુત્ર સંબંધની વાર્તા. ધનજીના બે દીકરા. મોટો જયંતી ભણીને શહેર જતો રહ્યો છે. એનું ધ્યાન હવે શહેરમાં છે. નાનો દીકરો રાજેશ ગઇ સાલ પરણ્યો અને જુદાં થવાની વાત કરે છે. ગામડે ખેતીમાં મહેનતના પ્રમાણમાં આવક નથી. પાડોશની વાડીના તેજમાલનું પાત્ર  અહીં સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. ખેતરમાં વાવેલો આંબાનો છોડ અહીં પુત્રના પ્રતિક રૂપે આવે છે. સૂકાયેલા આંબામાં શ્રદ્ધા રાખીને ધનજી એની માટી ઉપરતળે કરીને પાણી સીંચે છે. અંતમાં રાજેશ વાડીએ આવે છે તે સૂચક છે.

હળવી શૈલીમાં વાર્તાઓ:

૧. કોરોનાની કમાલ (ધીરુબેન પટેલ) : વરિષ્ઠ લેખકની કલમે કોરોનાની પાર્શ્વભૂમિમાં હળવી શૈલીમાં મઝાની હાસ્યકથા.

૨. વહેવાર (ડો. દિનકર જોશી) : માણસના મૃત્યુ પછી કરવા પડતાં લૌકિક કાર્યોમાં પણ લોકો હુંસાતુંસી કરતાં હોય છે. વરિષ્ઠ લેખકની કલમે હળવી શૈલીમાં મજેદાર વાર્તા.

૩. મરકટ ને વળી મદિરા પીએ! (વિજય શાસ્ત્રી) : એક અહંકારી સ્ત્રીની હળવી શૈલીમાં મજેદાર હાસ્યકથા.

૪. સાષ્ટાંગ દંડવત (તારિણીબહેન દેસાઇ) : કુટુંબનિયોજન વિષે અજ્ઞાની અને છોકરા-છોકરી વચ્ચે ભેદભાવ કરતાં ગામડિયાઓની વાત વિનોદી શૈલીમાં. જૂનો વિષય. એક સરસ સંવાદકથા અથવા એકાંકી બની શકે.    

૫. શોર્ટકટ ( નીતિન ત્રિવેદી) : થ્રિલર-કમ-હાસ્યવાર્તા.

ફેન્ટેસી વાર્તા:

૧. મીડાસ સ્પર્શ (સ્વાતિ ધ્રુવ નાયક) : “જે વસ્તુને સ્પર્શ કરું તેનું સોનું થઇ જાય.” એવું વરદાન મેળવનારા રાજા મિડાસની વાર્તા ઘણી જાણીતી છે. રાજા મિડાસ પછી તો પેટ ભરીને પસ્તાય છે. કંઇક એવી સ્થિતિ અહીં કલાકાર સમર્પણની થાય છે. પૈસા પાછળની એની આંધળી દોટ એને પરિવારથી વિખૂટો પાડી દે છે. નાયકના મનોમંથનનું આલેખન સારું થયું છે. વાર્તાનો પ્લોટ સારો બન્યો છે.   

૨. કામ (રવીન્દ્ર પારેખ) : ફેન્ટેસી એવી કે પાડોશના રાજ્યના વૈજ્ઞાનિકે ચંદ્રસેનના રાજ્યમાં માણસને ભૂખ ના લાગે એવું રસાયણ નદીના પાણી ભેળવી દીધું. ભૂખ ના લાગી એટલે ખોરાકની જરૂર નહીં અને માટે આવકની જરૂર નહીં પરિણામે રાજ્યમાં કોઈને કામ કરવાની જરૂર ના રહી. સહુ કામધંધો છોડી ઘેર બેઠાં. રાજ્યનું અર્થતંત્ર પડી ભાગ્યું. રાજ્યમાં હાહાકાર મચી ગયો.

માઇનસ પોઈન્ટ: ભૂખ ના લાગે એટલે શરીરમાં ખોરાક જાય નહીં. શરીરનું ચક્ર અટકી જાય કે નહીં? આવક માટે માણસને કામ કરવાની જરૂર ના રહી એ ઠીક પણ માણસ આનંદ-પ્રમોદ કરે કે નહીં? હરવાફરવા જાય કે નહીં? એને ઉર્જા ક્યાંથી મળે? આ દિશામાં પૂરતો વિચાર થયો હોય એવું વાર્તામાં જણાતું નથી. રાજ્યનું અર્થતંત્ર બંધ પડે ત્યારે પડે પણ માણસનું શરીર યોગ્ય રીતે કામ કરતું બંધ પડી જાય. એ માંદો પડે એનું શું? 

જૂનાં વિષય અને પરંપરાગત રજૂઆતની વાર્તાઓ:

૧. વિજયોત્સવ (ભી.ન.વણકર) : એકતાની શક્તિ જેવો જૂનો વિષય; સામાન્ય રજૂઆત. ગામડામાં ગ્રામપંચાયતની ચૂંટણીની વાર્તા. એક આદર્શવાદી યુવાન સામાજિક અને શૈક્ષણિક બાબતોમાં જનજાગૃતિનું કામ સેવાભાવે કરતો હોય. એના પ્રોત્સાહનના કારણે શ્રમજીવીઓ એક થઇને જમીનદારોના ઉમેદવારને પરાજય આપીને પોતાના ઉમેદવારને જીતાડે છે.  

૨. ઘરકેદ (રાજેશ અંતાણી) : કેવળ પોતાની ઈચ્છાથી પસંદગીના પાત્ર જોડે લગ્ન કર્યું એટલે માતા-પિતાએ દીકરી જોડે સંબંધ કાપી નાખ્યા! હજી આજના સમયમાં પણ સ્ત્રીને જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા આપણે આપતાં નથી!  સ્ત્રીઓની સ્થિતિ વિષે એક સ્ટેટમેન્ટ. 

૩. પરત (વિરંચિ ત્રિવેદી) : વિષય: સ્નેહબંધન. કોઇક કારણથી પતિ-બાળકનો ત્યાગ કરીને નાયિકા પિયર ચાલી જાય છે. પિયરમાં ઘરના વાડામાં એક વૃક્ષ પર વાંદરીને પોતાના બચ્ચાં જોડે હેત કરતાં જોઇને નાયિકાને પોતાના બાળકની યાદ આવે છે. જૂનો વિષય, પરંપરાગત રજૂઆત.

અસ્પષ્ટ પૂર્વધારણા:

હું ઇમને શું જવાબ આલીશ? (સુમંત રાવળ) : આ વાર્તાની પૂર્વધારણા સ્પષ્ટ નથી. વાર્તાના પ્રારંભના બે તૃત્યાંશ ભાગમાં કથક પોતાની પત્નીને શું બીમારી હતી અને કેવા સંજોગોમાં એણે વિષપાન કર્યું તેની વિગતો આપે છે. એ પછી બાકીના એક તૃત્યાંશ ભાગમાં હોસ્પિટલમાં દાખલ થયેલાં એક ચાર વર્ષના છોકરાનાં આઘાતજનક મૃત્યુની વાત કરે છે. આમ બે કરુણતાઓ એક વાર્તામાં ભેગી થઇ છે. એવું કહી શકાય કે “જીવન ક્ષણભંગુર છે.” એવો સંદેશ આપતી વાર્તા.   

વાર્તાઓ નથી, રેખાચિત્રો છે:

૧. ગૂડ મોર્નિંગ મિસિસ દેસાઇ! (વર્ષા અડાલજા) : આ રચના વાર્તા નથી; એક નવપરિણીતાના ભાવવિશ્વનું ચિત્ર છે. ખરેખર, એક કન્યા પરણીને સાસરે જાય ત્યારે એનું વિશ્વ કેવું સમૂળગું બદલાઇ જતું હોય છે?  કેટલું બધું પાછળ છૂટી જતું હોય છે! વરિષ્ઠ વાર્તાકારની કલમે એક કોડીલી કન્યાનું સુરેખ સ્મૃતિચિત્ર.

૨. વિલાસ (ડો. પિનાકિન દવે) : આ રચના વાર્તા નથી પણ એક એવા માણસનું રેખાચિત્ર છે જે મુક્તપણે મોજશોખ કરવાના શોખીનોને સેવા પૂરી પાડવાનો વ્યવસાય કરે છે. એ માણસનું પાછલું જીવન યાતનામય બતાવીને લેખક એવો સંદેશો આપે છે કે આવું કામ અને બેફામ જીવનનું પરિણામ કલેશકારક જ હોવાનું.  

૩. અતીતરાગના ડંખ (ડો. કિશોર પંડ્યા) : સતત પ્રવૃત્તિમય રહેતા માણસને બીમારીમાં ખાટલે પડ્યા રહેવાનું આકરું લાગતું હોય છે; એવા કે માણસનું રેખાચિત્ર.

વાર્તાઓ નથી, સ્થિર શબ્દચિત્રો છે.

૧. ચોકડીવાળું શર્ટ (દલપત ચૌહાણ) : આ રચના વાર્તા નથી. કોરોના મહામારીના પગલે સર્જાયેલી ગંભીર અને કરુણ સ્થિતિનું શબ્દચિત્ર છે.

૨. પ્રશ્ન કાફે (દિવાન ઠાકોર) : માનસિક અસ્થિર માણસોના દવાખાનાનું શબ્દચિત્ર. ત્રણ દર્દીઓ અને એક પરિચારિકા. સહુના એકબીજા જોડે અતાર્કિક સંવાદો. વાર્તા બનતી નથી કારણ કે ક્યાંય કશું બનતું નથી; એક સ્થિતિનું ચિત્રણ છે.

૩. છેલ્લો વિસામો (ડો. નવીન વિભાકર) : એક ગિરિમથક પર “ધ લાસ્ટ રીટ્રીટ” (છેલ્લો વિસામો) નામની સંસ્થા છે. અહીં અસાધ્ય બીમારીના ભોગ બનેલા દર્દીઓ જીવનનો છેલ્લો તબક્કો વીતાવવા માટે આવીને રહેતાં હોય છે. સમીર નામનો એક યુવાન મસમોટું દાન આપીને પોતાના છેલ્લા દિવસો વીતાવવા માટે આવે છે.

--કિશોર પટેલ; 08-12-2020; 13:29    

###

 

 

 


Wednesday 2 December 2020

મુંબઇ સમાચાર દીપોત્સવી અંક ૨૦૨૦ ની વાર્તાઓ વિષે :

 

મુંબઇ સમાચાર દીપોત્સવી અંક ૨૦૨૦ ની વાર્તાઓ વિષે :

(૨૦૧૯ શબ્દો)

ખાસ નોંધ: કુલ ૩૪ વાર્તાઓ છે એટલે લેખ લાંબો થયો છે; ધીરજથી વાંચવો. વાર્તાની રજુઆતના ક્રમમાં ટીપ્પણીઓ કરી છે.

ગર્લ્સ હોસ્ટેલ (રજનીકુમાર પંડ્યા) : સરસ વાર્તા. ગર્લ્સ હોસ્ટેલ માટે નવા વોચમેનની નિમણુંક કરવાની છે. ગૃહમાતા મધુકાન્તાબેન નોકરી માટે આવેલા કથકની કડક પૂછપરછ કર્યા પછી કામ પર રાખે છે. કથક સલામતીનો સરસ બંદોબસ્ત કરે છે. એમ છતાં ગૃહમાતા જાતે જ કથકને બતાવે છે કે કઇ રીતે કોઇ બદમાશ  ધારે તો ઠેઠ ગૃહમાતાના કવાર્ટરમાં ઘુસી જઇ શકે! કથક મૂંઝાઇ જાય છે. એ કફોડી સ્થિતિમાં મૂકાઇ જાય છે. ગૃહમાતા પૂછે: “તમે સમજતા કેમ નથી?” બધું જ સમજી ગયેલો કથક મનમાં બોલે છે: “હું શું બોલું?”

સરસ વાર્તાનુભવ! ચોક્કસ પાત્રપસંદગી અને ચોક્કસ પાત્રાલેખન. ગૃહમાતા જે રીતે છોકરીઓ માટે ચિંતા વ્યક્ત કરે છે અને વોચમેન તરીકે કથક કેટલી સાવધાની રાખે છે અને છતાં એ કેવા કળણમાં ફસાતો જાય છે એ જોવાનું બને રસપ્રદ છે. જે કહેવું છે તેનાથી વિપરીત કહીને સાધ્ય કરવું એમાં લેખકની ખરી કમાલ છે. વરિષ્ઠ વાર્તાકારની એક નમૂનેદાર વાર્તા!     

ના, હવે તો નહીં જ... (હરીશ થાનકી) : સરોગેસી વિષયની વાર્તા. સ્ત્રીના ગર્ભમાં એક બાળકનું હોવું એક અલગ જ ઘટના છે. આ વાત વિજ્ઞાનની કેવળ એક પ્રક્રિયા નથી, એની સાથે માનવીય સંવેદના પણ જોડાયેલી છે. રાવસાહેબ જેવા કદરૂપા માણસના બીજનું પોતાના અંગમાં રોપાવું વિદ્યાને ગમ્યું ન હતું. એણે પોતાનો અણગમો જાહેર પણ કર્યો હતો. એમ છતાં એક વાર એ બીજ એના ગર્ભમાં વિકસવા લાગ્યું એ સાથે જ વિદ્યાનો એની જોડે લાગણીભર્યો સંબંધ વિકસવા લાગ્યો. પછી એના ગર્ભમાંનું એ બાળક માત્ર એક વ્યવહારિક સોદો ના રહેતાં વિદ્યાના પોતાના શરીરનો જ એક ભાગ બની ગયું. સામે પક્ષે રાવસાહેબ અને એમના પત્નીનો અભિગમ છેક જ સ્વાર્થી છે: બાળક સ્વસ્થ હોય તો જ જોઈએ, વિકલાંગ હોય તો નથી જોઈતું! ધારો કે એ વિકલાંગ  બાળક રાવસાહેબની પોતાની પત્નીને પેટે જ અવતર્યું હોત તો? સરોગેસી વિષયમાં એક અલગ જ સંકુલ શક્યતા પર સારી વાર્તા.       

માળો! (અતુલકુમાર વ્યાસ) : પરિવાર માટે આત્મબલિદાન વિષયની વાર્તા. મુશ્કેલીમાં મૂકાયેલા પરિવારને ઉગારવા અપેક્ષા સંજોગો સાથે સમજૂતી કરે છે. જૂના અને જાણીતા વિષયની વાર્તા.

બાંધણી (અજય સોની) : વાર્તાનો વિષય સ્વજનની સ્મૃતિ. બાંધણી સાથે વાસંતીબેનના મૃત પતિની યાદો સંકળાયેલી છે. યોગેશની ઈચ્છા હતી કે એકની એક દીકરીના લગ્ન રંગેચંગે કરવા. પણ વિધવા સ્ત્રી તરીકે પોતે શું શણગાર કરવા અને કેવું મહાલવું એવી અવઢવમાં વાસંતીબેન મૂંઝાયા કરે છે. નાનકડી પણ સારી વાર્તા.

મારી મરજી (કેતકી જાની) : એક નાનકડી વાર્તામાં ઘણાં મોટાં મોટાં પ્રશ્નો ચર્ચાયા છે: ૧. સ્ત્રી માતા બને તો એના સૌંદર્યમાં ઘટાડો થાય એવું માનીને એક પતિ પોતાની પત્નીને માતૃત્વસુખથી વંચિત રાખે છે. ૨. “વારસ તો જોઈએ જ” એવો આગ્રહ રાખતી સાસુ પોતાની પુત્રવધુનો માસિક ધર્મ બંધ થઇ જાય ત્યાં સુધી રાહ જુએ ખરી? ૩. પત્નીને બાળક થવા ન દીધું અને માતાનો આગ્રહ છે કે વારસ જોઈએ એટલે પુરુષ એક પત્ની ઉપર બીજા લગ્ન કરવા તૈયાર થઇ જાય છે. ૪. માતૃત્વસુખથી વંચિત રાખનાર પતિનો પત્નીએ સંપૂર્ણ લગ્નજીવનમાં ક્યારેય વિરોધ કર્યો નહીં અને એક તક મળતાં તરત જ ઓક્સિજનનો પૂરવઠો કરતી નળી દબાવી દઇ પતિનું મૃત્યુ નીપજાવ્યું!  ૫. કચરાપેટીમાં તરછોડાયેલી બાળકીને નાયિકાએ દત્તક લીધી.  આ દરેક મુદ્દા પર એક એક સ્વતંત્ર વાર્તા બની શકે!    

જંગલ મેં મોર નાચા (રમણ મેકવાન) : એક ઉંમરલાયક કન્યા માટે ગામડાગામમાં કોઇ મૂરતિયો હા પાડતો ન હતો, એક સગાંને ત્યાં શહેરમાં ગઇ અને ત્યાં એનું ગોઠવાઇ ગયું. ખાધું પીધું અને મોજ કરી. વાર્તા પૂરી.

એની આંખો પણ... (કિશોર અંધારિયા) : ધારણાથી વિપરીત ઘટવું ટૂંકી વાર્તા માટે એક અત્યંત લોકપ્રિય ફોર્મ્યુલા છે. વર્તિકાને ઓફિસમાં સામે બેસતા સિનિયર કર્મચારી દિનેશ રાજપરાનો હંમેશા ડર લાગતો. એક વાર કટોકટીની ક્ષણોમાં ઝેરનાં પારખાં થઇ જાય છે. વાર્તાની માવજત સારી.

થીજી ગયેલું ઘી (માવજી મહેશ્વરી) : માણસની પોતાને પામવાની કવાયત. નિશાળના મુખ્ય શિક્ષક તરીકે સંપૂર્ણ કારકિર્દીમાં રમણબાળાએ હ્રદયને બાજુએ મૂકી મગજથી કામ લીધું છે. શિસ્ત અને નિયમપાલનના આગ્રહી રમણબાળાના હાથે અનેક શિક્ષકો જોડે જાણ્યેઅજાણ્યે અન્યાય થયો હશે. કારકિર્દીના છેવટના વર્ષોમાં એમની વિરુદ્ધ ફરિયાદ થઇ અને શિક્ષણવિભાગે સામાન્ય તપાસ કરીને રમણબાળાને નોકરીમાંથી ફારેગ કર્યા. પોતાની ભૂલોનો એહસાસ રમણબાળાને થાય ત્યારે થીજી ગયેલું ઘી પીઘળે છે અને દીવો એની ક્ષમતા મુજબ પ્રકાશે છે. સારી વાર્તા.          

જીવતર (ડો. રમણ માધવ) : વાર્તાનું જમા પાસું: પુરુષપ્રધાન સંસ્કૃતિમાં એક સ્ત્રી વિદ્રોહ કરે છે. ડોસાએ કષ્ટ વેઠીને દીકરાને ઉછેર્યો. પરણાવીને ઠરીઠામ કર્યો,  એ બીજી સ્ત્રીમાં મોહ્યો, પત્ની, બાળકો અને પિતા તરફ દુર્લક્ષ્ય કર્યું. ડોસો ગામલોકો સામે જાહેર કરે છે કે દીકરો વારસામાંથી રદબાતલ. વહુનો પ્રશ્ન છે કે ફક્ત દીકરાનું જ કેમ તમને દાઝે છે? એક વહુને કેમ તમે પોતાનો વારસ ગણતા નથી?

ગંગા-સાગર (લીના વચ્છરાજાની) : માતાના મૃત્યુ પછી પિતા બીજાં લગ કરે ત્યારે બાળકો પિતાની બીજી પત્નીનો સહેલાઇથી સ્વીકાર કરતાં નથી.  જૂનો વિષય, મુખ્ય પાત્રોના સાગર, રેવતી અને ગંગા જેવાં નામો અને આલંકારિક ભાષા વાર્તાને સામાન્ય બનાવે છે. 

ઝાંઝવાના જળ (યોગેશ પંડ્યા) : અનિતા મોહિતને ચાહે કરે છે પણ પિતાની નામરજીના કારણે લગ્ન પ્રેમ જોડે થાય છે. મધુરજનીની રાતે જ અનિતા પતિ પાસે કબૂલાત કરે છે કે તે કોઇ અન્યને ચાહે છે. અંતે અનિતા જાણવા પામે છે કે મોહિત પ્રેમ કરવા લાયક ન હતો. ભૂલનો અહેસાસ થયા પછી એ પતિનો સ્વીકાર કરે છે. જૂનો વિષય, સામાન્ય વાર્તા.

ફર્શ (રાજેશ અંતાણી) : નાયિકા પ્રત્યે સાસરિયાંનો અન્યાયી વર્તાવ. જૂનો વિષય, સામાન્ય વાર્તા.

અધૂરા ઓરતા (સરદારખાન મલેક) : થ્રિલર વાર્તા. નાયક હોસ્પિટલના મડદાંઘરમાં ફરજ બજાવે છે. રાતપાળીમાં અચાનક એક ખાનામાં રાખેલી લાશ બહાર આવીને તેની જોડે વાત કરવા માંડે. તેની પૂર્વપ્રેમિકાની એ લાશ પોતાની અધૂરી ઇચ્છાઓ પૂરી કરવાની વાતો કરે છે. કલ્પના સરસ પણ માવજત સરળ અને સપાટ. રજૂઆતમાં થોડીક નાટ્યાત્મકતા ભેળવી શકાય તો વાર્તા વધુ સારી બની હોત. મડદાંઘર જેવા પરિવેશની વાર્તાની કલ્પના નવી.  પ્રયાસ સરાહનીય.      

ઓબ્જેક્ટ (જ્યોતીન્દ્ર પંચોલી) : રસ્તા પર દાતણ વેચતી એક યુવાન વિધવા રેવતીને એક ચિત્રશિક્ષિકા કળાવિદ્યાલયમાં ન્યૂડ મોડેલિંગ કરવાનું કામ અપાવે છે. દાતણના ધંધા કરતાં કમાણી સારી થાય છે. કોરોના મહામારીના પગલે આવી પડેલી સંચારબંધીમાં કામ બંધ પડ્યું.  રેવતીએ આસપાસમાં વધ્યુંઘટ્યું માંગવાનું શરુ કર્યું. પેલી કળાવિદ્યાલયના પ્રિન્સીપાલ પોતાના વયોવૃદ્ધ પિતાની દેખભાળનું કામ આપે છે. કમાણીમાં હજી વધારો. અંતમાં પ્રિન્સીપાલમાં રહેલા પુરુષની વરવી છબી પ્રગટ થાય છે. ઘટનાપ્રધાન સામાન્ય વાર્તા. ત્રણ પ્રશ્નો ઊભા થાય છે: ૧. જે સ્ત્રી રસ્તા પર દુકાન માંડી દાતણ વેચવાનો ધંધો કરી શકતી હોય એ વધ્યુંઘટ્યું માંગવા જાય? ૨. અંતમાં એક પુરુષનો વિકૃત ચહેરો જ બતાવવો હતો તો આટલી લાંબી રામાયણ શા માટે? ન્યૂડ મોડેલિંગ કે વૃદ્ધ પિતાની દેખભાળ વગેરે પ્રપંચ કરવાની શું જરૂર હતી? રેવતીની સામે એ જે પ્રસ્તાવ મૂકે છે એવો પ્રસ્તાવ તો એ કોઇ પણ શ્રમજીવી સ્ત્રીની સામે અલ્પ પરિચય પછી મૂકી શક્યો હોત! ૩. લેખકે નાયિકા પાસે જુદાં જુદાં કામ કરાવ્યા પણ એની કોઇ સમસ્યા, એનું કંઇ મનોમંથન કશું જ નહીં!         

અપલક આંખે (કિરણ મહેતા) : દિગંત અને પ્રિયંકા બંને ઉચ્ચશિક્ષિત. દિગંતને ખેતીનો શોખ. ગામડે રહીને ખેતી કરે. પ્રિયંકાને પ્રવાસનો શોખ. પેરિસ જવાની અને એફિલ ટાવર જોવાની એની તમ્મના પૂરી થાય એ પહેલાં વીજપ્રપાતમાં અકાળે અવસાન. પ્રિયંકાની સ્મૃતિમાં દિગંત ગામમાં એફિલ ટાવરની પ્રતિકૃતિ બનાવે. પુત્ર નિહારના શિક્ષણ માટે ગામડું છોડીને શહેરમાં વસે. નિહાર મોટો થઇને પોતાની મરજીથી નિયાને પરણે. નિહાર-નિયા પિતાને એકલાને પેરિસના પ્રવાસે મોકલે કારણ કે નિયાને સારા દિવસો જતાં હોય. પેરિસ જતું વિમાન ક્રેશ થાય એટલે દિગંતનું અકાળે અવસાન થાય. કોઇ વિમાનનો ઉડવાનો અવાજ સંભળાય એટલે નિહાર બારીમાંથી અપલક જોયા કરે.  એક નવલકથાનો વિષય અને વ્યાપ ધરાવતી લાંબી વાર્તા.

પ્લસ પોઈન્ટ: આ વાર્તામાં નોંધનીય છે સમગ્ર ભારતદેશના જોવાલાયક અનેક સ્થળોનું ટૂંકમાં વર્ણન. જુદાં જુદાં સ્થળોની ખૂબીઓનું વર્ણન સરસ થયું છે.

માઇનસ પોઈન્ટ: વાર્તાની પૂર્વધારણા સ્પષ્ટ નથી. શું કહેવું છે? પતિ-પત્ની સંબંધનો ઉલ્લેખ છે, પિતા-પુત્ર સંબંધનો ઉલ્લેખ છે. બેમાંથી એક વિષય પર ફોકસ રહ્યું હોત તો સારું થાત. રજૂઆત અંગે એક પ્રશ્ન ઊભો થાય છે. વાર્તા ત્રીજા પુરુષ એકવચનમાં કહેવાઇ છે. દિગંતનો ઉલ્લેખ સતત “પપ્પા” તરીકે થાય છે. રજૂઆતમાં ક્યાંય પુત્ર નિહારનો કે પુત્રવધુ નિયાનો દ્રષ્ટિકોણ નથી. “દિગંતભાઇ” એવો ઉલ્લેખ થઇ શક્યો હોત! કથક શા માટે પપ્પા પપ્પા કહ્યા કરે તે સમજાતું નથી.       

વિદાય (દક્ષા ઝાલાવાડિયા ‘લાગણી’) : પછાત કોમમાં શિક્ષણનું પ્રમાણ નહીંવત હોય ત્યારે તેનું મહત્વ એ કોમના સભ્યોને સમજાતું નથી. કુટુંબીજનો અને ગામના લોકો સામે એક વિધવા સ્ત્રી વિદ્રોહ કરે તે સારી વાત છે પણ વિદ્રોહ કરીને લીલીએ શું કર્યું?  લીલીનો જેઠ ભત્રીજી આશાનો અભ્યાસ છોડાવીને જબરદસ્તીથી એના લગ્ન જોડવા માંગે છે. આશાની માતા જેઠ અને ગામલોકો સામે ધારિયું લઇને ઊભી રહી જાય છે. સરસ, પણ એ કરે છે શું? આશાના લગ્ન એક પરિચિત અને શિક્ષિત છોકરા સાથે કરાવી દે છે! એક લગ્ન રોકવા બીજા લગ્ન? આ તો કોઇ ઉપાય હોઇ ના શકે!  એણે એમ કહ્યું હોત કે “મારી દીકરી ભણવા માંગે છે, એનો રસ્તો કોણ રોકે છે તે હું જોઇ લઈશ!” તો કંઈ વાત બને! બીજું કે વાતે વાતે બબ્બે-ત્રણ ત્રણ આશ્ચર્યચિહ્નો શા માટે?     

ક્યા ભરોસા હૈ (હસમુખ અબોટી ‘ચંદન’) : દરિયો તોફાને ચડે ત્યારે શું થાય કંઈ કહેવાય નહીં. એક વેપારી વહાણને નડેલા અકસ્માતની સત્યઘટના પર આધારિત રોમાંચક કથા. દરિયાખેડુઓની પરિભાષા અને જીવનપદ્ધતિનું સરસ આલેખન. દરિયાઇ કથાઓ માટે જાણીતા આ લેખક પાસેથી મળેલી એક કરુણાંત વાર્તા.

પાશવતા પરમો ધર્મ (નીતિન ત્રિવેદી) :  જંગલના પ્રાણીઓને લઇને દેશની તત્કાલીન રાજકીય પરિસ્થિતિ પર રચાયેલી કટાક્ષકથા. એક જ વાર્તામાં એકાધિએક મુદ્દાઓ સમાવવાનો મોહ ટાળવો જોઇતો હતો.   

ગોઝારિયો (નટવર ગોહેલ) : કરુણાંત પ્રેમકથા. જે કૂવાએ મેઘા અને મોતીનો મેળાપ કરાવ્યો, એ જ કૂવાએ એમને છૂટા પાડ્યા. 

એક દીવાલનો અંતરપટ (ડો. મનહર ઠાકર) : દસ વર્ષ પહેલાં ગૃહત્યાગ કરીને વૃધ્ધાશ્રમમાં જતી રહેલી બાને દીકરો-વહુ પાડોશીઓની મદદથી મનાવીને પાછાં લાવ્યાં. સુખાંત વાર્તા. આ વાર્તામાં કોઇ વળાંક આવ્યો હોત તો વધુ સારી બની હોત. દા.ત. વૃધ્ધાશ્રમમાં બા અંતેવાસીઓ સમક્ષ જ્ઞાનની વાતો કરે છે. એ સાંભળ્યા પછી પાડોશીઓ પોતાની વાતમાંથી ફરી ગયાં હોત તો? બાને મનાવીને પાછી લાવવાને બદલે સાગમટે બધાં જ વૃદ્ધાશ્રમમાં દાખલ થઇ જવાની હઠે ચડ્યા હોત તો?

કોરોના (દિનેશ દેસાઇ) : એક પરિણીત સ્ત્રીનો લગ્નબાહ્ય સંબંધ. સ્ત્રી અને બોયફ્રેન્ડ બંને પોતપોતાની રીતે અલગ અલગ કોરોના પોઝિટીવ અને એના કારણે મૃત્યુ પામ્યા. પરિણીત સ્ત્રીનો પતિ પોતાના લગ્નબાહ્ય સંબંધવાળી પ્રેમિકા જોડે પરણવા મુક્ત. વાર્તાનો ધ્વનિ શું છે? અનૈતિક સંબંધોમાં રાચતાં સ્ત્રી-પુરુષ પર દૈવી કોપ? કુદરતની સજા? જે હોય તે, આ રચના વાર્તા બનતી હોય એવું લાગતું નથી. ક્યાંય કોઇ સંઘર્ષ નથી.  પ્રેમીને ના મળી શકવાથી નાયિકાના મનની દુ:ખદ સ્થિતિનો ચિતાર મળ્યો હોત તો કઇંક વાત બની હોત. અહીં તો બંને પ્રેમીઓ એકબીજાને મળી ના શકવાથી ખુશ છે! દેશ અને દુનિયામાં કોરોનાના વ્યાપના આંકડાઓ તો અખબારમાં કે ઈન્ટરનેટ પર પણ મળી રહે; વાર્તામાં એવી બધી વિગતની શી જરૂર હતી?      

અકસ્માત--તનના અને મનના (સુમંત રાવલ) : બોધકથા. કથકને અપકારનો બદલો ઉપકારથી મળ્યો અને નૈતિકતાનો એક પાઠ શીખવા મળ્યો. સારી વાર્તા. 

નજીકની વ્યક્તિ (દુષ્યંત શુક્લ) : નવી નોકરી નિમિત્તે અદિતિ બેંગ્લોર શહેરમાં જાય છે અને ત્યાં અન્ય પુરુષોથી (ખાસ કરીને પલાશથી) પોતાને સફળતાપૂર્વક સલામત રાખે છે. આ વાર્તા અદિતિના બદલે જો સહકર્મચારી પલાશના દ્રષ્ટિકોણથી કહેવાઇ હોત તો વધારે રસપૂર્ણ બની હોત. દા.ત. અદિતિ એને કઇ રીતે ગમે છે અને એ કઇ રીતે પલાશને પ્રતિસાદ આપે છે. અંતમાં ધારણાથી વિપરીત પલાશને કેવો આંચકો મળે છે તે જોવું મઝાનું બન્યું હોત.

રંગોળી (પ્રફુલ્લ કાનાબાર) : આરોહી અને આકાશ બંને એક ઓફિસના સહકર્મચારી. બંને પ્રથમ લગ્નથી દાઝ્યાં છે. સંજોગો અને સ્વભાવ બેઉને નજીક લાવે છે. સામાન્ય પ્રેમકથા. 

સાથ (ડો.મનીષા પટેલ) : બહારની દુનિયામાં અસફળ થતાં એક પુરુષ પોતાની પત્ની જોડે હિંસા આચરે છે. એવા ગેરવર્તન કરતાં પુત્રનો ત્યાગ કરીને એક માતા પોતાની પુત્રવધુને સાથ આપે છે. સામાન્ય સામાજિક વાર્તા. 

નિત્યા (નીલા સંઘવી) : નિત્યાને બેહોશ કરીને કઢંગી સ્થિતિમાં તેના વિડીયો ઉતારી લઇને પછી બ્લેકમેઈલ કરવામાં આવતી હતી. પોતાની બહેન સાથે પણ આવું ના થાય એવું વિચારીને નિત્યા આત્મહત્યા કરી લે છે. પૈસાપાત્ર માણસો જયારે પોતાના સંતાનોને નોકરોને કરી દેતાં હોય ત્યારે આવી દુર્ઘટનાઓ બનતી હોય છે. છાપાંમાં રોજ આવી ઘટનાઓના સમાચાર આવતાં હોય છે. સમાજ સામે લાલબત્તી ધરતી વાર્તા.    

કોના વાંકે? (રાજેશ ચૌહાણ) : દુ:ખાંત પ્રેમકથા. આ વાર્તાનો પ્લસ પોઈન્ટ: નાયક અને નાયિકા સાયકલસવારી કરતાં કરતાં પ્રેમાલાપ કરે છે. એ દ્રશ્ય જૂની હિન્દી ફિલ્મોની યાદ અપાવે છે.

સંસાર (રાઘવજી માધડ) :  એક પ્રતિષ્ઠિત સ્વામીજી પાસે આવીને એક કન્યા પ્રશ્નો પૂછે છે. આ પ્રશ્નો અગવડદાયક જણાવાથી એ કન્યાને અંગત મુલાકાત માટે બોલાવાય છે. વર્ષો પહેલાં કોઇ સ્ત્રીને આ સ્વામીજીએ અન્યાય કરેલો એનો ન્યાય માંગવા આ કન્યા આવી છે. સમાજમાં ઉજળા થઇને ફરતાં મહાત્માઓના કાળા કર્મો પર પ્રકાશ પાડતી વાર્તા.   

વસવસો (જગદીપ ઉપાધ્યાય) : પ્રયોગાત્મક વાર્તા. એક મૃત માણસ પોતાની આપવીતી કહે છે. હળવી શૈલીમાં એના પોતાના મરણની વાત ભારે મનોરંજક બની છે. સરસ પ્રયોગ, સરસ વાર્તા!

ગુલાબ (રામ જાસપુરા) : સુખાંત પ્રેમકથા.

સંવેદનાનો સાગર (દુર્ગેશ ઓઝા) : એક વધુ પ્રેમકથા. શ્રીમંત યુવક વિધવા યુવતી જોડે લગ્ન કરીને સાહસિક પગલું ભારે છે. રજૂઆતમાં આલંકારિક ભાષાનો પ્રયોગ કૃત્રિમ લાગે છે. આવું ટાળી શકાયું હોત.

ધુમ્મસ (નટવર આહલપરા) : એક દુ:ખાંત પ્રેમકથા. ભાષા આલંકારિક. 

સ્વીકાર (પૂજન જાની) : એક વધુ પ્રેમકથા.  કોલેજકન્યા ફાલ્ગુની આધુનિક વિચારસરણીની છે. લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવાનો એને છોછ નથી.  નાયિકાનું પાત્રાલેખન એક સાહસિક પ્રયોગ ગણવો રહ્યો.

પર્દાફાશ (મનહર રવૈયા) : ગુનાખોરીની એક સામાન્ય કથા.

--કિશોર પટેલ; ગુરુવાર, 03 ડિસેમ્બર 2020; 05:11

###