Monday 27 February 2023

બાલભારતીમાં વાર્તાપઠન ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૩






 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૩

(૫૮૬ શબ્દો)

શનિવાર,૨૫ ફેબ્રુઆરી  ૨૦૨૩ ની સાંજે બાલભારતી, કાંદિવલી પશ્ચિમ, મુંબઈ ખાતે  બાલભારતી વાર્તાવંતના ઉપક્રમે ચાર વાર્તાકારોએ પોતપોતાની વાર્તાઓનું પઠન કર્યું.

રસીલાબેન રસોઈવાળા (દિલીપ રાવલ):

નારીચેતનાની વાર્તા.

આ વાર્તામાં બે-ત્રણ વાતો છે. એક તો એ કે સંયુક્ત કુટુંબવ્યવસ્થા તૂટવા માંડી છે જે વાત જૂની થઈ ગઈ છે. જેમ નવી આવેલી વહુ સ્વતંત્ર રહેવા ઈચ્છે છે એમ વરિષ્ઠ નાગરિકો પણ સંતાનોના આશરે ના રહેતાં સ્વતંત્ર રહેવા ઈચ્છે છે. બીજી વાત આજીવિકાની શોધમાં ગામડેથી શહેર સ્થળાંતર કરવું એ વાત પણ હવે જૂની થઈ ગઈ છે. હવે યુવાનો ભણીગણીને વિદેશમાં જઈને અથવા વિદેશમાં ભણીને ત્યાં જ કારકિર્દી બનાવી રહ્યાં છે.  ત્રીજી વાત એ છે કે વિદેશમાં ઘરેલુ કામ માટેની મજૂરીના દરો ખૂબ ઊંચા છે. સારું કમાતાં સ્ત્રી-પુરુષો ઘરમાં કપડાં વાસણ ઝાડુંપોતું જાતે જ કરે છે.

આ વાર્તામાં રસીલાબેનના પુત્રએ એમને વિદેશ આવીને જોડે રહેવાનું આમંત્રણ આપ્યું ત્યારે તેઓ હરખાઈને ગયાં ખરાં પણ એમને ખ્યાલ આવી ગયો કે એમને તો વહુને આવનાર બાળક નિમિત્તે બેબીસીટીંગ અને રસોઈ ઈત્યાદી ઘરેલુ કામ કરવા માટે બોલાવાયા છે. જિંદગી આખી સ્વતંત્ર રહેલાં રસીલાબેન એવી સ્થિતિ કઈ રીતે ચલાવી લે? ભ્રમ ભાંગી ગયા પછી તેઓ સ્વદેશ પાછાં ફરી જાય છે.

વાર્તામાં એક વાત પ્રકર્ષપણે અનુભવાય છે કે ક્યારેક પોતાનાં પારકાં જેવું વર્તે છે અને પારકાં પોતાનાં જેવું વર્તે છે. ભાઈ દિલીપ રાવલ મનોરંજન ઉદ્યોગના કલાકાર છે, એમની રજૂઆત ભાવવાહી રહી. સારી વાર્તા.

કવિતાઓના રસ્તે (અશ્વિની બાપટ):

પિતા-પુત્રી સંબંધની વાત. નાયિકાને પિતા સાથે વાંધો પડ્યો છે. કોઈ કારણથી પિતાની જીવનશૈલી બદલાઈ ગઈ અને એમનો પત્ની-પુત્રી જોડે સંબંધ બગડ્યો. નાયિકાને સાચી કે ખોટી એવી લાગણી થઇ ગઈ છે કે પિતા એને ક્યાંય સ્થિર થવા દેતા નથી. પણ અમુક સંબંધો સહેલાઈથી તૂટતાં નથી. નાયિકાના હ્રદયમાં પિતા માટે લાગણીનો ઝરો જીવંત રહ્યો છે. હ્રદયસ્પર્શી વાર્તા.

કેસરભીનાં હૈયા (માના વ્યાસ):

સમાજના રહિત વર્ગ માટે સહિત વર્ગના એક સભ્યની સંવેદના જાગૃત થાય છે. આ વાર્તામાં કુટુંબની વડીલ સ્ત્રી જેનો ઉલ્લેખ ભાભી તરીકે થાય છે તે કશુંક માણસાઈનું કામ કરી બતાવે છે. એ નોકરાણીના બીમાર બાળકને જોવા જાય છે, એટલું જ નહીં, નોકરાણીની દીકરી ચંપાની વિનંતી પ્રમાણે બાળકના કપાળે ઘસવા મોંઘામાંનું થોડુંક કેસર પણ આપે છે અને ડોક્ટરની વ્યવસ્થા પણ કરે છે.

આ વાર્તાનું કદ અત્યંત નાનું છે, આ રચનાને વાર્તાને બદલે લઘુકથા કહેવું ઉચિત રહેશે. શીર્ષક સાર્થક થાય છે, કુટુંબની વડીલ સ્ત્રીનું હૈયું ખરેખર, કેસરભીનું સાબિત થાય છે.      

ટુ સર, વિથ લવ (સતીશ વ્યાસ):

એક શિક્ષક દ્વારા એના વિદ્યાર્થીના થતાં ભાવનાત્મક શોષણની વાત. વિદ્યાર્થી પોતાના શિક્ષક પ્રતિ ભક્તિભાવ ધરાવે છે અને શિક્ષક એની ભાવનાઓનો ગેરલાભ લઈને નાનાં મોટાં અંગત કામો માટે એનું શોષણ કરે છે.

વાર્તાની રજૂઆત આકર્ષક રહી. વિદ્યાર્થીને જયારે શિક્ષકની આખી રમત ધ્યાનમાં આવે છે ત્યારે એનો અપેક્ષાભંગ થાય છે, દુઃખી અને વ્યથિત હ્રદયે એ શિક્ષકને ઉદ્દેશીને અંતિમ પત્ર લખે છે. સરસ વાર્તા.

કાર્યક્રમનું સંચાલન જાણીતા વાર્તાકાર, પ્રકાશક અને નાટયકાર શ્રી સતીશ વ્યાસે કર્યું. એમનાં સંચાલનની વિશેષતા એ કે કાર્યક્રમની વાર્તાઓની વચ્ચેના બ્રેકમાં એમણે વાર્તાજગતના એક અણમોલ હીરા ચેખોવની કેટલીક વાર્તાઓનો પરિચય કરાવ્યો.

એમાંની જે વાર્તાઓ મને યાદ રહી છે તેનો સારસંક્ષેપ  આ પ્રમાણે છે:  

૧. એક ઘોડાગાડીવાળો  પોતાના જીવનમાં બનેલી કરુણ ઘટના કોઈકની જોડે વહેંચીને હ્રદય હળવું કરવા ઈચ્છે છે પણ કોઈની પાસે સમય નથી. છેવટે ગાડીવાન પોતાના ઘોડાને એ વાત કહે છે.

૨. એક શ્રીમંત આદમી યુવાનીમાં પ્રવેશતા પોતાના પુત્રને કંઇક ભેટ આપવા ઈચ્છે છે. એ પોતાના પુત્રને રૂપબજારમાં લઈ જાય છે. ફૂટપાથ પર ઊભી રહી ગ્રાહકોને આકર્ષીને ધંધો કરતી એક વેશ્યાને આ શ્રીમંત પુરુષ વિનંતી કરે છે કે યુવાનીમાં પ્રવેશેલા એના પુત્રને એ પ્રેમ વિષે સાચી સમજણ આપે. વેશ્યા આવી વિનંતી સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે. એ કહે છે, “સાહેબ, તમારા જેવા પિતા મને મળ્યા હોત તો હું આજે આ સ્થિતિમાં ના હોત!”

એકંદરે મજેદાર વાર્તાવંત સાંજ!          

--કિશોર પટેલ, 27-02-23; 13:51

###

No comments: