Wednesday 13 November 2019


વાયક (મોહન પરમાર) : મારી નોંધ (૩૯૦ શબ્દો)
આધ્યાત્મિક ઉન્નતિ અર્થે સંસારનો ત્યાગ કરી ચૂકેલી એક યુવાન સ્ત્રીને પ્રવાસમાં પ્રકૃતિના વિષમ સંજોગોનો સામનો કરવો પડે છે. ઘોડી પરથી હેઠે ઊતરતી વેળા સંતુલન જાળવવા, એને હેઠે પડતી બચાવવા એક યુવાન પસાયતો દુધાજી એને પોતાના હાથો વડે ઊંચકી લઈને જમીન પર મૂકે છે અને પછી એના શરીરની ધ્રુજારીને શાંત કરવા એના ખભે હાથ મૂકે છે. બસ, આટલી ઘટના છે. એ યુવાનના સ્પર્શથી વિચલિત થઇ ગયેલી નાયિકાના માનસિક આવેગોનું અદ્ભુત આલેખન મોહન પરમાર આ વાર્તામાં કરે છે.
આ વાર્તાને આપણે રજૂઆતની દ્રષ્ટિએ જોઈએ.
લેખકે પરિસ્થિતિ કેવી જડબેસલાક ઊભી કરી છે તે જોવા જેવું છે. બાજુના ગામડે અમરગઢમાં રૂપાંદેના ગુરુમહારાજનો આશ્રમ છે. ત્યાંથી રામદેપીરના અગિયારસની પાટના પ્રસંગનું આમંત્રણ છે. બીજા ઘણાં સંતોને મળવાની અને ગુરુમહારાજની ચરણરજ લેવાનો મોકો મળવાનો હોવાથી નાયિકાને (રૂપાંદેને) ત્યાં જવાની તાલાવેલી છે. ઋતુ પ્રતિકૂળ છે. વરસાદ ઘેરાયેલો છે. અન્ય એક શિષ્ય સારંગદેવની સંગાથે ત્યાં જવાનું હતું પણ કોઈ કારણથી સારંગદેવ બહાર ગયા હતા ને એમને પાછા આવતાં મોડું થયું હોઈ કેવી રીતે જવું  એ સમસ્યા ઊભી થઇ છે. છેવટે જવું તો છે જ એવું નક્કી કરીને નાયિકા ઘોડી પર સવાર થઈને આશ્રમના પસાયતાઓ જોડે જવા નીકળે છે.
પ્રવાસમાં પ્રાકૃતિક પરિવેશના બાહ્ય સંચલનો અને સમાંતરે નાયિકાના અંતરના માનસિક સંચલનો ચાલે છે અને જબરદસ્ત વાર્તાનુભવ કરાવે છે. કોઈનો કશો વાંક નથી છતાંય રૂપાંદે નિર્મળ મનથી દોહો લલકારતા દુધાજી પર ગુસ્સે થઈને “બંધ કરો આ બધું!” એવી ત્રાડ પાડે છે. ત્યારે ખરેખર એ કોના પર ક્રોધે ભરાઈ છે?
અમરગઢના આશ્રમે પહોંચ્યા પછી ગુરુજીને તો કંઈ ખબર નથી પણ રુપાંદેના મનની અવસ્થા એવી છે કે એને સતત એવી લાગણી થયા કરે છે કે બધું બરાબર નથી. ને એટલે જ ભજન ગાવાની ભાગ્યે જ મળતી તક મળે ત્યારે એ ગાઈ શકતી નથી. આ વિષે ગુરુજી એને ટકોર કરે છે.  નાયિકાની માનસિક અવસ્થા અને પ્રાકૃતિક સંજોગોનું લેખક સરસ એકીકરણ કરે છે. ખંડમાં બફારો છે, બહાર આકાશમાં વાદળાં ઘેરાયેલાં છે પણ વરસાદ વરસતો નથી, ગુરુજી પૂછે છે, વરસાદને કોણે બાંધ્યો છે?
નાયિકાને યાદ આવે છે કે પ્રવાસમાં પોતે વરસાદને ખમી જવા વિનંતી કરેલી. ત્યારે તો બધું સમુસૂતરું પાર પડ્યું, હવે કેમ વરસાદ પડતો નથી?
ટૂંકમાં બફારો માત્ર ખંડમાં નહીં પણ નાયિકાના મનમાં પણ છે. 
અંતમાં લેખક કહે છે: “એમણે એકતારો હાથમાં લીધો. તાર પર આંગળી અડાડીને જ્યાં એકધ્યાન થવાં ગયાં ત્યાં તારના કટકે કટકા થઈને એમની આજુબાજુ વેરાઈ ગયા.”
વાર્તાની રચનારીતિનો અભ્યાસ કરવા માટે મોહન પરમારની આ વાર્તા “વાયક” એક ઉત્તમ ઉદાહરણ છે.
કિશોર પટેલ. સોમવાર, 06 મે 2019.    


No comments: