Wednesday, 31 May 2023

નવનીત સમર્પણ મે ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

 





નવનીત સમર્પણ મે ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૯૯ શબ્દો)

ટ્રેપ્ડ (વર્ષા અડાલજા):

ટ્રેપ થઈ જવું એટલે છટકામાં ફસાઈ જવું. મનોરંજનની દુનિયામાં એવું થતું હોય છે કે કલાકારનાં ચાહકોમાં એની એક ચોક્કસ છબી બની જતી હોય છે. એ કલાકારને પછી તેઓ અન્ય રૂપે સ્વીકારતાં નથી.  આ વાર્તામાં રાજ નામના એક કલાકારની વાત થઈ છે જે એની બનાવટી ઓળખમાં ટ્રેપ્ડ (કેદ) થઈ ગયો છે. નિશાળમાં ભણતો હતો એ સમયથી જ એ સ્ત્રીવેશ ભજવવા માટે જાણીતો થઈ ગયો હતો. પુખ્ત વયે રાજને તખ્તા પર અભિનયમાં કારકિર્દી બનાવવી છે, પણ એને ફક્ત સ્ત્રીવેશમાં (ડ્રેગ ક્વીન) ભૂમિકાઓ ભજવવાના પ્રસ્તાવ મળ્યા કરે છે. છેવટે રાજ શું કરે છે? શું એ પોતાની સ્વતંત્ર કેડી કંડારી શકે છે?  કે પછી એણે સંજોગોને શરણે જવું પડે છે?  એનાં નિર્ણયની એનાં પોતાના વ્યક્તિત્વ પર શું અસર પડે છે? આ અંગે એનાં સ્વજનોનું વલણ શું છે?

સરસ અને પ્રવાહી રજૂઆત. પ્રતિષ્ઠિત વાર્તાકાર પાસેથી મળેલી જુદાં જ વિષયની રસપૂર્ણ વાર્તા.

ઘાટબંધન (ધર્મેશ ગાંધી):

પિતાને ગુમાવ્યાનું પ્રાયશ્ચિત. મુરલીધરને દુઃખ એ વાતનું છે કે તેના પિતાને પોતાની પત્ની એક બોજ સમજતી હતી. પોતાની પત્નીને પોતે સમજાવી શક્યો નહીં અને પિતાને કાયમ માટે ગુમાવી દીધા. વરસો પછી પત્નીનાં અસ્થિનું ગંગાઘાટે વિસર્જન કરવા આવેલો મુરલીધર વિચારમાં પડે છે. આ જ ગંગાઘાટ પર પિતા એનો ત્યાગ કરી ગયા હતા, એને થાય છે કે પિતા સાથે કરેલા અપરાધનું અન્યાયનું પોતે પ્રાયશ્ચિત કરવું જોઈએ. મુરલીધર એ પ્રાયશ્ચિત કેવી રીતે કરે છે? ભૂલ અને પ્રાયશ્ચિતની ભાવવાહી વાર્તા. સુરેખ રજૂઆત.  આ લેખકના લખાણમાં હવે પુખ્તતા આવતી જાય છે.  

ખરખરો (ધર્મેન્દ્ર ત્રિવેદી):

લઘુતાગ્રંથિથી પીડાતા એક નાના માણસની વાત. કેટલાંક માણસો સામાજિક રીતે મોભાદાર માણસોની શેહમાં આવી જઈને પોતાનાં નાના કદને વધુ નાનું કરી નાખતાં હોય છે. સાહિત્યકાર કૃતા અને એના પતિ જે ઉચ્ચ સરકારી અધિકારી છે તે બંને એક જશુભાઈ નામના નવોદિત લેખકને ઘેર શોકપ્રસંગે ખરખરો કરવા જાય છે. પ્રસંગનું ઔચિત્ય ભૂલીને જશુભાઈ ઘરનાં સહુ માણસો જોડે મોભાદાર મહેમાનોની ઓળખાણ કરાવવા મંડી પડે છે.

હળવી શૈલીમાં મજેદાર રજૂઆત. સર્વત્ર પોંખાયેલા વાર્તાકાર પાસેથી મળેલી વાચનક્ષમ વાર્તા.    

થોડાંક સુખી (સુનીલ મેવાડા):

જિંદગીની હાલકડોલક થતી નાવને સ્થિર કરવાની વાત.

નાનકડા એક ગામમાં ઉછરેલાં રાકેશ-પિનાએ સંઘર્ષ કરીને વડોદરા શહેરમાં કારકિર્દી બનાવી, પોતાનું ઘર બનાવ્યું, સંસાર વસાવ્યો, બાળકો મોટાં કર્યા. એમનાં પર દુઃખનો પહાડ ક્રમશઃ તૂટી પડે છે. બીમારી સાથે જ જન્મેલો દીકરો પંદર વર્ષની વયે મૃત્યુ પામ્યો. આવી દુઃખદ બીનાના કેવળ છ મહિના પછી મોટી દીકરીએ માતાપિતાને અંધારામાં રાખી ઘેરથી ભાગી જઈને લગ્ન કરી લીધાં.  રાકેશનું મન વડોદરામાંથી અને નોકરીમાંથી ઊઠી જાય છે. એ અમીરગઢ પાછો ફરવા માંગે છે. વડોદરા છોડી દેવા માટે પિના રાકેશનું મન ફેરવવા મથે છે.  

સામાન જોડે ટેમ્પો વિદાય થવાનો છે એ ક્ષણે પાડોશીઓ રાકેશ-પિનાને વિદાય આપવા એમને ઘેરીને ઊભાં છે. પાડોશની એક નાનકડી બાળકીને આ બધી ધમાલ સમજાતી નથી. એ પૂછે છે, “પણ તમે અહીંથી જાઓ છો કેમ?”

હ્રદયસ્પર્શી વાર્તા, ભાવવાહી રજૂઆત. સ્વરૂપ સાથે પ્રયોગ કરવા જાણીતા આ વાર્તાકારે અપવાદરૂપે પારંપારિક સ્વરૂપમાં એક સારી વાર્તા આપી છે એની નોંધ લેવી ઘટે.

--કિશોર પટેલ, 01-06-23; 10:58

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

       


Thursday, 25 May 2023

એતદ માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

એતદ માર્ચ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૮૫૬ શબ્દો)

લેબ્રાડોર (રાકેશ દેસાઈ):                                                                                                

પિતાના આધિપત્યમાંથી મુક્ત થયેલી દીકરીનું નવું ઝળહળતું રૂપ. અહીં લેબ્રાડોર કેવળ કૂતરો ના રહેતાં લગ્ન પછી પિતાના આધિપત્ય હેઠળથી આઝાદ થયેલી એક કન્યાના સ્વાતંત્ર્યનું પ્રતિક બની રહે છે.

મંયક-શિખાની દીકરી ટીની લગ્નનાં અઠવાડિયા-દસ દિવસ પછી પહેલી વાર પિયરમાં આવી છે. પોતાની જોડે એ લઈ આવી છે સાસરે પાળવામાં આવેલો લેબ્રાડોર કૂતરો જેને ટીની પ્રેમથી “રાજા” કહીને સંબોધે છે. મયંક કંઇક વિસ્મયથી અને કંઈક આઘાતથી દીકરીનું બદલાયેલું સ્વરૂપ જોઈ રહે છે. ટીનીના લગ્ન થયાં એ પહેલાં મયંકે એને પોતાના સંપૂર્ણ અંકુશ હેઠળ રાખી હતી. ટીનીને કૂતરો પાળવો હતો પણ મયંકે સિફતપૂર્વક નન્નો ભણી દીધો હતો. ગલીના નાકે ટીનીને જોઇને એક છોકરાએ સીટી મારી એ પછી મયંકે ઓફિસમાંથી ત્રણ દિવસની રજા લઈને ટીનીના આવવાજવાના સમયે ગલીમાં ફિલ્ડીંગ ભરી હતી. પાનના ગલ્લા પાસેથી આવતાંજતાં ટીનીએ ઝડપથી પસાર થઈ જવું એવી એની કડક સૂચના હતી. ટીનીએ કેવા વસ્ત્રો પહેરવાં અને કેવા નહીં એ વિષે પણ મયંક પાસે આચારસંહિતા હતી. એવી, સદાય એનાં અંકુશ હેઠળ રહીને મોટી થયેલી ટીની પરણ્યા પછી સાસરેથી પોતાની જોડે લેબ્રાડોર લઈને આવે છે ત્યારે મયંક કેવો પ્રતિભાવ આપે છે? એ ટીની જોડે કઈ રીતે વર્તે છે? પેલા “રાજા” નામના લેબ્રાડોર પ્રતિ એ કેવું વર્તન કરે છે? આ સમગ્ર સ્થિતિમાં ટીનીની મમ્મી શિખા કેવી ભૂમિકા ભજવે છે? દીકરી અને માતાપિતા વચ્ચે શું વાતો થાય છે? એમાંથી શું ફલિત થાય છે? સંપૂર્ણ મુલાકાત દરમિયાન ટીનીનું સહજ રહેવું શું સૂચવે છે?

વાર્તાનું સ્વરૂપ નોંધનીય. પિયરમાં નાયિકાની એક કે બે કલાકની મુલાકાત દરમિયાન સંપૂર્ણ કહેવાઈ જાય છે. પિતા, પત્ની અને પુત્રી ત્રણેનું પાત્રાલેખન વિશિષ્ઠ. પઠનીય અને રસપૂર્ણ વાર્તા.     

જાંબલી નદી (જયંત રાઠોડ):

કાળની ગર્તામાં લુપ્ત થઈ ગયેલી એક નદીની વાત.

ઇસરોના સેટેલાઈટ આર્કિયોલોજિસ્ટ શુક્લા એક પુરાતન કિલ્લાની સાઈટ પર તપાસ કરવા જાય છે. એની જોડે છે એનાં બે મિત્રો:  યુનિવર્સીટીના જીઓલોજી વિભાગનો હેડ ભાસ્કર અને બેંકમાં કેશિયર સૌમિલ. શુક્લા લેખક છે અને સૌમિલ કવિ. આ ત્રણે મિત્રો મસ્તીમજાકના હળવા મૂડમાં છે. દરમિયાન એમની દ્રષ્ટિ સમક્ષ એ સ્થળનો ભૂતકાળ જાણે સજીવન થાય છે. લુપ્ત થયેલી નદી અને એનાં કિનારે વિકસેલી સભ્યતાની ઝાંખી એમને થાય છે.

વાર્તા જોડે પાદટીપ તરીકે કચ્છના જાણીતા કવિ રમણીક સોમેશ્વરની કવિતા “જાંબલી નદી” મૂકાઇ છે. એવું જણાય છે કે આ કવિતા પરથી વાર્તાકારને આ વાર્તા સ્ફૂરી હોય. જે હોય તે, આ હળવી શૈલીમાં રજૂ થયેલી આ વાર્તા આપણી પ્રાચીન સભ્યતાની ઝાંખી કરાવે છે.           

વાસી છાપું (નીલેશ મુરાણી):

પોલીસ ખાતાના કર્મચારીઓ દ્વારા આચરતા ભ્રષ્ટાચારની વાત. આપણા દેશના દરેક પોલીસ સ્ટેશનમાં મહાત્મા ગાંધીની છબી લટકાવવામાં આવે છે. વળી વાર્તામાં પોલીસ સ્ટેશન જે ચોકની નજીક છે એ ચોકમાં મહાત્મા ગાંધીની એક પ્રતિમા પણ ઊભી છે. આમ મહાત્મા ગાંધીની મૂર્તિની સામે ખુલ્લેઆમ થતાં ભ્રષ્ટાચાર વિષે એક કટાક્ષ.

સામગ્રી કે રજૂઆતમાં નાવીન્ય નથી.     

સફેદ શર્ટ (એકતા નીરવ દોશી):

સ્કુલના પાંચમાં ધોરણમાં ભણતા સુમિતના ખમીસ પાછળ કોઈક ટીખળીએ ત્રણ શબ્દો: “આઈ લવ યુ” લખી દીધાં. એનાં પરિણામે ક્લાસમાં હોબાળો થયો, વર્ગશિક્ષકે સુમિતને પ્રિન્સીપાલ સામે ઊભો કર્યો, પ્રિન્સિપાલે એને એની મમ્મીને બોલાવી લાવવા કહ્યું. સુમિતને એનાં મમ્મી-પપ્પા બેઉનો ઠપકો સાંભળવો પડયો. એની ઈચ્છાવિરુદ્ધ એણે વાળ કપાવીને ટૂંકા કરાવવા પડયા. આ જે કંઈ થયું એ બધું સ્થૂળ ઉથલપાથલ. વાર્તા છે અગિયાર-બાર વર્ષની ઉંમરના બાળક સુમિતના માનસમાં થતી ઉથલપાથલની. સુમિતની  મનગમતી કલ્પના છે એની પસંદગીની કોઈ કન્યાએ એને એવું લખ્યું હોય!  જો કે કોણે લખ્યું છે એનું રહસ્ય તો ખૂલતું નથી. વાર્તાના અંતમાં એક સરસ ચમત્કૃતિ છે.

પ્રશ્ન એ છે કે વાર્તામાં વર્ણવેલી માનસિક ઉથલપાથલ અગિયાર-બાર વર્ષના છોકરામાં થઈ શકે? આ પ્રકારની સભાનતા માટે આટલી ઉંમરમાં આવવી અસ્વાભાવિક જણાય છે. અગિયાર-બાર વર્ષ કરતાં તેર-ચૌદ વર્ષના કિશોરવયના છોકરા માટે આ વાર્તા એકદમ યોગ્ય રહેત. કે પછી આજની પેઢીનો માનસિક વિકાસ અતિશય ઝડપી થઈ ગયો છે?  ઉંમરની ગરબડ બાજુએ મૂકીએ તો સરસ મઝાની વાર્તા!           

બોગનવેલ (સુનીલ મેવાડા):

સંબંધવિચ્છેદની પીડા. પ્રયોગાત્મક વાર્તાઓ લખવા માટે જાણીતા વાર્તાકારની આ વાર્તા પણ પ્રયોગાત્મક જ છે. વાર્તા ત્રણ ભાગમાં કહેવાઈ છે, આ ત્રણ ભાગમાં કથક અનુક્રમે સર્વજ્ઞ, નાયિકા અને નાયક છે.    

૧.પ્રેમ= સંબંધવિચ્છેદની વાતની પ્રસ્તાવના. ૨. પ્રકૃતિ= અહીં કથક નાયિકા છે. પ્રેમીથી છૂટા પડયા પછીની એની લાગણીઓનું આલેખન થયું છે. નાયકની સરખામણીએ નાયિકા ઘણી સ્વસ્થ જણાય છે. ઓફિસમાં રોશન નામના એક યુવકને એનામાં રસ છે. રોશન એવું કહેવા માંગે છે કે નાયિકા માટે થઈને એણે પોતાની પત્નીને ડિવોર્સ આપ્યા. પાડોશમાં એક એલિના નામની છોકરી રહે છે એની વાત. આ એલિના ઘણી બધી રીતે વિચિત્ર કન્યા છે. ૩. પુરુષ= આ ભાગમાં કથક બદલાય છે, કથક હવે નાયક છે. સંબંધવિચ્છેદની ઘેરી અને પીડાદાયક અસર નાયક પર થયેલી જણાય છે.

રજૂઆત સરળ અને પ્રવાહી છે. સારી વાર્તા.         

આ લેખક વાર્તાઓમાં નવા નવા શબ્દો પ્રયોજતા રહે છે. અહીં થોડાંક નોંધ્યા છે: અચળતા, શ્લોકાવેલા, આપણેઓ, અંત્યકૃતિ, એકાયામી, કરવુંઓ, બન્નો (આ શબ્દ “બંને”ની અવેજીમાં એકાધિક વાર વપરાયો છે, એટલે છાપભૂલ કે પ્રૂફરીડરની ભૂલ નહીં હોય, આમ  પણ એતદમાં એવી ભૂલ ભાગ્યે જ રહી જાય. લેખકે હેતુપૂર્વક આ શબ્દ પ્રયોજ્યો હોવો જોઈએ.)          

“આ રાજુય તે...!” (રાધિકા પટેલ):

જીવનમાં નિષ્ફળતાની પીડા. દરેક વાતે પોતાનાં અને પત્નીના વખાણ કરતો અને વાતે વાતે મિત્ર રાજુની ટીકા કરતો કથક હકીકતમાં કોની  નિષ્ફળતાની વાત કરે છે? એ પોતાના મિત્ર રાજુની ઈર્ષા કેમ કરે છે?

વાર્તાની રજૂઆત પ્રવાહી અને પ્રભાવી. કથકની સ્વસ્તુતિ ક્યારે સ્વનિંદામાં પરિવર્તિત થઈ જાય છે તેની સરત વાચક-ભાવકને ના રહે એટલી સરસ રજૂઆત.   

--કિશોર પટેલ, 26-05-23; 10:48  

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

Monday, 15 May 2023

પરબ એપ્રિલ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

પરબ એપ્રિલ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૮૮૭  શબ્દો)

આ અંકની બંને વાર્તાઓ મોટા કેનવાસ પર દોરાયેલા ચિત્રો જેવી છે. કેનવાસ પ્રમાણમાં જેટલું મોટું તેટલા પ્રમાણમાં ચિત્રમાં ખૂબીઓ અને ખામીઓ પણ વધારે. 

મા (અમૃત બારોટ):

માતૃપ્રેમની વાર્તા. માતાવિહોણા બાળક અને સંતાનવિહોણી માતા વચ્ચેના સ્નેહસંબંધની વાત. એક તરફ લગ્નનાં છેક પાંચ વર્ષના અંતે જાતજાતની માનતા માન્યા પછી તરુને જન્મેલો દીકરો સર્પદંશના કારણે મૃત્યુ પામ્યો. બીજી તરફ પાડોશી વજાભાઇની બહેન નાનકડા અમરને નોંધારો મૂકીને મૃત્યુ પામી. મોસાળમાં મામીને નમાયા ભાણેજ તરફ જોવાની ફુરસદ નથી. વજાભાઈની મંજૂરી લઈને તરુ અમરને ઉછેરે છે. આ અમર મોટો થઈને પરણીને યશોદા જેવી એની માતા તરુના ખોળે પોતાનો દીકરો રમતો મૂકે છે.

વાર્તાનો આરંભ જે આશા જગાવે છે એ પૂરી થતી નથી. છૂટા થઈ ગયેલા બળદ ઘઉંમાં મોંઢું નાખી બગાડ કરવા લાગ્યા એટલે ખોળામાંના છોકરાને ખાટલીમાં સૂવડાવીને તરુ બળદોનો બંદોબસ્ત કરવા ગઈ એ દરમિયાન છોકરાને સાપ કરડી ગયો. આ ક્ષણે વાર્તા ફલેશબેકમાં જાય છે. ત્યારે એવું લાગે કે કથક વર્તમાનમાં પાછો ફરે એટલે સાપ અને બાળકના સંઘર્ષની વાર્તા આગળ વધશે. પણ અચાનક વચ્ચે “...કરમ આડે આવ્યાં, તરુના સાત ખોટના દીકરાનો  કાળોતરાએ જીવ લીધો...” એવો ઉલ્લેખ આવે અને સંઘર્ષની વાત પર ઠંડુ પાણી! કથક તદ્દન સહજભાવે એ પોઈન્ટ પરથી કથાનું અનુસંધાન આગળ ધપાવે છે! ટૂંકમાં, આરંભ છેતરામણો છે.  

તરુના જીવનનાં પૂરા પચીસ વર્ષના ઇતિહાસની ગાથા અહીં કહેવાઈ છે. વચ્ચે એક વાર પાડોશી પાસે માંગીને લાવેલો અમર ઘેરથી ભાગી ગયેલો ને છેક બીજે દિવસે મળેલો,  આખી રાત એ તરુથી ગભરાઈને સ્કુલના એક ઓરડામાં સંતાઈને રહેલો એવી એક રહસ્યમય રોમાંચક ઉપકથા પણ આવે છે. વાર્તાકાર શું કહેવા માંગે છે એની અટકળો વચ્ચે વાર્તા પૂરી થાય છે. કેવળ માતૃપ્રેમની વાત કરવા આટલાં મોટા ફલક પર વાત વિસ્તારવાની જરૂર હતી કે કેમ એવો પ્રશ્ન થાય છે.

અમરનો દીકરો તરુના ખોળે રમતો મૂકાય એ ક્ષણે તરુ ફલેશબેકમાં જાય અને આખી વાર્તા કહેવાય એવી રચના કદાચ આકર્ષક બની શકી હોત.

જે તે પ્રદેશની તળપદી ભાષાની ઝલક વાર્તામાંથી મળે છે એ છે આ વાર્તાનો એકમાત્ર પ્લસ પોઈન્ટ.

આ વાર્તાકારની વાર્તાઓ મોટે ભાગે વ્યંજનામાં લખાયેલી હોય છે, અપવાદરૂપે આ વાર્તા સરળ છે પણ અફસોસ, સાધારણ કક્ષાની છે.           

પુનર્જીવન (પ્રવીણ ગઢવી):

પહેલી વાર્તામાં પચીસેક વર્ષનો ઈતિહાસ આપણે ભણી ગયા, આ બીજી વાર્તા કંઈ કમ નથી, અહીં ત્રીસ-પાંત્રીસ વર્ષનો ઈતિહાસ આપણે ભણવાનો છે.

કોલેજમાં ભણતાં ભણતાં દીનાને અમૂલ જોડે પ્રેમ થઈ ગયો. અમૂલ પછાત વર્ગનો હોવાથી દીનાના માતા-પિતાની મંજૂરી ના મળી. ન્યાતના જ, સ્વતંત્ર વ્યવસાય કરતાં કુટુંબના વિનેશ  જોડે દીનાના લગ્ન થયાં. અમૂલની યાદોને હ્રદયમાં ભંડારી દઈને દીનાએ વિનેશ  જોડે સંસાર માંડયો. દીનાને ત્યાં વિભા જન્મી. આ વિભાને કોલેજમાં સુધીર જોડે પ્રેમ થયો. પણ સુધીર બ્રાહ્મણ હતો એટલે એનાં માબાપ આગળ વિભા માટે વાત કરવાની દીનાની હિંમત થઈ નહીં. દીનાના માતાપિતા વિભા માટે લંડનનું સરસ સ્થળ શોધી લાવ્યા. સુદીપકુમારને પરણીને વિભા લંડન ગઈ. પછી વિભાની સુવાવડ કરવા દીનાએ લંડન જવું પડયું. અહીં દીના વગર એકલો પડી ગયેલો વિનેશ  માંદો પડયો. એને એક જ શોખ હતો, દીનાની ગેરહાજરીમાં એ શોખની પૂર્તિ થતી ન હતી, વિનેશને હ્રદયરોગનો હુમલો આવ્યો એમાં મૃત્યુ પામ્યો!

આટલાં વર્ષો પછી પણ દીનાના હ્રદયમાં કોલેજકાળના અમૂલ પટેલના પ્રેમનો ઝરો જીવંત રહ્યો છે. એ અમૂલની તપાસ કરે છે, સોશિયલ મીડિયા પર, મિત્રવર્તુળમાં અને જૂનાં સરનામે.  ક્યાંયથી ના મળેલો અમૂલ છેવટે મળે છે યોગના વર્ગમાં!

અમૂલ એની ન્યાતમાં પરણેલો ખરો, પણ પત્નીને એની જોડે ખાસ ફાવેલું નહીં એટલે ટૂંક સમયમાં એમનાં છૂટાછેડા થઈ ગયેલાં,  દીના-અમૂલ બંને પરણવાનું નક્કી કરે છે. પણ આટલાં વર્ષે હજી પણ દીનાના માતાપિતાને દીના પછાત વર્ગના અમૂલ સાથે પુનર્લગ્ન કરે એનો વાંધો છે! દીનાના પુત્ર સંજયને પણ વાંધો છે! કેવળ દીનાની લંડનસ્થિત દીકરી વિભા ટેકો આપે છે એટલે દીના -અમૂલ કોર્ટમાં જઈને મૈત્રીકરાર કરે છે.  દીનાનો દિયર અમૂલને જાનથી મારવાની ધમકી આપે છે અને ન્યાતમાં ઠરાવ કરીને દીનાને ન્યાત બહાર મૂકાવે છે.

આટલી દીર્ઘકથા વાંચીને એમ થાય કે વાર્તાકાર આખરે કહેવા શું માંગે છે? સમાજમાં જાતિભેદ છે એટલું કહેવા આટલો પથારો ફેલાવ્યો હશે?

દીના-વિભા મા-દીકરીની આ મેરેથોન કથામાં કેટલીક ઉપકથાઓ પણ છે. જેમ કે ૧. દીનાના મિત્રવર્તુળમાં દરેક છોકરીનું “લફરું” (વાર્તાકારનો શબ્દ) હતું! દરેક છોકરીઓ એમનાં પ્રિયતમ જોડે એકાંતની ક્ષણો માણી લેતી હતી. ૨. દીનાના સાસરિયાં પૈસાપાત્ર હતાં પણ રસોઈ, કપડાં-વાસણ, ઘરની સાફસફાઈ વગેરે બધું ઘરકામ તો પુત્રવધુએ જ કરવાનું એવો નિયમ એ ઘરમાં હતો. ૩. દીનાના પતિ વિનેશને એક જ શોખ હતો, હનીમૂન માટે હવા ખાવાના સ્થળે એ નવદંપતી ગયેલું ત્યાં બહાર ક્યાંય ફરવા ના જતાં હોટલના ઓરડામાં એ શોખ એણે પૂરો કરેલો, જીવતો રહ્યો ત્યાં સુધી રોજેરોજ એણે એ શોખ દીનાના સહકારથી પૂરો કર્યો, દીકરીની સુવાવડ કરાવવા દીના લંડન ગઈ ત્યારે દીના હવે નજીક નહીં હોય એવા વિચારે વિનેશને હાર્ટએટેક આવ્યો ને એ ગુજરી ગયો! ૪. દીના લંડન ગયેલી ત્યારે એરપોર્ટ પર વિનેશ એટલું બધું રડેલો કે એના સસરાએ એને ઠપકો આપવો પડેલો! ૫. લંડનમાં દીનાના વેવાઈના નાના ભાઈ એટલે કે વિભાના કાકાસસરાની નજર દીનાને જોઇને બગડી હતી. ૬. વિભાના લગ્ન થાય અને એ સાસરે જાય ત્યારે વિભાને એનો પ્રેમી સુધીર યાદ આવતો હતો કે નહીં કોણ જાણે પણ દીનાને એમ થતું હતું કે જેમ પોતાનો પ્રેમભંગ થયો હતો એમ વિભા પણ પ્રેમભંગ થઈ છે, પોતે અમૂલને યાદ કરીને દુઃખી થયેલી એમ વિભા પણ સુધીરને યાદ કરીને દુઃખી થતી હશે!   

આ દરેક ઉપકથા પર એક એક સ્વતંત્ર વાર્તા લખી શકાય!        

છેલ્લાં પાંચેક વર્ષમાં આ વાર્તાકારની જેટલી પણ વાર્તાઓ વાંચવામાં આવી છે એ બધી ઘણું કરીને પૌરાણિક વિષયવસ્તુની જ હતી, પહેલી વાર

એમની પાસેથી સામાજિક વિષયની પણ નવલકથાનો વ્યાપ ધરાવતી વાર્તા મળી છે.

--કિશોર પટેલ, 16-05-23 11:59

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

 

         

 

Friday, 12 May 2023

મમતા એપ્રિલ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ



 

મમતા એપ્રિલ ૨૦૨૩  અંકની વાર્તાઓ વિષે નોંધ

(૯૧૪ શબ્દો)

સફાઈ (ભરત મારુ):

અસ્પૃશ્યતા વિરુદ્ધ વિદ્રોહ. મંદિરનો પૂજારી ભીમાને ભગવાનની મૂર્તિનું દર્શન કરવાની મંજૂરી આપતો નથી. ભીમાનો પુત્ર અસ્પૃશ્યતા વિરુદ્ધની ચળવળનો એક લડવૈયો છે. પુત્રના આગ્રહથી ભીમો ઘરમાં રાખેલી ભગવાનની મૂર્તિનું નદીમાં વિસર્જન કરી દે છે. એ સાથે જ લડતના ભાગરૂપે સફાઈકામનો પણ એ બહિષ્કાર કરી દે છે. લડાઈ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે એવા ચિહ્નો જણાય છે. રજૂઆતમાં વાર્તાકારે સંકેતો પાસે સારું કામ લીધું છે.    

જાગીને જોઉં તો (ઇમરાન દલ):

અતિવાસ્તવવાદ (surrealism) ની વાર્તા. વધુ પડતું કામ, થાક અને ઉજાગરાને કારણે નાયક સરખી ઊંઘ આવતી નથી. અર્ધજાગ્રત અવસ્થામાં એ જુએ છે કંઈ, પાડોશની કન્યા જોડેની વાતચીતમાં એ સાંભળે છે કંઈ, બોલે છે કંઈ. અનેક પ્રકારની ભ્રમણાઓમાં એ અટવાયા કરે છે. સારી વાર્તા.

*surrealism= અજાગ્રત મનની પ્રવૃત્તિઓને વ્યક્ત કરવાનો દાવો કરનાર કલા કે સાહિત્યનો પ્રકાર; સંદર્ભ: ગુજરાતી લેક્સિકોન. 

સાભાર પરત (જસ્મીન ભીમાણી):

હાસ્યકથા. નવોદિત લેખક પોતાની વાર્તા સામયિકના તંત્રીને સુપરત કરવા જાય એ પ્રસંગે બનતી રમૂજભરી કરુણ ઘટના. નવોદિત લેખકની સામાન્ય વાર્તામાં અસામાન્ય ફેરફારો કરાવ્યા પછી તંત્રી એ વાર્તાનો અસ્વીકાર કરી દે છે. લેખક હતાશ થઈને પાછો વળે છે. વિનોદી આલેખન.

ગાઈડ (હરીશ પાંચોટિયા):

એક નવપરિણીત દંપતી ફરવા નીકળ્યું છે, પણ પતિની એ બિઝનેસ-કમ-હનીમૂન ટુર છે. પતિ ચોવીસ કલાક બિઝનેસમાં વ્યસ્ત રહેવાના કારણે નવોઢા માનસી નાખુશ છે. ટૂરમાં જે ગાઈડ છે એ કોઈકના ઇશારે અથવા કોઈકની સાથે મળીને માનસી પર નજર રાખે છે. અંતમાં ખુલાસો થાય છે કે ગાઈડ તો પોતાની પત્ની જોડે મળીને માનસીની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરતો હતો. પણ માનસીની સમસ્યા ઉકેલવામાં ગાઈડ અને એની પત્નીને શું રસ હોવો જોઈએ? એમનો માનસી જોડે આગળપાછળનો કોઈ સંબંધ તો છે નહીં! એવા તો કેટલાય ટુરિસ્ટ ફરવા આવતાં હોય!  

વાર્તા ગૂંચવણભરી છે, માનસી જોડે પેલા ગાઈડનો શું સંબંધ હતો? એ કોની સૂચના પર કામ કરતો હતો? માનસી જોડે ચર્ચા કર્યા વિના એની સમસ્યાનો હલ કઈ રીતે કાઢી શકાય?  આખી વાતમાં માનસીના પતિની કોઈ ગણતરી જ નથી થતી! માનસીની કોઈ સમસ્યા હોય તો એના પતિની પણ કોઈક તો ભૂમિકા હોય કે નહીં? વાર્તામાં ઘણાં બધાં છેડા ખુલ્લા રહી ગયા છે. અધકચરો પ્રયાસ.   

*વાર્તા જોડે પ્રગટ થયેલી નગીન દવે નામના લેખકની છે, આ વાર્તાના લેખક હરીશ પાંચોટિયાની નથી. નગીન દવેની વાર્તાઓ અને એમની છબીઓ આ પહેલાં પણ મમતા વાર્તામાસિકમાંમાં પ્રગટ થઈ ચૂકી છે.   

ભૂલમાં જ (કિરણ વી.મહેતા):

નિર્ધન બ્રાહ્મણ કુટુંબની પાયમાલીની વાર્તા. ગામમાં કર્મકાંડ અને પૂજાપાઠનું મહત્વ ઓછું થતાં બબજીના પિતાને ખાસ કામ મળતું નથી. બબજીની બહેનના લગ્નપ્રસંગે એમણે ઘર ગીરવે મૂકવું પડે છે. આર્થિક સંકડાશ દૂર કરવા બબજીના પિતા શહેર તરફ ગયા એ ગયા. પિતાની શોધમાં શહેરમાં ગયેલા પુત્રને જાણવા મળે છે કે એના પિતા તો ઘણાં સમય પહેલાં એક માર્ગઅકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. ગામ પાછો ફરીને બબજી મજૂરીકામ કરી વૃદ્ધ માતા જોડે દિવસો વીતાવે છે અને પિતાને યાદ કરી દુઃખી થયા કરે છે. આલંકારિક ભાષામાં લંબાણભરી રજૂઆત. આ વાર્તાકારે પિતા-પુત્ર સંબંધ વિશેની એકથી વધુ વાર્તાઓ આપી છે.    

જાળું (સરદારખાન મલેક):

એક નાનકડા શહેરમાં કોમી રમખાણની વાત. ટોળાની હિંસાથી બચવા એક માણસ ટોળાની જોડે સામેલ થઈ જાય છે અને બીજો માણસ ટોળાની હિંસાનો શિકાર બને છે એની વાત. સામાન્ય વાતની સાધારણ રજૂઆત.

થઈ? (ઉર્મિલા પાલેજા):

હાસ્યવાર્તા.  મધ્યમવર્ગીય વસાહતમાં એક નીમુ નામની સ્ત્રીને પેટ સાફ આવતું નથી એની ખબર આડોશ-પાડોશમાં સર્વત્ર ફેલાઈ ગઈ છે. બધાંય લોકો ફાવે એમ નુસ્ખાઓ બતાવે રાખે છે પણ નીમુને કોઈ લાભ થતો નથી. અંતે બીજા દિવસે નીમુને પેટ સાફ આવે ત્યારે રાહત થાય છે ખરી, પણ જોડાજોડ બીજી મોંકાણના સમાચાર આવે છે કે એને હવે ઝાડાની તકલીફ શરુ થઈ! હળવી શૈલીમાં મઝાની વાર્તા!    

દિલ્હી ૧૯૮૧ (એમ.મુકુંદનની મલયાલમ વાર્તા, અનુ: સંજય છેલ):

દિલ્હી શહેરમાં ધોળે દિવસે ગુંડાગર્દી થાય છે, બાળક સહિતના પરિવારના પુરુષને માર મારવામાં આવે છે, રડતાં બાળકને મેદાનમાં નિરાધાર તરછોડીને બે ગુંડાઓ સ્ત્રી પર બળાત્કાર કરે છે. નજીકના એક મકાનમાંથી આ દ્રશ્ય જોતાં બે યુવાનો દુર્ઘટનાને રોકવા કંઈ ના કરતાં પીડિતાની દુર્દશા જોઇને આનંદ માણી રહ્યા છે.

આ ઘટનાના સાક્ષી બે યુવાનોનું મકાન એક બહુમાળી મકાનમાં ફેરવાઈ જાય છે અને જાણે પંચાવન લાખની આબાદીવાળું આખું શહેર આ દ્રશ્ય જોતું હોય એવું વાર્તામાં વર્ણન આવે છે. એક બાજુ કોઈ નેતા ભાષણ આપે છે, બીજી બાજુ કોફીહાઉસમાં બૌદ્ધિકો વચ્ચે ઉગ્ર ચર્ચાઓ ચાલે છે.

આપણી અસંવેદનશીલ માનસિકતા પર એક વ્યંગ. સારી વાર્તા.

મમ્મી કેમ છે? મઝામાં (સાયમન બ્રેટની વિદેશી ભાષાની વાર્તા, અનુ:યામિની પટેલ):

મઝાની રહસ્યકથા. વાર્તાના નાયક પર આરોપ મૂકાય છે કે એણે પોતાની માતાની હત્યા કરી છે જે હકીકતમાં ક્યારેય હતી નહીં. તપાસના અંતે એ નિર્દોષ છૂટી જાય છે ત્યારે ખરેખર એની માતા પ્રગટ થાય છે જે ક્યારેય હતી જ નહીં! રસપ્રદ વાર્તા. રહસ્ય સરસ જળવાયું છે. મજેદાર વાર્તા!   

* મમતાના માર્ચ ૨૦૨૩ અંકમાં આ વાર્તા પ્રગટ થયેલી પણ લેખકનું નામ સરતચૂકથી માર્જરી એલિંગહામ એવું ખોટું છપાયું હતું, આ વાર્તાના ખરા લેખક છે: સાયમન બ્રેટ. લેખકના સાચા નામ/છબી સાથે વાર્તા આ અંકમાં પુન: પ્રસિદ્ધ થઈ છે. મમતાએ યોગ્ય કામ કર્યું છે, ક્ષતિસુધારનો આ જ સાચો ઉપાય છે. મમતા વાર્તામાસિકનો આભાર અને અભિનંદન!

જે રોપાઈ ગયાં (યાસુતાકા ત્સુત્સુઈની વિદેશી વાર્તા, અનુ: યશવંત મહેતા):

ફેન્ટેસી વાર્તા. તાનાશાહી વિરુદ્ધ વ્યંગ. એવી કલ્પના થઈ છે કે કોઈ માણસ જો સરકારની ટીકા કરે તો સરકાર એને માનવ-વૃક્ષમાં ફેરવી નાખે અને યોગ્ય ઠેકાણે રોપી દે. આવી સજા થયાં પછી વૃક્ષમાં થોડોક વખત સંવેદના રહે, અન્ય માણસો જોડે એ માણસની જેમ વાતચીત સુધ્ધાં કરી શકે, પણ ધીમે ધીમે એ પૂર્ણપણે વૃક્ષમાં ફેરવાઈ જાય. એક ટપાલીએ ઓછા પગાર વિષે ટીકા કરેલી તો સરકારે એને વૃક્ષમાં ફેરવી નાખ્યો. કથકની પત્નીએ ભાવવધારા અંગે ફરિયાદ કરેલી એટલે એને વૃક્ષમાં ફેરવી નખાયેલી. કથક લેખક છે, પોતાનાથી શાસકો વિરુદ્ધ લખાઈ/બોલાઈ ના જાય એની તકેદારી એ રાખે છે. રસપ્રદ કલ્પના.

--કિશોર પટેલ, 13-05-23; 10:03

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

### 

Tuesday, 9 May 2023

બે વાર્તાઓમાં ગજબનાક સામ્ય




 

બે વાર્તાઓમાં ગજબનાક સામ્ય

(૬૯૬ શબ્દો)

વ્યવસાયે ખેડૂત એવા વાર્તાકાર ગોરધન ભેસાણિયાની ટૂંકી વાર્તાઓએ class અને mass બંનેનું ધ્યાન ખેંચ્યું છે. કેવળ છ ધોરણ સુધી ભણેલા ગોરધન ભેસાણિયાનો વાર્તાસંગ્રહ “પડથારો” ભાવનગરની યુનિવર્સીટીમાં એમ. એ. ના વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે. લોકલાડીલા કવિ રમેશ પારેખ એમને આજના પન્નાલાલ કહેતા હતા. હમણાં જ પ્રગટ થયેલાં એતદ માર્ચ ૨૦૨૩ અંકમાં એમની વિગતવાર મુલાકાત પ્રસિદ્ધ થઈ છે. 

ગઈ કાલે અખંડ આનંદ એપ્રિલ ૨૦૨૩ અંકમાં ગોરધન ભેસાણિયાની વાર્તા “કોણીનો ગોળ” વિષે લખતાં મેં નોંધ્યું હતું કે હાલમાં પ્રગટ થયેલી અન્ય એક વાર્તા જોડે એનું ગજબનું સામ્ય છે. એ બીજી વાર્તા એટલે આ જ વાર્તાકારની પરબ જાન્યુઆરી ૨૦૨૩ અંકમાં પ્રગટ થયેલી “ચકરાવો”. આ બંને વાર્તાઓમાં ચોંકાવનારું સામ્ય જણાયું છે.

બંને વાર્તાઓનો ધ્વનિ એક જ છે: વાર્તાનો નાયક કામચોર છે, જીવવા માટે કરવી પડતી મહેનત એ કરવા માંગતો નથી. સાંસારિક જવાબદારીઓથી ભાગવાની છટકબારીઓ એ શોધ્યા કરે છે પણ સફળ થતો નથી, અંતે તો એણે સ્વજનનો ઠપકો જ સાંભળવો પડે છે.

૧. બંને વાર્તાઓમાં નાયકનું નામ દામો છે.

૨. “ચકરાવો”  માં દામો પરિણીત છે, “કોણીનો ગોળ” માં દામો અપરિણીત છે.

૩. “ચકરાવો” માં ખેતરમાં પાકનું રખોપું કરતાં, પંખીઓને ઉડાડવા કરવી પડતી મહેનતથી એ કંટાળ્યો છે, આમ પણ ખેતીમાં કાળી મજૂરી કરવી પડતી હતી. ગામમાં બાવાઓ આવેલાં ત્યારે એણે જોયેલું કે ગામનાં લોકો એમને માલપુવા ખવડાવતાં હતાં. પત્ની પાસે જબરદસ્તી હા પડાવીને એ બાવાઓની જમાતમાં ભળી જાય છે. “કોણીનો ગોળ” માં દામાના પિતા અને ભાઈઓ ખેતીમાં ખૂબ કામ કરે છે પણ દામો એવી મહેનતથી કંટાળે છે. એક સંઘ જોડે જાત્રામાં ગયેલા દામાએ જોયું કે સાધુબાવાઓને તો બેઠાં બેઠાં ખાવાપીવાનું મળતું હતું. એને થયું કે આ સારું છે, કામધંધો કંઈ કરવાનો નહીં. ઘરનાં લોકો પાસે હઠ કરીને હા પડાવીને એ બાવાઓની જમાતમાં ભળી જાય છે.

૪. “ચકરાવો” માં સાધુઓ નવા ભરતી થયેલા દામા પાસે ખૂબ કામ કરાવે છે, લાકડાં ફડાવે, કૂવેથી સહુના માટે પાણી ખેંચાવે, આવી મજૂરી કરતાં દામો થાકી જાય છે, કંટાળે છે, એ બાવાઓની જમાત છોડીને રાતોરાત ઘેર આવવા ભાગી નીકળે છે. “કોણીનો ગોળ” માં મોટા બાવાએ પ્રારંભમાં જ દામા પાસે ત્રણ દિવસનું તપ કરવાનું કહ્યું, પહેલી જ રાતે ઠંડા પાણીએ સ્નાન કરાવડાવ્યું, ધ્રુજતા શરીરે તાપણીથી દૂર ઉઘાડા શરીરે તપસ્યામાં બેસવાનું કહ્યું. દામાને થયું કે આમ તો જીવ નીકળી જશે, બાવાઓને મૂકીને એ ત્યાંથી ભાગીને ઘેર આવવા  ટ્રેન પકડી લે છે.

૫. “ચકરાવો” માં ઘેર આવવા નીકળેલો દામો રસ્તે રાત પડી જતાં એક ગામે અવાવરુ મંદિરમાં આશરો લે છે. સવારે ત્યાંના ગામલોકો સાધુના વેશમાં દામાને જોઇને વિનંતી કરે કે બાવાજી, અહીં જ રોકાઈ જાઓ, મંદિર ઉજ્જડ પડયું છે, દેવસેવા કરો, સીધુંસામાન અમે આપીશું. દામો રોકાઈ જાય. ત્યાં મંદિરની માલિકીના ખેતરમાં પાકનું રખોપું કરવા એણે પંખીઓને ઉડાડવા પડ્યાં. એના હોકારા-પડકારા સાંભળી ગામની એક બાઈ એને ઓળખી ગઈ, એ બોલી, “એય બાવા, બાયડી છોકરાંવને રઝળતાં મૂકીને તું આંય ગુડાણો છે? પંખીઓ જ ઉડાડવા હતાં તો ઘરનાં વાડી-ખેતર શું ખોટાં હતાં? ભમરાળા, તારા પાપે મને એક ભવમાં બે ભવ કરવા પડયા!” એ દામાની પત્ની હતી જેણે દામાએ તરછોડયા પછી એ ગામમાં બીજું ઘર કર્યું હતું. 

“કોણીનો ગોળ” માં મોટા બાવાની આકરી પરીક્ષાથી બીધેલો દામો ભાગીને ગામડે પાછો આવે, ખેતરમાં ગોળ ગળાતો હોય ત્યાં બાવાના વેશમાં ગોળ ખાવા ઊભો રહી જાય. એનાં પિતા એને ઓળખી જાય અને કડવા વેણ ઉચ્ચારે, “આખું વરસ કેટલાંય માણસો મહેનત કરે ત્યારે થાળામાં ગોળ આવે છે, ગોળ કોણીએ હોય છે, એને ખાવો હોય તો હથેળીમાં લેવો પડે, એને માટે મહેનત કરવી પડે.”

આમ બંને વાર્તાઓમાં કામચોર અને આળસુ વાર્તાનાયકે ઠપકો ખાવો પડે છે, એકમાં પત્નીનો, બીજીમાં પિતાનો.

#

આ પ્રકરણને શું કહીશું? વાર્તાકારે એક જ વિષયવસ્તુનું આલેખન બે જુદી જુદી રીતે કરવાનો પ્રયોગ કર્યો? કે પછી ચાલાકીથી થોડાંક ફેરફાર કરીને, શીર્ષક બદલીને એક જ વાર્તા જુદાં જુદાં બે સામયિકોમાં મોકલીને પ્રગટ કરાવી?

મારા અભિપ્રાય મુજબ, પરબમાં પ્રકાશિત વાર્તાને પહેલો અને અખંડ આંનદમાં પ્રકાશિત વાર્તાને બીજો પાઠ ગણીએ તો બની શકે કે વાર્તાકારે પ્રયોગ ખાતર નાયકને અપરિણીત રાખીને બીજો પાઠ લખ્યો હોય. એ સંજોગોમાં એમણે બીજા પાઠ સાથે સૂચના કે નોંધ મૂકવી જોઈતી હતી કે અમુક શીર્ષક હેઠળ લખાયેલી/પ્રગટ થયેલી મારી વાર્તાનો આ બીજો પાઠ છે.  

સાહિત્ય શું કે જીવન શું, પારદર્શિતા મહત્વની છે. કોણ જુએ છે એમ કરીને સિગ્નલ લાલ હોવા છતાં વાહન હંકારી જનારાઓ જાણતાં નથી કે જે ખોટું છે એ ખોટું છે, કોઈ જોતું ના હોય એટલે એ સાચું બની જતું નથી.

કોઈ પણ પ્રયોગનું સ્વાગત છે, બશર્તે એ પ્રયોગ સભાનપણે થયો હોય.

--કિશોર પટેલ, 10-05-23; 10:16

#

(સંલગ્ન છબીસૌજન્ય: Google images)