Sunday 24 December 2023

બાલભારતીમાં વાર્તાપઠન શનિવાર ૨૩ ડિસેમ્બર ૨૦૨૩






 

બાલભારતીમાં વાર્તાપઠન શનિવાર ૨૩ ડિસેમ્બર ૨૦૨૩

(૨૦૬ શબ્દો)

નાતાલ નિમિત્તે મળેલા દીર્ઘ સપ્તાહાન્તની ઉજવણીનીં શરુઆત શનિવાર તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૩ની સાંજે મુંબઈનાં રસિક સાહિત્યપ્રેમીઓએ કાંદીવલી પશ્ચિમમાં બાલભારતી ખાતે વાર્તાપઠનમાં ઉપસ્થિત રહીને કરી.

નાવીન્ય આ વખતે એ હતું કે ભાવકોને ટૂંકી વાર્તાને બદલે નવલકથાના અંશોની રજૂઆત માણવા મળી.  પણ એની વાત કરતાં પહેલાં આપણે શરુઆતથી શરુઆત કરીએ.

પ્રારંભ થયો હાલમાં અવસાન પામેલા લેખક-પત્રકાર નીલેશ રુપાપરાની સ્મૃતિમાં એમના બે મિત્રોની વાતોથી.

સૌપ્રથમ આ લખનારે નીલેશ જોડેની યાદો મમળાવી. ત્યાર બાદ નીલેશના પ્રસિધ્ધ થયેલા એક માત્ર વાર્તાસંગ્રહ “આનંદ રોડને પેલે પાર” ની વાર્તાઓ વિશે એમણે પોતાની ટૂંકી નોંધ રજૂ કરી હતી.

ત્યાર બાદ જાણીતા લેખક-પ્રકાશક સતીશ વ્યાસે નીલેશ જોડેની મધુર યાદો રજૂ કરી. એ પછી એમણે નીલેશની પ્રગટ થયેલી બે નવલકથાઓ “મહેકનામા” અને “છલનાયક”વિશે પોતાની અભ્યાસપૂર્ણ નોંધ રજૂ કરી.      

મધ્યાંતરમાં બાલભારતીની ટ્રેડમાર્ક સમાન સ્વાદિષ્ટ કોફીનું રસપાન કર્યા પછી જાણીતા લેખક-અભિનેત્રી યામિની પટેલે વરસેક પહેલાં પ્રગટ થયેલી પોતાની નવલકથા “આલંભ”ના ચૂંટેલા અંશોનું ભાવવાહી પઠન કર્યું. યામિનીબહેનના પઠનની વિશિષ્ટતા એ કે તેઓ સાભિનય રજૂઆત કરતાં હોય છે.

“આલંભ” ગુનાશોધનની નવલકથા છે. આ કથા લખવા માટે એમણે કરેલા સઘન અભ્યાસની રસપ્રદ વાતો પણ એમણે શ્રોતાઓ જોડે વહેંચી. પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓને મળી એમણે એમની કાર્યવાર્હીની ફર્સ્ટ હેન્ડ જાણકારી મેળવી હતી.

ટૂંકમાં, એક મજેદાર અવિસ્મરણીય સંધ્યા!

--કિશોર પટેલ, રવિવાર, 25-12-23, 09:26

* * *  

 

No comments: