Tuesday 9 November 2021

સરતચૂક કે ઊઠાંતરી?

 



સરતચૂક કે ઊઠાંતરી?

ગુજરાતી સાહિત્યમાં આઘાતજનક બીના બની છે. આસામી ભાષાની એક વાર્તા “પરબ” માં એક ગુજરાતી લેખકના નામ સાથે પ્રસિદ્ધ થઇ છે!

પરબ સામયિકમાં ઓક્ટોબર ૨૦૨૧ અંકમાં પ્રસિદ્ધ થયેલી વાર્તા “ઓછાયો” ના લેખક તરીકે શ્રી નટવર હેડાઉનું નામ પ્રગટ થયું છે. આ વાર્તા આ લેખકની મૌલિક કૃતિ ના હોઇ ઊઠાંતરી હોઇ શકે એવું તથ્ય સામે આવ્યું છે.

પરબ સામયિકના ફેબ્રુઆરી ૨૦૧૯ અંકમાં “ભારતીય સાહિત્ય” મથાળા હેઠળ એક આસામી વાર્તા “ડોસાએ કહ્યું” નો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો છે. મૂળ આસામી વાર્તાના  લેખક છે મણિકાદેવી.  આ વાર્તાનો ગુજરાતી અનુવાદ કર્યો છે હસમુખ કે.રાવલે.

ચર્ચાના કેન્દ્રસ્થાને રહેલી વાર્તા “ઓછાયો” આ આસામી વાર્તાની બેઠી નકલ છે.

“ઓછાયો” વાર્તા કેવળ પરબના ઓક્ટોબર ૨૦૨૧ અંકમાં જ નહીં, મમતા વાર્તામાસિકના જૂન ૨૦૨૧ અંકમાં પણ આ જ શીર્ષકથી આ જ લેખકના નામે પ્રસિદ્ધ થઇ છે.

પરબ ના ફેબ્રુઆરી ૨૦૧૯ અંકમાં પ્રસિદ્ધ થયેલી વાર્તા બે વર્ષ પછી સરતચૂકથી પરબમાં જ પુન:પ્રકાશિત થઇ શકે પણ જેમની તેમ અનુવાદ તરીકે. પણ અહીં તો લેખક તરીકે એક ગુજરાતી લેખકનું નામ પ્રગટ થયું છે. આ તાંત્રિક અકસ્માત કે સરતચૂક કે યોગાનુયોગ હોઈ ના શકે. ચાલો, એક વાર માની લઈએ કે પરબમાં લેખકનું નામ કોઇ અકળ કારણસર બદલાઇ ગયું, મમતામાં કેવી રીતે અન્ય લેખકના નામે પ્રસિદ્ધ થઇ શકે? આ લેખકે મમતામાં પોતાના નામે કૃતિ મોકલી હોય તો જ એવું બનવું સંભવ છે.

આ વાર્તા વિષે તા.૦૫/૧૧/૨૦૨૧ ના રોજ ફેસબુક પર મૂકેલી મારી નોંધમાં જ મેં શંકા વ્યક્ત કરી હતી કે “એવું લાગે છે કે કોઇ પરભાષાની વાર્તા વાંચી રહ્યો છું.” કમનસીબે એ શંકા સાચી પડી. (તા.૦૫/૧૧/૨૦૨૧ ના રોજ મૂકેલી મારી એ પોસ્ટની લિંક નીચે  ટિપ્પણી ના પહેલાં ખાનામાં આપી છે.) 

આ લેખકની અન્ય એક વાર્તા “ચિનારને કુંપળ ફૂટી રહી છે” (શબ્દસૃષ્ટિ, જૂન ૨૦૨૧) પણ શંકાના ઘેરાવામાં છે. ગાંધીનગરમાં રહેતા લેખક કાશ્મીરના એક મુસ્લિમ પરિવારની પીડા કઇ રીતે આત્મસાત કરીને આવી વાર્તા લખી શક્યા હશે? એ વાર્તા જો એમની મૌલિક હોય તો એમને અભિનંદન.

પરબના અને મમતા વાર્તામાસિકના તંત્રી/સંપાદક કોઇ મિત્રની સૂચિમાં હોય તો એમને ટેગ કરવા વિનંતી.

--કિશોર પટેલ, 07-11-21 14:52    

  

            


No comments: