Sunday 10 April 2022

બુદ્ધિપ્રકાશ માર્ચ ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ:


 

બુદ્ધિપ્રકાશ માર્ચ ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ:

(૨૭૭ શબ્દો)

ત્રણ જણ (વીનેશ અંતાણી):

પારંપારિક વાર્તાઓથી જુદી પડતી એક વાર્તા.

એક આદમીની જીવનયાત્રાના ત્રણ તબક્કાઓની વાત. શૈશવ, યુવાની અને વૃદ્ધત્વ. વાર્તામાં એક પ્રકારે ચિંતન થયું છે, જીવનદર્શન થયું છે. નાયક નીકળી પડ્યો છે એ જાણવા કે માણસના જીવનનો અર્થ શો છે? શું નાયકને ઉત્તર મળે છે?

વાર્તાનું સ્વરૂપ રસ પડે એવું છે. એક યુવાન ચાલતો ચાલતો શહેરથી દૂર નીકળી આવ્યો છે. ધૂળિયા રસ્તે ઊંચાઈ પર નિર્જન, અવાવરુ જગ્યા પર એ આવી ગયો છે. અહીંથી નીચે ફેલાયેલા શહેરની ઝલક જોઈ શકે છે. આ ઘટનાનો અર્થ એવો કરવાનો કે પોતે પોતાનામાંથી બહાર નીકળીને યુવાન આત્મદર્શન કરે છે, પોતાની અંદર જુએ છે.

અહીં એક બગીચામાં ત્રણ બાંકડાઓમાંથી એક પર બેસવાનું. અહીં એને એવી લાગણી થાય છે કે આ જગ્યાએ પોતે ક્યારેક આવી ગયો છે.

બીજા ભાગમાં આ જ રીતે એક વૃદ્ધ આદમી બિલકુલ આ જ જગ્યાએ, એ જ રીતે આવે છે જેમ પેલો યુવાન આવ્યો હતો. હકીકતમાં પેલો યુવાન જ મોટી ઉંમરે આવ્યો હોય છે. અહીં પેલા ત્રણ બાંકડા પર પેલો યુવાન બેઠો છે. આ વળી નાયકનું પોતાનું જ એક રૂપ.  બંને ત્યાં બેઠાં હોય ત્યાં એક છોકરો આવે. આ છોકરો એટલે એ બંને આદમીઓનો ભૂતકાળ!

છોકરો પૂછે, મારી બકરીને જોઈ?

યુવાને અને વૃદ્ધે બંનેએ બકરીની લીંડીઓ જોઈ હતી, એ ઘટનાનું અનુસંધાન. બકરી એટલે જીવનનિર્વાહનું પ્રતિક. છોકરો, યુવાન અને વૃદ્ધ ત્રણ જુદા જુદા બતાવ્યા છે પણ છે એક જ આદમીના વિવિધ વયના રૂપ.

જીવનનો ઉદ્દેશ અને તેનું રહસ્ય તાગવાનો પ્રયાસ. પઠનીય વાર્તા.      

--કિશોર પટેલ, 11-04-22; 09:48

તા.ક. નવેમ્બર ૨૦૨૧, ડિસેમ્બર ૨૦૨૧  અને ફેબ્રુઆરી ૨૦૨૨ અંકમાં એક પણ વાર્તા પ્રગટ થઇ ન હતી. આ ઉપરાંત જાન્યુઆરી ૨૦૨૨ અંક મળ્યો નથી.  માટે ઓક્ટો ૨૦૨૧ અંકની વાર્તા વિશેની તા. ૧૮/૧૧/૨૦૨૧ ના રોજ મૂકાયેલી નોંધ પછી સીધી આ નોંધ.

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

પોસ્ટ કર્યું: ફેસબુક અને બ્લોગ પર:11-04-22; 09:48   

No comments: