Thursday 11 August 2022

નવચેતન જુલાઈ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવચેતન જુલાઈ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૨૯૧ શબ્દો)

પિતૃતર્પણ (ચંદ્રકાન્ત મહેતા):

સુબહ કા ભૂલા શામ કો ઘર લૌટ આયે. અગમ્યને મોડે મોડે માતા અને બહેન પ્રત્યેની ફરજની યાદ આવે છે. આ વરિષ્ઠ વાર્તાકાર મહદ અંશે સામાજિક મૂલ્યોની પ્રતિષ્ઠા થાય એવી કૌટુંબિક વાર્તાઓની રચના કરવા જાણીતા છે. પ્રસ્તુત વાર્તા પણ આ જ પ્રકારની છે.    

આરોહી (ડો. એમ.પી.નાણાવટી):

ફિલ્મી વાર્તા. આરોહીના પિતાનું કહેવું છે કે આરોહી માટે ભારતમાં કોઈ ભવિષ્ય નથી માટે એણે અમેરિકાના જે ઉમેદવારનું માંગુ આવ્યું છે તેને પરણીને અમેરિકા સેટલ થવું જોઈએ.

દરમિયાન આરોહીની મુલાકાત અવિનાશ જોડે થાય છે. અવિનાશ ડોકટરીનું ભણ્યો છે, એક માર્ગઅકસ્માતમાં પોતે જીવના જોખમે આરોહીને બચાવે છે. આરોહી ફિલ્મી સ્ટાઈલમાં અવિનાશની સારવારમાં લાગી જાય. દરમિયાન અમેરિકાનો ઉમેદવાર તાકીદ કરે કે પંદર લાખ રૂપિયા રેડી રાખજો, અમેરિકામાં ડોકટરી પ્રેક્ટિસ શરુ કરવા માટે જોઇશે. આવા દહેજભૂખ્યા ઉમેદવાર માટે આરોહીને અણગમો ઉપજે છે. વળી અહીં પર્યાયી ઉમેદવાર પણ હાથવગો છે! આરોહી-અવિનાશ લગ્ન કરવાનું નક્કી કરે છે.

જૂનો વિષય, સાધારણ રજૂઆત.   

મા તે મા (જસ્મીન દેસાઈ, દર્પણ):

આ રચના વાર્તા નથી, કેવળ એક ભાવચિત્ર છે, માની મમતાનું નિવેદન છે.

વાસંતીબેન દીકરા ખુશાલનું માથું દિવસમાં એક વાર ખોળે લઈને વહાલ કરે એવો રોજનો ક્રમ છે. એક માર્ગઅકસ્માતમાં ખુશાલ મૃત્યુ પામે છે. ખુશાલની માતા વાસંતીબેનને આઘાત ના લાગે એ માટે ખુશાલની જગ્યાએ એના એક મિત્રને અંધ વાસંતીબેનના ખોળે માથું મૂકવા મોકલવામાં આવે છે પણ વાસંતીબેન જાણી જાય છે કે એમની સાથે છેતરપીંડી થઇ છે.

વાર્તામાં માતાની મમતાનો મહિમા ગવાયો છે.

આમ આ અંકની ત્રણેત્રણ વાર્તાઓનાં વિષયવસ્તુ અને રજૂઆત સાધારણ છે.

--કિશોર પટેલ, 12-08-22; 09:08

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

 

  
 

No comments: