Sunday 23 July 2023

બાલભારતીમાં વાર્તાપઠન ૨૨ જુલાઈ ૨૦૨૩










 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૨ જુલાઈ ૨૦૨૩

(૭૬૫ શબ્દો)

શનિવાર તા. ૨૨ જુલાઈ ૨૦૨૩ ની સાંજે મુંબઈવાસીઓ વરસાદમાં ભીંજાવાની મઝા માણી રહ્યાં હતાં ત્યારે કેટલાંક કળારસિકો વાર્તારસ માણવા બાલભારતીના માંડવે ભેગાં થયાં હતાં. એમની સંખ્યા ઓછી હતી પણ વાર્તારસ માણવાની એમની તડપ કોઈ યંત્રથી નક્કી કરી ના શકાય એવી અમાપ હતી.

કાર્યક્રમનાં સંચાલનની લગામ હાથમાં લેતાં આકાશવાણીનાં કાર્યક્રમોનાં નિર્માતા અને ગુજરાતી રંગભૂમિનાં કલાકાર વૈશાલી ત્રિવેદીએ વિશ્વપ્રસિઘ્ઘ વાર્તાકાર એન્ટોન ચેખોવની એક વાર્તા “સ્લાઈસ ઓફ લાઈફ” ને યાદ કરતાં કહ્યું કે જીવનની એક ચીરી કાપીને તેનો અર્ક, સ્વાદ અને સુગંધ વાચકો સમક્ષ પીરરતાં લેખકને આનંદ થાય છે. વિશ્વમાં સર્વત્ર વાર્તાઓ કેમ સતત લખાયા કરે છે? સામયિકો કેમ અવિરત પ્રગટ થયાં કરે છે? કળાનાં અન્ય માધ્યમો દ્વારા પણ વાર્તાઓ કેમ કહેવાયા કરે છે? ચેખોવ કહે છે એમ લેખક અને વાચક દ્વારા વાર્તાઓના માધ્યમથી જીવનને પામવાનો પ્રયાસ થતો રહે છે.

સૌ પ્રથમ વાર્તા રજૂ કરી કલ્પનાબેન દવેએઃ લવ યોરસેલ્ફ લવ યોર લાઈફ

પ્રોઢ વયની નાયિકા સ્નેહાને કેન્સર થયું છે. એને સમયસર સારવાર મળી છે પણ છતાં એ લગભગ મૃત્યુના દ્વારે પહોંચી ગઈ છે. એને ભૂતકાળની ઘટનાઓ યાદ આવે છે. મેટ્રિક પછી સ્નેહાને વઘુ અભ્યાસ કરવો હતો પણ એના પિતા એને મંજૂરી આપતા નથી. એક યુવાન જોડે મનમેળ થતાં સ્નેહા પિતા વિરુઘ્ઘ બંડ કરીને પ્રેમલગ્ન કરી પિતૃગૃહનો ત્યાગ કરે છે. કાળક્રમે એણે એક સંતાનને ગુમાવવાનો આઘાત પણ  સહન કરવો પડે છે. મૃત્યુ સામે ઊભું હોય ત્યારે પોતાના પિતાને દુઃખી કર્યાનો એને પશ્ચાતાપ થાય છે. એ ક્ષણોમાં કોઈ અદ્રશય શક્તિનો એને સાક્ષાત્કાર થતાં એ અપાર શાંતિનો અનુભવ કરે છે અને એ મૃત્યુમુખેથી પાછી ફરે છે.

બીજી વાર્તા રજૂ કરી નીરજ કંસારાઘૂમકેતૂ લિખિતઃ માછીમારનું ગીત

ગુજરાતી ટૂંકી વાર્તાના ઈતિહાસમાં જેમનું નામ કાયમ આદરથી લેવાશે એવા ગાંઘીયુગના વાર્તાકાર ધૂમકેતુની આ એક આગળીવેગળી કથા છે. આ એક એવા માછીમારની કથા છે જેનું સંપૂર્ણ જીવન દરિયાના ખોળે વીત્યું હતું. દરિયામાં એ જેટલો સહજ અને સ્વાભાવિક હતો એટલો જ એ જમીન પર અસહજ અને અસ્વાભાવિક હતો. એ પોતાની પત્નીને ખૂબ ચાહતો હતો. નવા નવા લગ્ન પછી એક વાર એ પત્નીને હોડીમાં બેસાડી દરિયાની સહેલ કરાવવા લઈ જાય છે. ત્યાં માછીમારની વહુ એને એક અદભૂત પ્રણયગીત સંભળાવે છે. એ ગીતમાં આશા, ઉલ્લાસ, ઉત્સાહ, આનંદ, પ્રેરણા, પ્રેમ વગેરે અનેક ભાવો સામેલ હતાં. માછીમારને એ ગીત ઘણું ગમી જાય છે. અહીં માછીમારની વહુ  એને તાકીદ કરે છે કે આ ગીત કયારેય કોઈને સંભળાવતો નહીં. માછીમાર પાસે એક સુંદર મોતી છે, એ મોતી એને દરિયામાંથી અનાયાસ મળી આવ્યું હતું. એ મોતી એણે કોઈને કયારેય વેચ્યું નહોતું. જેટલું જતન એ મોતીનું કરતો એટલું જતન હવે એ પેલા ગીતનું પણ કરવા માંડ્યો. કાળક્રમે માછીમાર વૃઘ્ઘ થાય છે. એની પત્ની હવે રહી નથી. એક વાર એના સાથીઓ એની પાસે પેલું ગીત સાંભળવાની જીદ કરે છે. માછીમાર સૌથી યુવાન સાથીને પોતાની હોડીમાં બેસાડીને દરિયામાં લઈ જાય છે. એને પેલું અમૂલ્ય મોતી આપીને એ પેલા ગીતની વાત ભૂલાવી દે છે. જ્યારે અન્ય સાથીઓને એની ચાલાકીની ખબર પડે છે ત્યારે સહુ એને શોઘવા નીકળી પડે છે. માછીમાર દરિયામાં પોતાની નાવ સાથે રખડતો એકલો એકલો પેલું ગીત ગાતો હોય છે. યુવાન સાથી એની તરફ મોતી પાછું ફેંકીને ગીત સંભળાવવા વિનંતી કરે છે પણ માછીમાર એના ગીત અને અમૂલ્ય મોતી સાથે દરિયામાં ગરક થઈ જાય છે.

નોંઘવાલાયક વાત એ કે સંપૂર્ણ વાર્તામાં ક્યાંય ગીતના ચોક્કસ શબ્દો શું હતાં એનો ઉલ્લેખ થતો જ નથી!     

કોફીબ્રેક પછી ત્રીજી વાર્તા રજૂ કરી જિતેન્દ્ર દવેએઃ રજિસ્ટર્ડ મેરેજ

સાંપ્રત સમસ્યાની વાર્તા. પ્રેમમાં પડેલું એક યુગલ રજિસ્ટર્ડ મેરેજ કરવા રજિસ્ટ્રારની ઓફિસે જાય છે. ત્યાં કાર્યવાહી દરમિયાન અધવચ્ચે જ યુવક પોતાની સાચી ઓળખ જાહેર કરે છે, નામ પરથી હિંદુઘર્મી જણાતો એ યુવક હકીકતમાં મુસ્લિમ હતો. હિન્દુ ધર્મની યુવતીઓને છેતરીને પ્રેમલગ્ન કરીને પછી એમનું ઘર્માંતર કરાવવાનો સિલસિલો કેટલાક ઘર્મઝનૂનીઓ આજકાલ કરવા લાગ્યા છે. સમાચાર માધ્યમોએ એને “લવજેહાદ” નામ આપ્યું છે. સાંપ્રત સમસ્યા પર પ્રકાશ પાડતી વાર્તા.

અંતમાં ચોથી અને છેલ્લી વાર્તા રજૂ કરી કાર્યક્રમનાં સંચાલક વૈશાલી ત્રિવેદીએઃ ઘડિયાળ

આ વાર્તાનું સ્વરુપ આકર્ષક છે. પ્રૌઢ વયના નાયકને ઘડિયાળમાં ટકોરા વાગે એની સાથે સમયના જુદા જુદા  આંકડા પ્રમાણે ભૂતકાળની જુદી જુદી સ્મૃતિ જીવંત થાય છે. એ રીતે કટકે કટકે એના જીવનની વ્યથાકથા રજૂ થાય છે. નાયક મનોરંજનના વ્યવસાયમાં પ્રવૃત્ત હતો પણ હવે વઘતી ઉંમર અને સ્પર્ધાના કારણે એને કામ મળવાનું ઓછું થઈ ગયું છે. દુઃખી થઈને એ આત્મહત્યાના વિચાર સાથે ઘસમધતી ટ્રેનની નીચે ઝંપલાવવા જાય છે પણ ત્યાં એક યુવાનને પણ આત્મહત્યા કરવા આવેલો જોઈ પોતાનું દુઃખદર્દ ભૂલીને પેલાને બચાવે છે. વાતચીત દરમિયાન જાણ થાય કે એ યુવાન ફિલ્મોમાં નસીબ અજમાવવા આવેલો પણ કામ ના મળતાં નિરાશ થઈ ગયો હતો. નાયકને થાય છે કે આની પાસે તો આખું જીવન પડેલું છે, એને કામ મળવું જોઈએ. એ મનોમન પોતાને મળેલું ડબિંગનું કામ એને અપાવવાનું નક્કી કરીને એને સાંજે સ્ટુડિયો પર કામ મેળવી આપવાનું વચન આપે છે. 

વૈશાલીબેનની રજૂઆત નાટ્યાત્મક રહી. વાર્તાના દ્રશ્યો નજર સામે  જીવંતપણે ભજવાતાં હોય એવી અનુભૂતિ સહુ શ્રોતાઓને થઈ.

એકંદરે વાર્તારસથી તરબોળ સાંજ!  

--કિશોર પટેલ, 24-07-23 09:06

###

      

 

No comments: