Tuesday 21 February 2023

ભવન્સની પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા (૨૦૨૩) વિષે નોંધ (ભાગ ૮)

 



ભવન્સની પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા (૨૦૨૩) વિષે નોંધ (ભાગ ૮)  

(૨૮૦ શબ્દો) 

બુધવાર ૧૫  ફેબ્રુઆરી ૨૦૨૩ ની સાંજે એન.વી. પ્રોડક્શન, સુરત પ્રસ્તુત

શકરબાજ

લેખક: પ્રવીણ સોલંકી, દિગ્દર્શક: પંકજ પાઠકજી

યુવાન વયની આરતી દેસાઈ હાલમાં જ વિધવા થઈ છે. મુંબઈથી થોડે દૂર કોઈ નદી-નાળામાં ડૂબી જવાથી એના પતિ અમર દેસાઈનું અકસ્માત મૃત્યુ થયું છે. વીમા કંપનીમાં દાવાના કાગળિયાં બાબત વીમા એજન્ટ ચીમન આરતીને મળવા આવે છે. અમર દેસાઈએ પોતાની જિંદગીનો વીમો ઉતરાવ્યો હતો પૂરા પાંચ કરોડનો.

અડધી રાતે આરતીના ઘરમાં ચોરીછૂપીથી આવેલું બીજું કોઈ નહીં, અમર દેસાઈ સ્વયં છે. હા, અમર દેસાઈએ પોતાનાં મુત્યુનું નાટક કર્યું હતું, પાંચ કરોડની કમાણી કરવા. એણે પોતાના જ કદ-વજનના રઝળુ ભિખારીને મોતને ઘાટ ઉતારીને પત્ની આરતી પાસે પતિના મૃત્યુની ફરિયાદ કરાવી હતી.

પણ અમર અને આરતીને પાંચ કરોડની રકમ એટલી સહેલાઈથી મળે એવું લાગતું નથી કારણ કે ક્રાઈમ બ્રાન્ચનો એક બાહોશ ઇન્સ્પેકટર વિક્રમ ઈનામદાર અમરના મૃત્યુની તપાસ કરવા માટે નિમાયો છે.

શું અમર દેસાઈનું તરકટ સફળ થાય છે? શું ઇન્સ્પેકટર વિક્રમ અમરનો ભાંડો ફોડી શકે છે? 

નાટકમાં સમયાંતરે ટર્ન અને ટ્વીસ્ટ આવ્યા કરે છે, શું થશેની ઉત્કંઠા નાટકમાં કાયમ રહે છે એમાં નાટકની સફળતા છે.

આરતી દેસાઈની ભૂમિકામાં માધવી પંડયા, વીમા એજન્ટ ચીમન ચિતલિયાની ભૂમિકામાં મિતુલ હરીશ લુહાર, ઇન્સ્પેક્ટર વિક્રમ ઈનામદારની ભૂમિકામાં પૌરવ શાહ અને અમર દેસાઈની ભૂમિકામાં વિતરાગ શાહ સહુ પાત્રોચિત અભિનય કરે છે.

નિર્માતા: મિતુલ હરીશ લુહાર, વેશભૂષા: શાંતા હરીશ લુહાર, સંનિવેશ: કેતન કારિયા, સંગીત: જીતેન્દ્ર જીસાહેબ, સંગીત સંચાલન: તેજસ ટેલર, પ્રકાશ યોજના: દેવાંગ જાગીરદાર, પ્રકાશ સંચાલન: મિતુલ હરીશ લુહાર, નિર્માણસહાય: હર્ષ શાહ, નિશાંત ભટ્ટ અને ઉત્સવ ભટ્ટ.

BTW, આ નાટક મુંબઈની રંગભૂમિ પર “કેસ નંબર ૯૯” શીર્ષકથી હાલમાં સફળતાપૂર્વક જાહેર પ્રયોગો કરી રહ્યું છે. અલબત્ત, નાટકની રજૂઆતકર્તા ટીમ જુદી છે, એમાં મુંબઈના સ્થાનિક કલાકારો કામ કરે છે.         

-કિશોર પટેલ, 21-02-23; 17:22

###         


No comments: