Sunday 28 January 2024

દાસ્તાનગોઈ ૨૮ જાન્યુઆરી ૨૦૨૪



 

દાસ્તાનગોઈ ૨૮ જાન્યુઆરી ૨૦૨૪

(૩૦૨ શબ્દો)

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વરિષ્ઠ નાગરિક પરિવાર, દહિસરના સહયોગથી આયોજિત કેટલીક નોંધપાત્ર ગુજરાતી ટૂંકી વાર્તાઓની ઉર્દુ કથાકથન શૈલીમાં આગવી પ્રસ્તુતિ રજૂ થઈ રવિવાર તા. ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ ની સાંજે બીએમસી હોલ, મનન બિલ્ડિંગની સામે, સાંજી હોટેલની બાજુમાં દહિંસર પૂર્વ ખાતે.

લગભગ સવાસો-દોઢસો જેટલા શ્રોતાઓની હાજરીથી સભાગૃહ ભર્યુંભર્યું લાગતું હતું. સાહિત્યના કાર્યક્રમોમાં આટલી મોટી સંખ્યામાં હાજરી સામાન્ય રીતે હોતી નથી. અહીં આ ચમત્કાર થયો યજમાન સહયોગી સંસ્થા “વરિષ્ઠ નાગરિક પરિવાર”ને કારણે.

કાર્યક્રમમાં રજૂ થયેલી વાર્તાઓ હતીઃ ગુજરાતી સાહિત્યનાં ગાંધીયુગનાં પ્રસિધ્ધ વાર્તાકારો ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા અને પન્નાલાલ પટેલની. આ સાથે બે વાર્તાઓ આજના વાર્તાકારોની પણ હતીઃ દિલીપ રાવલ અને અજય ઓઝાની.

વાર્તાપઠનના અનેક કાર્યક્રમોમાં આ લખનારે હાજરી આપી છે તેમ જ અનેક વાર એમને પોતાની વાર્તાનું પઠન કરવાની તક પણ મળી છે. પણ “દાસ્તાનગોઈ” શૈલીના કાર્યક્રમમાં હાજરી આપવાની તક એમને પહેલી વાર મળી.

વાર્તાપઠનમાં સામાન્ય રીતે વાર્તાકાર પોતે જ પોતાની વાર્તાની રજૂઆત કરતો હોય છે. આ દાસ્તાનગોઈમાં નીવડેલા અને જાણીતા વાર્તાકારોની વાર્તાની રજૂઆત વાર્તાકાર દ્વારા નહીં પણ રંગભૂમિના નીવડેલા કલાકાર દ્વારા થતી હોય છે.

દાસ્તાનગોઈની બીજી વિશેષતા એ કે રજૂઆતકર્તા કલાકાર હાથમાં સ્ક્રીપ્ટ પકડીને વાર્તા વાંચીને રજૂ નથી કરતો પણ સંપૂર્ણ વાર્તા કોઈ સ્ક્રીપ્ટ વિના એટલે કે મોઢે કરીને હાવભાવ સહિત રજૂ કરતો હોય છે. પહેલાંના સમયમાં કથાકારો ગામડે ગામડે ફરતા રહીને વાર્તાની રજૂઆત કરતા એમ.

રવિવાર તા ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ની સાંજે એક અપવાદ સિવાય બધી વાર્તાઓ આ રીતે રજૂ થઈ. આ રીતની રજૂઆતમાં કલાકારનો શ્રોતા જોડે સીધો સંવાદ થાય છે પરિણામે વાર્તા ભાવકને સારી રીતે સ્પર્શી જતી અનુભવાય છે. ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા, પન્નાલાલ પટેલ અને અજય ઓઝાની વાર્તાઓ (આ જ ક્રમમાં નહીં)  સેજલ પોન્દા, અલ્પેશ દિક્ષિત, પ્રિયમ જાની અને મેહુલ બૂચ દ્વારા સુંદર અને અસરકારક રીતે રજૂ થઈ.  કાર્યક્રમના પ્રારંભમાં દિલીપ રાવલે સ્વલિખિત વાર્તા રજૂ કરી.      

કાર્યક્રમનું સુઆયોજિત સંચાલન કર્યું જાણીતા કવિ સંજય પંડ્યાએ.

એક યાદગાર સાંજ.

--કિશોર પટેલ, 28-01-24 20:58

* * *

No comments: